Get The App

મોસમના ભેદી પરિવર્તનો .

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
મોસમના ભેદી પરિવર્તનો                    . 1 - image

ઘઉંના ખેતરો લહેરાઈ રહ્યા છે અને હવે તેમાંના મોટાભાગના બજારમાં આવી રહ્યા છે. માવઠાની સ્થિતિ અને રાતભરની ઠંડકને કારણે આંબાના ઝાડ પરથી મંજરી ખરી રહી છે. વાતાવરણમાં પલટો છે ને આ બે-ત્રણ દિવસમાં હજુ ઘટાટોપ વાદળ સવારી આવવાની વકી છે. ઘણા વરસો પછી કપાસના ભાવ ઊંચે ગયા છે. ટેકાના ભાવની કોઈને પડી નથી. કપાસના ખેતરો પર શ્વેત ચાંદનીનો ઉજાસ ફેલાઈ ગયો છે. આ વખતે ખેત મજૂરીના ભાવ પણ ઊંચે જતાં મજૂર પરિવારો ખુશહાલ દેખાય છે. એનું બીજું કારણ એ પણ છે કે મજૂરોની તંગી છે. પાંચેક વરસ પહેલા કોરોના વખતે આદિવાસી મજૂરો એમના વતનમાં લપાઈ ગયા હતા અને એમાંથી બધા પાછા આવ્યા નહિ. સાહસ કરીને જે થોડાક છે તેઓ હવે અરધા ખેડૂત બની ગયા છે. પૃથ્વી પર હવામાનનું સંચાલન આપણે માનીએ છીએ કે આપણી ઉપરના આકાશ અને એમાં વહેતા પવન ઉપરથી થાય છે પરંતુ ખરેખર એવું નથી.

બહુ દૂર દૂરથી આપણા હવામાનનું સંચાલન થાય છે. એને કારણે વાતાવરણ જ્યારે બદલાય છે ત્યારે ખ્યાલ નથી આવતો કે એકાએક આ પરિવર્તન કેમ થયું? પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધુ્રવ પર અનેક પ્રકારના હવામાન સંજોગો આકાર લેતા હોય છે. ઉત્તર અને દક્ષિણ ધુ્રવ બંનેની ઉપર અંદાજે એક-એક હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાના હળવા દબાણ રચાયેલા હોય છે. આમ તો એ એક પ્રકારનું વાતાવરણ હોય છે. આપણે ત્યાં દર ચોમાસે બંગાળના અખાતમાં જ્યારે હવાનું હળવું દબાણ સર્જાય ત્યારે એનું સ્વરૂપ ઝંઝાવાતનું હોતું નથી, પરંતુ જ્યારે 'લોક' થયેલો હવાના હળવા દબાણનો એ આખો પટ કોઈ એક છેડેથી તૂટે ત્યારે તેમાં રહેલા શૂન્યાવકાશની પરિપૂર્તિ કરવા ચારેબાજુથી વાદળોનો જે ધસારો થાય છે એ જ ઝંઝાવાત બની જાય છે. પરંતુ દક્ષિણ ધુ્રવ અને ઉત્તર ધુ્રવ પર આ જે હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાનું હળવું દબાણ હોય છે તે ચક્રાવર્તિત હોવાથી સ્વયં એક ઝંઝાવાત જ હોય છે જેને પોલર વોરટેક્સ કહેવામાં આવે છે.

