ચિરાગ જલતા રહેગા .
કેન્દ્રના ગૃહપ્રધાને જાહેરાત કરી છે કે જો એનડીએ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી જીતશે તો મુખ્યમંત્રી પદ નીતિશ કુમાર પાસે જ રહેશે. જો કે આ એક કલ્પના છે. પરિણામો પછીની વાસ્તવિકતા અલગ હોય છે. ભારતીય જનતા પાર્ટીના બિહાર એકમના વડા મિસ્ટર જયસ્વાલે પણ શાહના વિચારોનું સમર્થન કર્યું. ગૃહમંત્રીના નિવેદનનો સીધો અર્થ એ છે કે જો નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (વઘેં) પાસે ભાજપ કરતા ઓછી બેઠકો હોય, તો પણ નીતિશ કુમાર મુખ્યમંત્રી રહેશે. પરંતુ બિહારમાં અહીં-ત્યાં દેખાતા પોસ્ટરોમાં એનડીએના ઘટકપક્ષના નેતા ચિરાગ પાસવાનનો દાવો સ્પષ્ટ દેખાય છે. એક પોસ્ટર પર અંગ્રેેજીમાં લખ્યું છે, 'નેક્સ્ટ સીએમ, ચિરાગ પાસવાન'. બીજા પોસ્ટરમાં હિન્દીમાં લખ્યું છે, કે કોઈ રમખાણો નહીં થાય, કોઈ હિંસા નહીં થાય, કોઈ હોબાળો નહીં થાય, કારણ કે આપણા મુખ્યમંત્રી ચિરાગ પાસવાન હશે.
દેશના દલિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા દિગ્ગજ નેતાઓમાંના એક, રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પણ એ વાતનો ઇનકાર કરી રહ્યા નથી કે તેમની પાસે મુખ્યમંત્રી બનવાની અને આ પદ સંભાળવાની ક્ષમતા છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેમની વિચારસરણી તેમના પિતા કરતા અલગ છે, જેમને રાજ્યના રાજકારણ કરતાં રાષ્ટ્રીય રાજકારણમાં વધુ રસ હતો. રામવિલાસે છ વડા પ્રધાનોના કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી.
આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગનું સૂત્ર 'બિહાર ફર્સ્ટ' અને 'બિહારી ફર્સ્ટ' પર કેન્દ્રિત છે. ચિરાગ હાલમાં કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી છે. પરંતુ તેમણે રાજ્ય વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતાને નકારી નથી. કેન્દ્રમાં મંત્રી તરીકે, તેઓ દરેક પગલે દેશના ટોચના નેતૃત્વ સુધી પોતાના વિચારો પહોંચાડી રહ્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે જો મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ તેમની પાર્ટીમાં હોત, તો તેઓ તેમને આજીવન પાર્ટીમાંથી હાંકી કાઢત.
વિજય શાહે 'ઓપરેશન સિંદૂર' વિશે માહિતી આપનાર અને જિંદગીની બાજી લગાવનાર ફાઈટર પ્લેન પાયલોટ કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પાસવાનની લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસ (LJP-રામ વિલાસ) (JDU) સાથે મળીને મુસ્લિમ મતદારોને NDA સાથે જોડવાનું એક માધ્યમ સાબિત થઈ છે. પણ મોટો પ્રશ્ન એ છે કે ચિરાગના આત્મવિશ્વાસ પાછળનું કારણ શું છે? તેઓ સન ૨૦૨૦ ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએમાંથી બહાર નીકળી ગયા અને રાજ્યની ૧૩૭ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા. તેમની પાર્ટી ફક્ત મટિહાની એક જ બેઠક જીતી શકી હતી પરંતુ ચૂંટણીમાં તેને કુલ ૫.૭ ટકા મત મળ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે ચિરાગની પાર્ટીએ ૨૫ થી વધુ બેઠકો પર (JDU)ના મતોમાં ધાડ પાડી હતી અને તેના કારણે, (JDU)અપેક્ષાઓ કરતાં પ્રદર્શન કરવામાં અર્ધસફળ રહી હતી. વ્યાપક રીતે એવું કહી શકાય કે ન્વઁ એ ૨૫ થી વધુ બેઠકો પર (JDU)ની સંભાવનાઓને નુકસાન પહોંચાડયું હતું. ભાજપને મન અને મનોમન એલજેપીની આ એક વિરલ ગુપ્ત સિદ્ધિ છે.
આ પછી સન ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં ન્વઁ નું પ્રદર્શન પ્રશંસનીય હતું. પાર્ટીએ ફક્ત પાંચ બેઠકો પર ચૂંટણી લડી અને પાંચેય બેઠકો જીતી. તેમને ૭ ટકા મત મળ્યા. ચિરાગને લાગે છે કે જ્યારે બધા રાજકીય પક્ષો યુવા મતો મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે, ત્યારે તે બિહારની મોટી દલિત વસ્તી માટે સૌથી વિશ્વસનીય ચહેરો છે. પરંતુ ભાજપના ઘણા લોકો આ વાત માનતા નથી. ચિરાગ એક ફિલ્મ અભિનેતા રહી ચૂક્યા છે અને તેમણે કંગના રનૌત (ભાજપના સુવિવાદિત લોકસભા સાંસદ) સાથે એક ફિલ્મમાં પણ કામ કર્યું છે. બાદમાં તેમણે પોતાના પરિવારના વારસાને આગળ વધારવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો. રામવિલાસ હયાત હતા ત્યાં સુધી તેમણે પક્ષ સામેના પડકારોનો સારી રીતે સામનો કર્યો. પરંતુ તેમના મૃત્યુ પછી, પશુપતિ પારસ (રામ વિલાસના નાના ભાઈ) એ લોજપાથી અલગ થઈ ગયા. ચિરાગને હંમેશા લાગતું હતું કે ન્વઁ તોડવા પાછળ ભાજપનો હાથ છે.
જ્યારે ભાજપે ચિરાગની જગ્યાએ પારસને ઉતાર્યો, ત્યારે તેઓ એકલા પડી ગયા. પરંતુ ૨૦૨૦ ની વિધાનસભા ચૂંટણીમાં, એ સ્પષ્ટ થઈ ગયું કે ચિરાગના પક્ષના જૂથમાં હજુ પણ મત ટકાવારીની દ્રષ્ટિએ ઘણી તાકાત છે. છતાં બિહાર ભાજપ એકમના દલિત નેતાઓ કહે છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ચિરાગના પ્રદર્શનને ભાજપની સફળતા માનવી જોઈએ, એલજેપી-રામવિલાસની નહીં.