સતત અભિવૃદ્ધ વિસ્થાપિતો .
આખી જિંદગી કાળી મજૂરી કરીને પોતાના સપનાની દુનિયા જે જે લોકોએ વસાવી હોય છે એ રાતોરાત મૂકીને ચાલ્યા જવું એનાથી મોટું સંકટ જિંદગીમાં કોઈ હોતું નથી. જેઓ પોતાના પરિવારને થાળે પાડીને જીવન જીવે છે એમણે પોતાના તમામ અસબાબને પડતો મૂકીને પોતાના પરિવારને લઈને ક્યાં જવું એ પ્રશ્ન સાથે ઘર અને વતન છોડી દેવું એ કેટલું બધું અઘરું છે. છેલ્લા દસ વર્ષમાં દુનિયાભરમાં વિસ્થાપિત લોકોની સંખ્યા દર વર્ષે લાખોની સંખ્યામાં વધી રહી છે. લગભગ દર વર્ષે એક નવા યુદ્ધની ચિનગારી પ્રગટે છે અને જુના યુદ્ધો જે ચાલુ છે એમાં ઉમેરાય છે અને એ રીતે પોતાના પરિવારને છોડીને પોતાના વતન અને ઘરને છોડીને ચાલી નીકળેલા લોકો જેને પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણા છે એની સંખ્યા આ પૃથ્વી પરનું અત્યારે સૌથી મોટામાં મોટું ભારણ છે. વળી આ વિસ્થાપિતોને આવકારવા માટે પૃથ્વી પર એક પણ ઘર ઉપલબ્ધ નથી. ધીરે ધીરે તમામ દેશોની સરહદો પર વિસ્થાપિતોને રોકવા માટેના સૈન્ય ગોઠવાઈ ગયેલા છે.
પોતાનું ઘર છોડીને બીજે ક્યાંય સ્થળ શોધવાની મજબૂરી જીવનને વધુ મુશ્કેલ બનાવે છે. આવા લોકો પાસે વિસ્થાપનની પીડા સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ કોઈ એક દેશનો કિસ્સો નથી, પરંતુ વિવિધ કારણોસર વિસ્થાપિત થનારા લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં સતત વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના અહેવાલ મુજબ, વિશ્વમાં બળજબરીથી વિસ્થાપિત લોકોની સંખ્યા ૧૨૨ મિલિયનને વટાવી ગઈ છે, જે ગયા વર્ષ કરતાં લગભગ ૨૦ લાખ વધુ છે અને છેલ્લા દાયકાની તુલનામાં લગભગ બમણી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ, આંતરિક હિંસા અને અત્યાચાર મુખ્યત્વે લોકોના વિસ્થાપન માટે જવાબદાર છે.
હાલમાં વિશ્વમાં બે મુખ્ય મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે, તે છે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ. હવે એમાં ઈઝરાયલ - ઈરાનનો ઉમેરો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. નજીકના ભવિષ્યમાં આ યુદ્ધ સમાપ્ત થાય તેવા કોઈ સંકેત નથી. આ કારણે યુક્રેનમાં ૮૮ લાખ લોકોને પોતાના ઘર અને મિલકત છોડીને બીજી જગ્યાએ જવું પડયું છે. તે જ સમયે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઈરાનની દખલ પણ કોઈથી છુપાયેલી નથી. બીજી તરફ, સીરિયા એક દાયકાથી વધુ સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકો વિસ્થાપનનો સામનો પણ કરી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, ગયા વર્ષના અંતમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકોની સંખ્યા નવ ટકા વધીને ૭૩.૫ મિલિયન થઈ ગઈ છે. ગૃહયુદ્ધનો સામનો કરી રહેલ સુદાન વિશ્વના સૌથી મોટા વિસ્થાપન સંકટનું કેન્દ્ર બન્યું છે, જ્યાં સંઘર્ષને કારણે ૧૪ મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સીરિયામાં ૧૩.૫ મિલિયન વિસ્થાપિત લોકો કરતા વધુ છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાનમાં એક કરોડથી વધુ લોકોને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે. જોકે, આ બાબતમાં ભારતની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. જીનીવા સ્થિત ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ, ૨૦૨૪ માં ભારતમાં હિંસાને કારણે ૧,૭૦૦ લોકો વિસ્થાપિત થયા હતા, જે ૨૦૨૩ માં વિસ્થાપિત લોકોની સંખ્યા કરતા ઓછા છે. એવી આશા રાખવી જોઈએ કે ભવિષ્યમાં ભારતમાં આ બાબતમાં વધુ સુધારો થશે.
વિસ્થાપનનું બીજું પાસું એ છે કે આ લોકો ખાદ્ય સંકટ અને કુપોષણનો પણ શિકાર બની રહ્યા છે. વર્લ્ડ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના અહેવાલ મુજબ, વિશ્વભરના કુલ વિસ્થાપિત લોકોમાંથી ૯.૫ કરોડ લોકો એવા દેશોમાં રહે છે જ્યાં ખાદ્ય સંકટ પહેલાથી જ ગંભીર છે, જેમ કે કોંગો, કોલંબિયા, સુદાન અને સીરિયા. લગભગ ૨૦ દેશોમાં ૧૪ કરોડ લોકો યુદ્ધ અને હિંસાને કારણે ખાદ્ય અછતનો સામનો કરી રહ્યા છે. આના પરથી પરિસ્થિતિનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. જોકે સંયુક્ત રાષ્ટ્ર અને કેટલીક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ વિસ્થાપિત લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ નાણાકીય ભંડોળના અભાવે, તેમના પ્રયાસો પણ અપૂરતા સાબિત થઈ રહ્યા છે.