Get The App

યુદ્ધ : દૂર હૈ કિનારા..! .

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ : દૂર હૈ કિનારા..!                              . 1 - image

ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને ખોલી અને ટ્રમ્પના બકવાસ સાંભળીને ફરી બંધ કરી. એ ફરી પણ ખુલશે ને ફરી બંધ પણ થશે. ટ્રમ્પ યુદ્ધને લંબાવીને ઈરાનના હાથે દુનિયાના વાણિજ્ય વ્યવહારને ખોરંભે પાડવા ચાહે છે. કિલ્લાના દરવાજા તોડવા માટે આક્રમણકારી રાજાઓ ઊંટને આડા રાખતા અને પછી હાથીઓ એના પર ધસી જતાં એ રીતે ટ્રમ્પે પાકિસ્તાનને અઢારેય અંગે વાંકા ઊંટરૂપે પાકિસ્તાનને મંત્રણામાં આડું રાખ્યું છે. પાકિસ્તાનમાં બૌદ્ધિક દુષ્કાળ પહેલા પડયો પછી એના ફળરૂપે આર્થિક દુષ્કાળ પછી શરૂ થયો. વ્યક્તિગત અને રાષ્ટ્રગત જિંદગીમાં આ ક્રમ સમાન રીતે લાગુ પડે છે. અમેરિકા અને ઇઝરાયલ એક સાથે યુદ્ધે ચડયા હતા પરંતુ હવે એમના હેતુઓ બદલાયા છે. યુદ્ધવિરામ માટે ટ્રમ્પ એની સાથીસેના ઈઝરાયલ પર દબાણ કરી શકે એમ નથી. ટ્રમ્પ ખુદ નેતન્યાહુ વિશે એક પણ ઉતાવળું વિધાન કરી શકે એમ નથી. ઈઝરાયલે યુદ્ધમાં પાછળથી શરતો લાગુ જેવી ફૂદડી મૂકીને લેબનોન સામે સમાંતર જંગ છેડી દીધો.

હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં આ લેબનોન કબાબ કી હડ્ડી બનીને ટ્રમ્પના ગળે ફસાયેલું છે. યુદ્ધમાં પક્ષકારો એના એ જ છે પરંતુ ડાયમેન્શન નિત્ય નૂતન બદલતા રહે છે. આ બદલાતો રહેતો પવન અમેરિકા કે ઈરાનની નૌકાને કદી સુલેહના કાંઠા સુધી ન પહોંચવા દે. મતલબ કે હજુ દૂર હૈ કિનારા..! ગઈકાલે ઈરાનમાં સેનાદિવસની ભવ્ય ઉજવણી થઈ. મોજતબા ખામેનીએ ઈરાનના સ્વાભિમાન પર અને અમેરિકાના અભિમાનના ખંડન પર ઘણી વાતો કરી જેના પ્રતિસ્પંદમાં ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એક તાકીદની મિટિંગ પણ બોલાવવી પડી. ઈરાનિયન નૌકાદળે ગઈકાલે બે ભારતીય જહાજો ઉપર પણ હોર્મુઝમાં ગોળીબારો કર્યા જેનાથી બન્ને જહાજોએ યુ-ટર્ન લેવો પડયો. ભારતની અસ્પષ્ટ વિદેશનીતિનું આ પરિણામ છે. એસ. જયશંકરની આપસૂઝ દાદ દેવા પાત્ર છે પણ દેશને વારંવાર સુષમા સ્વરાજની યાદ આવે છે. આપ હોતે તો ઐસા હોતા. આપ હોતે તો વૈસા હોતા.

યુદ્ધ હવે ભારત સહિતના દેશોના જનજીવનના રંગ અને રાગ બદલવા સુધી પહોંચી ગયું છે. પશ્ચિમ એશિયાઈ યુદ્ધની ભારત પર અસર અંગે  સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (ેંશઘઁ) ના એક નવા અહેવાલના તારણો ચિંતાજનક છે. અહેવાલમાં જણાવાયું છે કે ખાડીમાં ઈરાન-અમેરિકા યુદ્ધથી ઊભી થયેલી પરિસ્થિતિ ભારતમાં વધારાના પચીસ લાખ લોકોને ગરીબીમાં ધકેલી શકે છે, જેનાથી માનવ વિકાસ પ્રગતિમાં ઘટાડો થવાની શક્યતા વધી જાય છે. અહેવાલમાં એ પણ જણાવાયું છે કે પશ્ચિમ એશિયામાં લશ્કરી પ્રવૃત્તિમાં વધારો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં માનવ વિકાસ પર નકારાત્મક અસર કરશે. અહેવાલ કહે છે કે બળતણ, માલસામાન અને કાચા માલના વધતા ખર્ચ ઘરની ખરીદ શક્તિમાં ઘટાડો કરી રહ્યા છે, જેનાથી ખાદ્ય અસુરક્ષામાં વધારો થઈ રહ્યો છે. વિકાસ પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવેલા સરકારી બજેટ પણ વધારાના દબાણનો સામનો કરે છે, અને આજીવિકાની તકો ઘટી રહી છે.