પોલર વોરટેક્સની અનિયંત્રિત અને સતત ચક્રાવર્તિત ગતિને કારણે હિમવર્તી પવનોએ વાતાવરણ પર કબજો જમાવી દીધો છે. જે રીતે આખું ઉત્તર ભારત હિમાલયની તળેટીમાં હોય એવો આભાસ આ ઉનાળાના આરંભે કરાવ્યો તેવો જ ભાસ સમગ્ર ઉત્તર ગોળાર્ધના દેશોને થઈ રહ્યો છે. હજુ પણ મેઘરાજા ફરી ભારતીય આકાશમાં ડોકિયું કરવાના છે. તબીબી વિજ્ઞાનનું પ્રાચીન સૂત્ર છે કે ઠંડક મૃત્યુ નજીક લઈ જાય છે અને ઉષ્ણતા તો જિંદગીનો ખરો ધબકાર છે. વધારે પડતી ઠંડી જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે હાનિકારક છે. દેશમાં કેટલી સરકારો આવી અને ગઈ. હજુ પણ જશે અને આવશે. પરંતુ હવામાન ખાતું પાટે ચડયું નથી. કેન્દ્ર સરકારે કદી પણ હવામાન અને કૃષિ વચ્ચેનું લિંકિંગ કર્યું નથી. એને કારણે કિસાનો તમામ નિર્ણયોમાં અથડાતા રહે છે. વળી ખુદ કિસાનો જાણે છે કે વરસાદ કે સિંચાઈ ઉપરાંત ફસલની ગુણવત્તા અને પાકના ઉતાર-પ્રમાણમાં વાતાવરણની પ્રમુખ ભૂમિકા હોય છે.

છતાં કિસાનો હવામાન સંબંધિત જ્ઞાનની ઝંખના રાખતા નથી. હજુ આજેય ભારતીય કિસાનો પરંપરિત પદ્ધતિથી જ અંદાજ લગાવે છે. ઋતુવિજ્ઞાન ખરેખર તો વાયુમંડળનું વિજ્ઞાન છે. કોમ્પ્યુટરના આવિષ્કાર પછી હવામાનની આગાહીઓના ક્ષેત્રે ક્રાન્તિ થઈ છે પરંતુ આપણા દેશનો અનુભવ પૂર્વાનુમાન બાબતમાં બહુ સારો નથી. ખેતીવાડીના જે કાર્યક્રમો આકાશવાણી અને દૂરદર્શન દ્વારા પ્રસારિત થાય છે તે એટલા બધા અરસિક અને ક્યારેક તો હાસ્યાસ્પદ પણ હોય છે. જેમણે કદી ખેતી કરી જ નથી એવા અધિકારીઓ અને અધ્યાપકો મગફળીમાં જંતુઓના ઉપદ્રવના નિયંત્રણ વિશે એવી સરકારી શૈલીમાં વાત કરતા હોય છે કે તેમની વાત પરથી જ કોઈને પણ ખ્યાલ આવી જાય કે તેઓ ખેડૂતોને શું માને છે ! જેમને કિસાન અને કૃષિ પરત્વે રજમાત્ર પણ સન્માન નથી તેવા લોકોથી સહકારી અને કૃષિ ખાતાના ટેબલો અને ખુરશીઓ ભરાયેલા છે.

અત્યારે ખરેખર તો આવતા ચોમાસા માટે તૈયારી કરવાનો સમય છે. મોસમના પરિવર્તનો પુરબહારમાં છે. આ જે સૂસવાટા મારતી વરસાદી ઝરમર સાથેની વસંત ઋતુની ઠંડી છે એને કારણે ઉનાળુ બાગાયતી પાકને નુકસાન પણ છે. જેમણે આગોતરા વાવેતર કર્યા હતા તેમનો પાક આ વધારાની ઠંડકમાં ફસાઈ ગયો છે. ધાણા અને જીરુ પર મોટી આપત્તિ છે. આ વરસના ઘઉંની મીઠાશ પણ અલગ જ પ્રકારની હશે. વધારાના વરસાદથી ઘણાક પાકને નુકસાન થતા કિસાનોએ સર્વેક્ષણ કરાવવાની ડિમાન્ડ કરી છે. આપણા ખેડૂતો આત્મસૂઝથી ખેતી કરે છે. તેમને ખરેખર જ દેશના દિલ્હી તખ્તા પરથી જે વારતાઓ થાય છે એવી આધુનિક ટેકનોલોજી અને પૂર્વાનુમાનનો લાભ મળતો થાય તો તેમની ખેતીવાડીમાં કમાલ થઈ જાય.