સંવાદ પણ સંમતિ અને અસંમતિ વચ્ચેનો એક માર્ગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અભિનેતા કમલ હાસને કંઈક અસુવિધાજનક કહ્યું હોય, તો તે અંતિમ સત્ય નથી. લોકોને અલગ અલગ મંતવ્યો રાખવાનો અધિકાર છે, પરંતુ આ કારણે ફિલ્મનું પ્રદર્શન રોકી શકાય નહીં. હસને તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે કન્નડ ભાષા તો તમિલમાંથી ઉતરી આવી છે, જેનાથી કન્નડના વિદ્વાનો, રાજનેતાઓ અને કન્નડ તરફી કાર્યકરો ગુસ્સે થયા હતા. માફી માગવાના તેમના ઇન્કારથી કર્ણાટકમાં વ્યાપક વિરોધ થયો અને કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સે 'ઠગ લાઇફ' ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. ૩ જૂન ૨૦૨૫ ના રોજ, કર્ણાટક હાઇકોર્ટે હાસનને ચેતવણી આપી હતી કે તેઓ પ્રજાની લાગણીઓને ઠેશ પહોંચાડવા માટે તેમના વાણીનો સ્વાતંત્ર્યના અધિકાર તરીકેનો ઉપયોગ કરી શકતા નથી.
સર્વોચ્ચ અદાલતે આ કેસમાં રસપ્રદ ટકોર કરી છે. અદાલતે કહ્યું કે શું દેશમાં બૌદ્ધિક ચર્ચા માટે કોઈ અવકાશ છે કે નહીં? જો છે, તો શું અભિનેતા કમલ હાસનની ફિલ્મ 'ઠગ લાઈફ'નો વિરોધ ફક્ત એટલા માટે થવો જોઈએ કારણ કે તેમણે એવું નિવેદન આપ્યું હતું જે લોકોને પસંદ નથી? સુપ્રીમ કોર્ટે તેને ગંભીરતાથી લીધું અને કહ્યું કે એ વિધાનને વિરોધ કરવાને બદલે બૌદ્ધિક ચર્ચા તરીકે લેવું જોઈતું હતું. સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત થયા પછી પણ આ ફિલ્મનું પ્રદર્શન જે રીતે બંધ કરવામાં આવ્યું, તેના પરથી સમજી શકાય છે કે ચર્ચા માટે કેટલી જગ્યા બાકી છે. સંવાદ પણ સંમતિ અને અસંમતિ વચ્ચેનો એક માર્ગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અભિનેતાએ કંઈક અસુવિધાજનક કહ્યું હોય, તો તે અંતિમ સત્ય નથી. લોકોને અલગ અલગ મંતવ્યો રાખવાનો અધિકાર છે, પરંતુ આ કારણે ફિલ્મનું પ્રદર્શન રોકી શકાતું નથી.
પોલીસ અને રાજ્ય સરકારની મૌખિક સૂચનાઓ દ્વારા પ્રમાણપત્ર મળ્યા પછી પણ ફિલ્મનું પ્રદર્શન જે રીતે બંધ કરવામાં આવ્યું તેનાથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટે કહેવું પડયું કે લોકોને ફિલ્મ જોવાથી રોકવા માટે તેમનાં માથાં પર બંદૂક તાકી શકાતી નથી. અભિનેતા કમલ હાસન ફિલ્મો અને વિચારો દ્વારા પોતાના વિચારો અંગે અવાજ ઉઠાવતા રહ્યા છે. આ વખતે તેઓ તેમની ફિલ્મ 'ઠગ લાઈફ'નો ઓડિયો રિલીઝ કરતી વખતે કન્નડ ભાષા પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાઈ ગયા. રાજ્યમાં આનો ભારે વિરોધ થયો હતો. કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સે તો ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી કમલ હસન માફી નહીં માંગે ત્યાં સુધી તેમની ફિલ્મ રાજ્યમાં પ્રદર્શિત થવા દેવામાં આવશે નહીં. ફિલ્મ ૫ાંચમી જૂને દેશભરમાં રિલીઝ થઈ હોવા છતાં, કર્ણાટકમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને આનું કારણ પૂછયું એટલું જ નહીં, પરંતુ એમ પણ કહ્યું કે કહેવાતા નૈતિક ચોકીદારોને શેરીઓમાં કબજો કરવાની અને લોકોને ફિલ્મ જોતા અટકાવવા માટે હંગામો કરવાની મંજુરી આપી શકાતી નથી.
અદાલતે કહ્યું કે રાજ્ય સરકાર લોકવિરોધના ડરથી તેની પોતાની બંધારણીય જવાબદારીથી છટકી શકે નહીં. કમલ હાસને જરાક ઠાવકાઈથી એમ પણ કહ્યું હતું કે તામિલ, સંસ્કૃત અને તેલુગુ ભાષાની સરખામણીમાં કન્નડ ભાષા 'યંગેસ્ટ' (નાની) છે અને આપણે એની સંભાળ લેવી જોઈએ અને ચોક્કસ આપણે એની સંભાળ રાખીશું. પણ બહુ થોડા જ શબ્દોમાં આખા કર્ણાટકમાં ધમાલ મચી ગઈ.
પાર્થસારથી શ્રીનિવાસન જે વ્યાવસાયિક રીતે કમલ હાસન તરીકે ઓળખાય છે, એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી છે જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે. ભારતીય સિનેમાના સૌથી કુશળ અભિનેતાઓમાંના એક માનવામાં આવતા, હસન તમિલ સિનેમામાં ઘણી નવી તકનીકો રજૂ કરવા માટે પણ જાણીતા છે. તમિલ ફિલ્મો ઉપરાંત, તેમણે કેટલીક મલયાલમ, તેલુગુ, હિન્દી, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમણે ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, નવ તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો, ચાર નંદી પુરસ્કારો, એક રાષ્ટ્રપતિ પુરસ્કાર અને અઢાર ફિલ્મફેર પુરસ્કારો જીત્યા છે. 'એક દૂજે કે લિયે', 'સદમા', 'ચાચી ૪૨૦' અને 'પુષ્પક' ફિલ્મોથી એમને આખો દેશ ચાહતો થયો છે. તેઓ ચોક્કસ વિચારધારા સાથે કારકિર્દી આગળ વધારે છે. એટલે કે તેઓ સાવ પ્રોફેશનલ અભિનેતા નથી. એમણે કરોડો રૂપિયાના સામાજિક ચેતનાના કામ કરેલા છે. સર્વોચ્ચ અદાલતે કરેલી ટિપ્પણી પછી પણ એક દિવસ તો કર્ણાટક સરકાર બાઘા છાપ મુદ્રામાં બેસી રહી પણ પછી એણે ફિલ્મ પ્રદર્શિત કરવાને સંમતિ આપી દીધી.


