પ્રજાનાં પોતાનાં (અપ)લક્ષણ .
Updated: Mar 19th, 2024
ચૂંટણી ટાણે માત્ર શાસકોનું જ નહીં, પ્રજાએ પોતાનું પણ આ અવસરે મૂલ્યાંકન કરી લેવું જોઈએ. ૧૯૪૭થી આપણે ક્યાં જવા નીકળ્યા હતા અને પંચોતેર વરસની લાંબી યાત્રા પછી આપણે ક્યાં પહોંચ્યા છીએ? શું દેશમાં સજ્જનોની ઓછપ દરેક ક્ષેત્રમાં છે? આપણને કેસર ઘોળ્યા દૂધના કટોરા પર પણ વિશ્વાસ નથી? બાળકોના નિષ્ણાત તબીબોએ એમ કહેવાની શરૂઆત કરી દીધી છે કે માતાના અમૃતમય આહાર પછી બાળકને બહારનું દૂધ ન આપશો, એને ફળફળાદિ, લીલા શાકભાજી, કઠોળ અને થોડો સુકા મેવાનો ભુકો આપશો તો ચાલશે. ડોક્ટરોનો બ્રાન્ડેડ દૂધ પરનો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે. દેશનાં લગભગ તમામ ક્ષેત્રોમાં એકડે એકથી કામની શરૂઆત કરવી પડે એવી હાલત તરફ આપણે ધકેલાઈ રહ્યા છીએ. દરેક ચોમાસુ આપણા દેશના તમામ જાહેર બાંધકામો સામેનો પડકાર છે.
આટલાં વરસો પછી મેટ્રો સિટી એટલે શું એ જ બૃહદ્ મુંબઈ મહાપાલિકાને સમજાયું નથી. એક પૂલ તૂટયો ને બીજો પુલ તૂટવાની ચેતવણી મુંબઈ પોલીસે ટ્વિટર પર જાહેર કરી હતી, જેથી બ્રહ્મપુત્રાના ઘોડાપુર જેવા ટ્રાફિકના પ્રવાહને વિવિધ દિશાઓમાં ડાયવર્ટ કરવો પડયો. દેશ ડાયવર્ઝનમાંથી પ્રગતિની મુખ્ય ધારાના મુખ્ય માર્ગ પર ક્યારે પાછો ફરશે? આરોગ્ય, શિક્ષણ, આંતરિક સુરક્ષા... બધે જ નજર દોડાવો તો વારંવાર રોકાઈ-રોકાઈને નજર થાકી જાય એવા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પડાવો છે. એમાં પ્રજાનાં પોતાનાં અપલક્ષણોનું પણ ઘણું પ્રદાન છે. બળાત્કારનું જાણે કે સમર્થન કરતા હોય એમ પોલીસ સ્ટેશનમાં પીડિતાને દુષ્ટ બુદ્ધિથી પ્રશ્નો પૂછતા ને ઊંચા પદે પહોંચી ગયેલા જમાદારો કાશ્મીરથી કન્યાકુમારી (વાયા અમદાવાદ) વારંવાર લોકનજરે ચડે છે અને પ્રજા ખિન્ન થઈ જાય છે.