આ કટોકટી દરમિયાન વિશ્વભરમાં ૮.૮ મિલિયન લોકો ગરીબીમાં ફસાઈ જવાની ધારણા છે, જ્યારે ભારતમાં અંદાજિત સંખ્યા તુલનાત્મક રીતે ઓછી છે. . અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આશરે ૨૯૯ બિલિયન ડોલરનું નુકસાન નિશ્ચિત છે. જોકે ગરીબ લોકોની વધતી સંખ્યા ભારતની મોટી વસ્તીની તુલનામાં ઓછી હોવા છતાં, તે ભારતમાં ગરીબી દરમાં વધારો કરશે, જે કુલ ૩૫૪ મિલિયન સુધી પહોંચવાની ધારણા છે. ખરેખર, આજે પણ, ભારત તેની ઓઈલ જરૂરિયાતોના લગભગ ૯૦ ટકા તો આયાત પર આધાર રાખે છે. આપણે આપણા ૪૦ ટકા થી વધુ ક્ડ તેલ અને ૯૦ ટકા રાંધણ ગેસ પશ્ચિમ એશિયામાંથી આયાત કરીએ છીએ. આપણે આપણા ૪૦ ટકા ખાતરો પણ યુદ્ધગ્રસ્ત પશ્ચિમ એશિયામાંથી આયાત કરીએ છીએ. ન્શય્ ના ભાવમાં વધારાથી કોલસા આધારિત વીજળી પરની આપણી નિર્ભરતા વધી છે.

બીજી તરફ, વેપાર અને પુરવઠા શૃંખલાઓ પર પણ અસર પડી છે. નૂર ચાર્જ, યુદ્ધ જોખમ વીમો, ડાયવર્ઝન અને વિલંબ આયાતી ઓઈલના ભાવમાં વધારો કરી રહ્યા છે, જેના કારણે પડતર કિંમત વધી રહી છે અને નિકાસને નુકસાન થઈ રહ્યું છે. આ આપણી ખાદ્ય સુરક્ષા પર પણ અસર કરી રહ્યું છે. ખાતર પુરવઠામાં વિક્ષેપો ખરીફ પાક પર અસર કરશે. આ બધું સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરે છે, જેનાથી મોટી વસ્તી માટે રોજગાર અને આવક પર અસર પડી રહી છે. નોઈડા અને માનેસરમાં તાજેતરમાં મજૂર અશાંતિ આની પરાકાષ્ઠા છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આર્થિક મુશ્કેલીઓને કારણે સામાન્ય માણસ મર્યાદિત આવકને કારણે આવશ્યક ખર્ચમાં ઘટાડો કરી રહ્યો છે. આ સ્થિતિ ઓછી આવક ધરાવતા લોકો માટે નવી આર્થિક કટોકટી ઊભી કરે છે. મજૂર અશાંતિ વચ્ચે, ગુસ્સો ઉભરી આવ્યો છે કે તેમની આવક ફુગાવાના પ્રમાણમાં વધી રહી નથી, જેના કારણે ગુજરાન ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. 

જાહેર કરાયેલા એક સરકારી અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે કે માર્ચમાં છૂટક ફુગાવો વધીને ૩.૪ થયો છે, જે આંકડો પશ્ચિમ એશિયામાં ઉદભવતા સંકટને આભારી છે. પ્રશ્ન એ છે કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસો કેમ નિષ્ફળ રહ્યા છે. જો આ પગલાં અસરકારક છે, તો ફુગાવો હજુ પણ કેમ વધી રહ્યો છે? હકીકતમાં, ખાદ્યપદાર્થોના વધતા ભાવને ફુગાવાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. જોકે સરકાર દલીલ કરે છે કે છૂટક ફુગાવો રિઝર્વ બેંકની ચાર ટકાની લાલ રેખાથી નીચે છે, પરંતુ સ્થિર આવકને કારણે ફુગાવો ખરેખર વધુ મજબૂત રીતે અનુભવાઈ રહ્યો છે.