બેન્કોનો એનપીએ પ્રશ્ન .
બન્કોના પાછા ન ફરતા ધિરાણની સમસ્યાના ઉકેલ માટે રિઝર્વ બન્ક ઓફ ઈન્ડિયાના ૧૨ ફેબુ્રઆરીના પરિપત્રની સામે બન્કોની મુખ્ય ફરિયાદ એ હતી કે વ્યાજ કે મુદ્દલની ચુકવણીમાં કંપની એક દિવસનો પણ ડિફોલ્ટ કરે તો એને નોન-પરફોમગ એસેટ (એનપીએ) જાહેર કરવાની જોગવાઈ વધુપડતી સખત અને અવ્યવહારુ હતી. સર્વોચ્ચ અદાલતે ગયા એપ્રિલમાં આ પરિપત્રને ગેરકાયદે ઠરાવ્યો એ પછી ગયા શુક્રવારે ૭ જૂને રિઝર્વ બન્કે જે નવો પરિપત્ર બહાર પાડયો તેમાં બન્કોની આ ફરિયાદની નોંધ લઈ એક દિવસને બદલે તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હવે બન્કો આ મામલામાં ઝડપથી આગળ વધે એવી આશા અસ્થાને નથી.
બન્કો જો સમસ્યાના ઉકેલમાં ગલ્લાંતલ્લાં કરે કે ડૂબમાં જતી લોનને એનપીએ તરીકે જાહેર ન કરવા માટે કંપનીઓને વધારાની નવી લોન આપે તો રિઝર્વ બન્કે લાઠી પણ ઉગામી છે. આવા કિસ્સાઓમાં બન્કોએ વધુ જોગવાઈ કરવી પડશે. એટલું જ નહિ, તેમને દંડની જોગવાઈ પણ નવા પરિપત્રમાં છે. બન્કોનાં નાણાં પરત મેળવવાના આ પ્રયત્નોમાં બન્કોએ જે યોજના બનાવવાની છે-રિઝોલ્યુશન પ્લાન - તે જો ડિફોલ્ટના ૧૮૦ દિવસમાં અમલમાં ન આવે તો બન્કોએ જોગવાઇમાં ૨૦ ટકાનો વધારો કરવો પડશે અને જો ૩૬૫ દિવસ પછી પણ એવી જ પરિસ્થિતિ રહે તો વધારાના ૧૫ ટકાની જોગવાઈ કરવી પડશે.
બન્કો પાસે મૂડીની અછત છે અને જાહેર ક્ષેત્રની બન્કોને સરકારે નવી મૂડી ગયા નાણાકીય વર્ષના અંત ભાગમાં આપી એ પછી પણ પરિસ્થિતિ બહુ સુધરી નથી. આમ રિઝર્વ બન્કે બન્કોને શંકાસ્પદ લોન વસૂલી માટેની શરતો હળવી કરી આપી બન્કોની દુખતી નસ પકડી લીધી છે અને તેના ઉપયોગથી બન્કોને સમસ્યાના ઉકેલ માટે સક્રિય થવાની ફરજ પાડી છે. બન્કોના માથે આ લટકતી તલવાર રાખીને રિઝર્વ બન્કે તેમને ઝડપ દેખાડવાની ચીમકી આપી છે કેમ કે આ પ્રકારની જોગવાઈ કરવાનો વારો આવે તો નવી મૂડી પણ ધોવાઈ જવામાં ખતરો બન્કોની સામે છે.
નવા પરિપત્રની જોગવાઈઓ જોઈએ તો જણાય છે કે નોન-બન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, સ્મોલ ફાઇનાન્સ બન્કો, નાબાર્ડ, એક્ઝિમ બન્ક વગેરેને પણ હવે પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે. આ એક વ્યવહારુ વાત છે કારણ કે એનપીએ ફક્ત બન્કોની સમસ્યા નથી. હવે બન્કોએ ડિફોલ્ટના એક મહિનાની અંદર ઇન્ટર-ક્રેડિટર એગ્રીમેન્ટ (આઈસીએ) તૈયાર કરવું પડશે. કંપનીને લોન આપનારાઓના જૂથમાં જે બન્કોની બાકી રહેતી રકમ કુલ રકમના ૭૫ ટકા જેટલી હોય તે અથવા ૬૦ ટકાની સંખ્યામાં ધિરાણકર્તાઓએ આઈસીએ સ્વીકારવું જોઈશે. તો જ આ કરાર કાનૂની ગણાશે. નવી પ્રક્રિયા હવે ૭ જૂનથી શરૂ થયેલી માનવામાં આવશે.
આ જોગવાઈને કારણે હવે બન્કોએ અત્યંત સક્રિય બનીને કામ કરવું પડશે. સમયનું આ માળખું કદાચ વધુપડતું સખત લાગે, કારણ કે આપણા બન્કરો આટલી ત્વરાએ કામ કરવા ટેવાયેલા નથી, પણ સંજોગોનો આ તકાદો છે અને માંદગી જેટલી ગંભીર, એટલી જ જલદ દવા પણ હોવી જોઈએ. જોકે, નવા પરિપત્રમાં એક અસ્પષ્ટતા પણ જોઈ શકાય છે જે બન્કોને હેરાન કરી રહી છે. અત્યારે રૃા. ૨૦૦૦ કરોડ કે તેથી વધુનો ડિફોલ્ટ કરનારી કંપનીઓને આ નિયમો લાગુ પડશે, પણ રિઝર્વ બન્કે કહ્યું છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫ પછી રૃા. ૧૫૦૦ કરોડથી રૃા. ૨૦૦૦ કરોડના ડિફોલ્ટવાળી કંપનીઓને પણ એ લાગુ પાડવામાં આવશે. આમ તો આ વાત તર્કબદ્ધ લાગે છે પણ કેટલાક બન્કરોએ કહ્યું છે કે જે કંપનીઓ અત્યારે આ બીજા વર્ગમાં આવે છે તેમના વિષે બન્કોએ શું કરવાનું એ સ્પષ્ટ નથી.
નવા સર્ક્યુલરમાં રિઝર્વ બન્કે એક અગત્યની વાત કહી છે. જે કંપનીઓ તકલીફને આંગણે આવીને ઊભી હોય એ રાતોરાત ડિફોલ્ટ કરે એવું ભાગ્યે જ બને, સિવાય કે પ્રમોટરની મથરાવટી જ મેલી હોય. આ તકલીફ વધુ ગંભીર બને એ પછી એવો તબક્કો આવે જ્યારે કંપની ડિફોલ્ટ કરે. એટલે ડિફોલ્ટ તો તકલીફનો વિલંબથી મળતો સંકેત છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ જાય એવું બને. એટલે ડિફોલ્ટ થાય એ પહેલાં જ સમસ્યાને હલ કરવી સલાહભરેલું છે, એમ રિઝર્વ બન્કે કહ્યું છે. આ સલાહ વાજબી છે અને બન્કો એનો અમલ કરે તો બંને બાજુ ઘણી તકલીફો નિવારી શકાય. પણ એ માટે બન્કોએ કંપનીઓ પર સતત નજર રાખવી પડે અને બારીકાઈથી તેમનું અવલોકન કર્યા કરવું પડે. આવું કરવા માટે કમનસીબે આપણી બન્કો સજ્જ નથી.