Get The App

હેલિકોપ્ટર દુર્ઘટનાનો સિલસિલો

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
હેલિકોપ્ટર દુર્ઘટનાનો સિલસિલો 1 - image


ઉત્તરાખંડના ચારધામમાં વધુ એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. એક હેલિકોપ્ટરના સમાચારની શ્યાહી સૂકાય એ પહેલા જ બીજું હેલિકોપ્ટર પડે છે આ સિલસિલો ઘણા લાંબા સમયથી ચાલે છે. નિયમોની અવગણના, બેદરકારી અને મહત્તમ નફો કમાવવાની દોડનું આ પરિણામ છે. દરેક વ્યવસ્થાતંત્રની એ કમાલ હોય છે કે કમાણી જ્યારે સર્વોચ્ચ લક્ષ્યાંક હોય ત્યાં મનુષ્યની ધબકતી જિ:દગીની કોઈ કિંમત હોતી નથી. પ્રવાસે ગયા એટલે પાછા આવો ત્યારે હાશ થાય. એ આનંદ કે એ ભક્તિ શા કામના જે અદ્ધર જીવ રાખે ને માથે મોતની લટકતી તલવાર બતાવે. ફક્ત મે-જૂનમાં થયેલા પાંચ હેલિકાપ્ટર અકસ્માતો કે જેમાં ૧૩ લોકો માર્યા ગયા, તે દર્શાવે છે કે ભૂતકાળની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી અને સરકારી કાર્યવાહીની હેલિકોપ્ટર ઓપરેટરો પર કોઈ અસર થઈ રહી નથી.

તાજેતરમાં કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક અકસ્માત થયો હતો. તેનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. સંબંધિત કંપની આર્યન એવિએશનના અધિકારીઓ વિરુદ્ધ ર્જીંઁનું પાલન ન કરવા બદલ ખૈંઇ નોંધવામાં આવી છે. પરંતુ આનાથી એ પ્રશ્ન પણ ઉભો થાય છે કે જ્યારે હવામાન અનુકૂળ ન હતું, ત્યારે ઉડાન કેવી રીતે ભરી - શું હેલિકોપ્ટર સેવા પર કોઈ દેખરેખ વ્યવસ્થા નથી? થોડા દિવસો પહેલાં જ આ મામલે એક કંપનીના બે પાયલટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં, બીજી કંપની ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન કરે છે. એનો અર્થ છે કે સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ મળનારા દંડ કે સજા એટલા ક્ષુલ્લક છે કે એનો કોઇને ભય નથી. 

ઉત્તરાખંડમાં યાત્રાળુઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને હેલિકોપ્ટર સેવામાં પણ વધારો થયો છે. પરંતુ, સલામતીના ધોરણોને અવગણવાના ઘણા આરોપો લાગ્યા છે. મુસાફરીની મોસમ મર્યાદિત હોવાથી, મોટાભાગની કંપનીઓ શક્ય તેટલી વધુ ફ્લાઇટ્સ ઉડાવવા અને નફો કમાઈને તિજોરી ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ જ કારણે ક્યારેક ઉત્તરકાશી જેવા અકસ્માતો થાય છે અને ક્યારેક રસ્તા પર હાર્ડ લેન્ડિંગનાં ચિત્રો આવે છે. આનું એક પાસું પર્યાવરણ પર થતી નકારાત્મક અસર પણ છે. ઉડ્ડયન નિષ્ણાતો માને છે કે ચારધામ રૂટ, ખાસ કરીને કેદારનાથ રૂટ, પાયલોટ માટે સૌથી પડકારજનક છે. અહીં ફ્લાઇટ્સ વધી છે, પરંતુ રડાર કે એર ટ્રાફિક કંટ્રોલ જેવી જરૂરી માળખાગત સુવિધા નથી. પાયલટ્સને આગળ વધવા માટે ફક્ત તેમની આંખો પર જ આધાર રાખવો પડે છે, પરંતુ તે ઊંચાઈ પર, જ્યાં હવામાન અચાનક બદલાય છે, તે ખૂબ જોખમી છે. એમાં વળી કંપનીઓનો લોભ આ જોખમને વધુ વધારે છે.

મનુષ્યની આંખો મુખ્યત્વે ફ્રન્ટ વિઝન માટે કુદરતે બનાવેલી છે. ડાઉન વિઝન એ પંખીઓનો રોજનો સ્વાધ્યાય છે, માણસનો નહીં. છતાં હવાઈ ઉડ્ડયન વિદ્યા મુખ્યત્વે ગણિત પર આધારિત છે. એ એક મેથેમેટિકલ ગેઈમ છે. એટલે પાયલોટની ગણતરી ભાગ્યે જ ખોટી પડે. વિમાનોની ગતિ તો બિયોન્ડ ઇમેજિનેશન હોય છે. આ ટેકનિકલ પરિભાષા છે. ત્યાં માત્ર ગણિત જ કામ લાગે છે. ચારધામના પાયલોટોએ માત્ર આંખ પર વિશ્વાસ રાખીને કામ કરવું પડે છે, કારણ કે કન્ટ્રોલ ટાવરનો કોઈ સપોર્ટ ન હોવાથી કાલ્પનિક ગણિત કેમ ચાલે? થોડા દિવસો પહેલા જ, ઘય્ભછ (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ ચાર ધામ કોરિડોરમાં ફ્લાઇટ્સની સંખ્યા અડધી કરી દીધી હતી અને ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળના કંટ્રોલ રૂમમાં તેના અધિકારીઓની નિમણૂક પણ કરી હતી. જોકે, આ સાથે, હેલિકોપ્ટર સેવાઓ પૂરી પાડતી કંપનીઓ પર નિયંત્રણ રાખવાની પણ જરૂર છે. દેશના અન્ય કોઈપણ ભાગની સરખામણીમાં હિમાલય આસપાસમાં ઉડાન ભરવામાં વધારાની સાવધાની રાખવી જરૂરી છે.

દેશના ટોચના સેનાધિકારીઓ પણ હેલિકાપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા છે. લશ્કરી હેલિકોપ્ટરો ભાગ્યે જ નિષ્ફળ નીવડે છે. હિમાલયની તળેટીના વિસ્તારોમાં બરફીલી વર્ષા ગમે ત્યારે થાય તો ત્યારે વિઝન શૂન્યતાનું જોખમ રહે છે. ખાનગી કંપનીઓ ઓછા અનુભવ ધરાવતા પાયલોટની ભરતી વધારે કરે છે જેથી એનું પગાર બંધારણ ઘટાડી શકાય. અનુભવી પાયલોટ ચાહે એટલું મહેનતાણું આ કંપનીઓ આપતી નથી એવી પણ ફરિયાદ છે. કેન્દ્ર સરકાર પાસે ખાનગી હેલિકોપ્ટર સેવાઓની ગુણવત્તા ચકાસણી માટેનું કોઈ આગવું વ્યવસ્થા તંત્ર નથી જેની સજા કોમળ હૃદય ધરાવતા શ્રદ્ધાળુઓએ ભોગવવી પડે છે. 

Tags :