પાંચ દાયકાથી વધુ સમય પછી, પૂર્વીય ભારત એક એવા વળાંક પર હોય તેવું લાગે છે જ્યાં રાજકીય સંકલન, નીતિગત સ્થિરતા અને આર્થિક સંભાવનાઓ એકસાથે આકાર લઈ રહી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર, ભાજપ હવે ચાર મુખ્ય પૂર્વીય ભારતીય રાજ્યો - બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામ -માં સત્તામાં છે અને કેન્દ્રમાં પણ તેની સરકાર છે.
૧૯૭૪ પછી આ પહેલી વાર છે જ્યારે પૂર્વ ભારતમાં આ પ્રકારનું રાજકીય સંકલન જોવા મળી રહ્યું છે. છેલ્લી વખત આવું ત્યારે બન્યું હતું જ્યારે દેશનું રાજકીય અને આથક માળખું સંપૂર્ણપણે અલગ હતું. આ પરિવર્તનનું મહત્વ ફક્ત ચૂંટણી ગણિત પૂરતું મર્યાદિત નથી. તે એક વ્યૂહાત્મક તકનો સંકેત આપે છે જે પૂર્વીય ભારત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, જે પ્રદેશો તેની ક્ષમતા હોવા છતાં લાંબા સમયથી ઇચ્છિત વિકાસથી વંચિત છે.
બંગાળમાં થયેલું પરિવર્તન સૌથી મહત્વપૂર્ણ છે. સ્વતંત્રતા સમયે, બંગાળને ભારતના સૌથી સમૃદ્ધ અને સાંસ્કૃતિક રીતે પ્રભાવશાળી પ્રદેશોમાંનો એક માનવામાં આવતો હતો. કોલકાતા માત્ર એક શહેર જ નહોતું, પરંતુ વેપાર, ઉત્પાદન, નાણાં, સાહિત્ય, કલા અને બૌદ્ધિક ક્ષમતાઓનું રાષ્ટ્રીય કેન્દ્ર હતું. બંગાળે દેશને નોબેલ પુરસ્કાર વિજેતાઓ, ઉદ્યોગપતિઓ, વિચારકો, કલાકારો અને સમાજ સુધારકો આપ્યા જેમણે આધુનિક ભારતનો માર્ગ ઘડયો, પરંતુ સમય જતાં, રાજ્યએ તેની આર્થિક તાકાત ગુમાવી દીધી. સરકારો ઉદ્યોગ, રોકાણ અને ઉદ્યોગ સાહસિકતા માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં નિષ્ફળ ગઈ. ઉદ્યોગ વિરોધી ભાવના, નીતિગત અનિશ્ચિતતા, શ્રમ આંદોલનો, આતંકવાદ અને વૈચારિક કઠોરતાએ ધીમે ધીમે રોકાણકારોનો વિશ્વાસ ઘટાડયો. પરિણામે, ઔદ્યોગિક ઘટાડો, મૂડી પલાયન અને મોટા પાયે પ્રતિભાઓનું બહાર નીકળવાનું ચાલુ રહ્યું. ભારતના GDPમાં બંગાળનો હિસ્સો, જે ૧૯૬૦-૬૧માં આશરે ૧૦.૫ ટકા હતો, તે આજે ઘટીને આશરે ૫.૬ ટકા થઈ ગયો છે.માથાદીઠ આવક, જે એક સમયે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી વધારે હતી, હવે તેનાથી નીચે આવી ગઈ છે.
૨૦૧૧ પછીથી ૬,૬૦૦ થી વધુ કંપનીઓ કાં તો બંધ થઈ ગઈ છે અથવા રાજ્યની બહાર ગઈ છે. આ પરિસ્થિતિ દુઃખદ છે, કારણ કે બંગાળ હંમેશા કુદરતી અને વ્યૂહાત્મક શક્તિઓ ધરાવતું રહ્યું છે. ફળદ્રુપ ખેતીલાયક જમીન, લાંબો દરિયાકિનારો, મુખ્ય બંદરો, દક્ષિણપૂર્વ એશિયાની નિકટતા અને ઉત્તરપૂર્વ ભારતનું પ્રવેશદ્વાર હોવા જેવી સુવિધાઓ કોઈપણ પ્રદેશને આર્થિક પાવરહાઉસ બનાવી શકે છે. બંગાળ ભારતનું બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને ઉત્તરપૂર્વ ભારત સાથે મુખ્ય જોડાણ બિંદુ છે, પરંતુ માત્ર ભૂગોળ વિકાસની ગેરંટી આપતું નથી. સંસ્થાકીય ક્ષમતા અને નીતિ સંબદ્ધતા પણ એટલી જ જરૂરી છે. લાંબા સમય સુધી, કેન્દ્ર સરકાર અને પૂર્વીય રાજ્યો વચ્ચે રાજકીય વિસંવાદિતાએ આ પ્રદેશ માટે વ્યાપક વિકાસ વ્યૂહરચનાનો વિકાસ અટકાવ્યો. સંકલનના અભાવે લોજિસ્ટિક્સ કોરિડોર, બંદર આધુનિકીકરણ, ઔદ્યોગિક ઝોન અને સરહદ વેપાર જેવા પ્રોજેક્ટ્સ ઇચ્છિત ગતિ મેળવી શક્યા નહીં.
આ અવરોધ હવે મોટાભાગે દૂર થઈ ગયો હોય તેવું લાગે છે. રાજકીય રીતે સંકલિત પૂર્વીય ભારત હવે લાંબા ગાળાના આયોજનની શક્યતા પ્રદાન કરે છે. પૂર્વ કિનારાના આથક કોરિડોર, તાજપુર બંદર, લોજિસ્ટિક્સ નેટવર્ક્સ, ઔદ્યોગિક ઉત્પાદન ક્લસ્ટરો અને એક્ટ ઇસ્ટ પોલિસી સાથે ઊંડાણપૂર્વકનું સંકલન હવે વધુ નીતિગત સ્થિરતા અને ઝડપી અમલીકરણનો આનંદ માણી શકે છે. આર્થિક સંભાવનાઓ અપાર છે. ભારત-બાંગ્લાદેશ વેપારનું પ્રમાણ વાર્ષિક રૂપિયા ૧.૮ લાખ કરોડને વટાવી ગયું છે, પરંતુ બંગાળ હજુ પણ મર્યાદિત લાભ મેળવે છે. નેપાળ અને ભૂતાન બંગાળના પરિવહન નેટવર્ક પર આધાર રાખે છે, જ્યારે સમગ્ર ઉત્તરપૂર્વ દરિયાઈ જોડાણ પણ આ પ્રદેશ પર આધાર રાખે છે. કોલકાતા અને હલ્દિયા પૂર્વી ભારતના મુખ્ય દરિયાઈ પ્રવેશદ્વાર છે, અને પ્રસ્તાવિત તાજપુર સમુદ્રી બંદર સમગ્ર પ્રદેશના આર્થિક માર્ગને બદલવાની ક્ષમતા ધરાવે છે. જોકે, એકલા માળખાગત સુવિધાઓ બંગાળને પુનર્જીવિત કરી શકતી નથી. સૌથી વધુ જરૂરિયાત રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની છે.