શાળા સંચાલકો ખાનગી શૈક્ષણિક પ્રણાલિકાઓને ઔદ્યોગિક એકમની જેમ ચલાવે છે. તેમને પણ નફો કરવાનો અધિકાર ચોક્કસ છે અને એ બંધારણીય છે, પરંતુ આ કામ તેઓ ગેરબંધારણીય ફી માળખું ઊભું કરીને જે સ્વાર્થ સિદ્ધ કરી રહ્યા છે તેની સામે પણ અજંપો વ્યાપક છે. ઓગણીસમી સદીના આરંભે જાપાનના ટોકિયોમાં ઈટાઈબાશી પુલ તૂટયો હતો જેમાં પંદરસો નાગરિકોએ જિંદગી ગુમાવી હતી, પરંતુ એ દુર્ઘટનાને જાપાન પછીથી થયેલા પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી પણ ભૂલ્યું ન હતું અને આજે પણ જાપાન સરકાર દરેક પુલમાં બ્રિજ સેન્સર લગાવે છે જે એની ક્ષમતાની મર્યાદા પ્રમાણે તૂટતા પહેલા સાવધાની માટે મોટા અવાજે એલાર્મ વગાડે છે. પરંતુ આવો એલાર્મ વાગે જ નહીં એની સાવધાની દરેક પુલમાં રાખવામાં આવે છે. આપણે ત્યાં ભારતમાં ટેકનોલોજીની સમસ્યા તો પછીની વાત છે અને આવનારા વર્ષોમાં જાપાન જેવા બ્રિજ સેન્સર પણ ગોઠવાઈ જશે, પરંતુ દરેક પુલનું બાંધકામ ચાલતુ હોય ત્યારે કરપ્શન સેન્સર કોણ મૂકશે? આપણા દેશ પાસે દરેક ક્ષેત્રમાં વિદ્વાનોનો સમુદાય હજુ પણ છે, પરંતુ એમના ઉપર રાજકારણીઓનો જે કબજો છે એને કારણે પુલો તૂટતા રહે છે, રસ્તાઓ ફરી ફરી બાંધવા પડે છે. પોતાની સામેના વિકરાળ પ્રશ્નો અંગે નેતાઓ નિરુત્તર છે અને પ્રજા વિમાસણમાં મૂકાઈ ગયેલી છે. નેતાઓ જાણતા નથી કે તેમની અને પ્રજાની વચ્ચેનો પુલ પણ તૂટી રહ્યો છે.
મુંબઈમાં અંધેરીનો પુલ તૂટી પડતા રીક્ષા અને ટેક્સી ચાલકોએ કેવું વર્તન કર્યું હતું તે યાદ છે? તેઓએ એકાએક મનગમતા ઊંચાં ભાડાં લેવાનો ક્રમ અજમાવ્યો. ટેક્સીવાળાઓએ ચિક્કાર રૂપિયાની ડિમાન્ડ કરી કહ્યું - જર તુમ્હાલા યેણ્યાચી ઈચ્છા અસેલ તર મગ ઈથે યા ઈથે રાહા! તમારે આવવું હોય તો આવો નહીંતર અહીં ને અહીં પડયા રહો! પુલ પડે છે તે ભારતીય પુલ છે, મુંઝાયેલો પ્રવાસી નગરજન પણ ભારતીય છે અને તેની તકલીફમાં પોતાના ધંધાનો 'વિકાસ' જોઈ રહેલો ટેક્સી ડ્રાઈવર પણ ભારતીય છે. અંધેરીમાં એક સાથે અનેક ભારતીય પરિબળો અને પદાર્થોનું અણધાર્યું સંમિલન યોજાઈ ગયું હતું! દેશ એક એવા વળાંકે આવીને ઊભો છે કે પ્રજા પોતે સ્વમૂલ્યાંકન નહીં કરે તો ચોતરફના ભ્રષ્ટ વંટોળમાં એ એના રહ્યાસહ્યા જાહેર જીવનના સંસ્કાર પણ ગુમાવી દેશે. જેના હાથમાં મહાનગરોના વહીવટ છે એમણે હવે તો દુનિયા જોયેલી જ હોય. સાન ફ્રાન્સિસ્કોના એક જમાનાના ચિફ સીટી પ્લાનર મિસ્ટર એલન જેકબ જેમણે અમદાવાદના સી.જી. રોડની ડિઝાઈન બનાવીને વિશિષ્ટ પાર્કિંગ વ્યવસ્થા શીખવાડી છે તેઓનું તો એ મહાન જ્ઞાાાનસૂત્ર છે કે જનસંખ્યા વધવાની સાથે જો રસ્તાઓ પહોળા કરવામાં ન આવે અને એ કામ સતત થતું ન રહે તો કુદરતી આપદાઓ અને બાંધકામ દુર્ઘટનાઓમાં વિનાશ વધતો જાય છે. મુંબઈ સહિતનાં દેશના અનેક મહાનગરો અને એલન જેકબનું વિધાન આજે સામસામે ઊભાં છે.