For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખતરનાક વળાંકે પર્યાવરણ .

Updated: Apr 17th, 2024

ખતરનાક વળાંકે પર્યાવરણ                                   .

માણસને જગાડવા અને પર્યાવરણ અંગે પ્રવૃત્ત કરવા યુએન ઉપરાંતની પણ અનેક સંસ્થાઓ મહેનત કરે છે પણ એનો પ્રભાવ લોકજીવન સુધી પહોંચતો નથી. મનુષ્ય જાણવા છતાં ઝેરી વ્યસન આચરે છે અને રાજનેતાઓ પ્રજાના ખિસ્સા પર જ હાથ રાખે છે. આવા સંયોગો વચ્ચે જંગલની એક લીલી પાંદડીની વીતકકથા કોણ સાંભળે ? જેણે જિંદગીમાં એક પણ ઝાડ વાવ્યું નથી એવા કરોડો લોકોના જમેલા વચ્ચે પર્યાવરણની વાત કોઈ સાંભળે એ કલ્પના એટલી જ હાસ્યાસ્પદ છે જેટલી ભાજપ પોતાની ભૂલો જોતાં શીખે એ વાત એક મજાક છે. પર્યાવરણવિદો જોઈ રહ્યા છે કે અરધો મનુષ્ય તો લૂંટાઈ ગયેલો છે. માણસ જીવે છે પણ એનું આરોગ્ય હણાઈ ગયેલું છે. એટલે કે પચાસ વરસની વય સુધીમાં તો ભારતીય નાગરિકના શરીર પર ડૉક્ટરોની ફોઝ ચકરાવા લેવા લાગે છે.

પર્યાવરણમાં ભારતની પ્રતિષ્ઠા છે. આંતરરાષ્ટ્રીય ચિત્ર જ એટલું ઢળતા ઢાળે છે કે એમાં ભારત ઉજ્જડોની વચ્ચે એરંડાસન પર બેસી શકે એમ છે. બાકી દેશમાં આપણે ખુદ જાણીએ છીએ કે પર્યાવરણ અને ભારત વચ્ચે કેટલી ગહન ખીણ છે. ભારત વાતાવરણમાં સૌથી ઓછું કાર્બનનું ઉત્સર્જન કરે છે એ હકીકત પરથી ભારતે જરાય સંતોષ લેવાની જરૂર નથી. જો કલાઈમેટ ચેઈન્જને આ ચાલુ સદીનો સૌથી મોટો પ્રશ્ન માનવામાં આવતો હોય તો એક વાત નક્કી છે કે આપણે એ માણસજાત છીએ જે મોતના કૂવામાં પણ સરકસના ખેલ કરે છે. આપણે સદાય એમ માનતા આવ્યા છીએ કે કુદરત હજુ આપ્યા જ કરશે.

સુખની વેળાએ જ સંસાર મૂકીને ચાલ્યા જનારાની સંખ્યા બહુ છે. સમાજનો એ એક અપ્રગટ વિષાદયોગ છે. યુએન કોન્ફરન્સ આ પ્રશ્નનું સાચું નિરાકરણ લાવવામાં વધુ એકવાર નિષ્ફળ નીવડી છે. આ વર્ષનું પરિણામ તો બહુ જ નિરાશાજનક છે. યુએન કોન્ફરન્સમાં દુનિયાભરના બે હજાર જેટલા ડેલીગેટ્સે ભાગ લીધો હતો. વિકસિત અને અલ્પવિકસિત દેશોમાંથી આવેલા એ પ્રતિનિધિઓના હાથમાં વૈજ્ઞાાનિક રિપોર્ટ હતો. ઇન્ટરગવર્ન્મેન્ટલ પેનલ અને યુએન પર્યાવરણ પ્રોગ્રામેં. કરેલા સંશોધનનું તારણ એમાં હતું જેમાં કયો દેશ કેટલું કાર્બન ઉત્સર્જન કરે છે એ માહિતી આપવામાં આવી હતી.

જુદા જુદા દેશ કેટલો ગ્રીનહાઉસ વાયુ વાતાવરણમાં ભેળવે છે એ બતાવવામાં આવ્યું હતું. એ રિપોર્ટમાં આખા દસકના આંકડાઓ મૂકવામાં આવ્યા હતા. વર્ષો પહેલા ગ્રીનહાઉસના ઉત્સર્જન વિશે બધા દેશોએ સમજૂતી કરાર કરેલો જે ક્યોટો પ્રોટોકોલના નામે ઓળખાય છે. એના પછી થોડા સમય પહેલા જ પેરીસમાં સમજૂતી કરારો થયેલા. પેરીસ કરાર બહુ વિખ્યાત છે જેમાં સહી કર્યા પછી અમેરિકાને પેટમાં શૂળ ઉપડયું હતું. આ બંને કરારો અન્વયે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનની ગણતરીમાં જે પારદર્શિતા જળવાવી જોઈએ એ જળવાઈ નથી. અમુક દેશો આ અપારદર્શકતાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે.

ઘણાં દેશોમાં અચાનક બદલી જતી આબોહવાને કારણે પણ અમુક દેશોને અંગત નુકસાન થઈ રહ્યું છે જેમાં ભારતનો સમાવેશ પણ છે. ૨૨૫ બિલિયન ડોલરનું કુલ નુકસાન થયું છે. આ બધા આંકડાઓ ખૂબ ચિંતાજનક છે. યુએન કોન્ફરન્સમાં રજુ થયેલો આ રિપોર્ટ સૂચવે છે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે. પર્યાવરણવાદીઓએ વધુ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યુએન કોન્ફરન્સના નક્કી થયા મુજબ જો ઈ. સ. ૨૦૨૫ થી વિકાસશીલ દેશો પાસેથી ૧૦૦ બિલિયન ડોલરનો વકરો વસુલ કરવામાં આવશે તો દુનિયાના રાજનેતાઓ હાલકડોલક થઈ જવાના છે. પણ તેનો બોજ સોસાયટી ઉપર આવશે એનું શું? જુદા જુદા દેશની સરકારો નાગરિકો ઉપર આડકતરૃં દબાણ કરશે એ પણ એક ભીતિ છે.

વિકાસશીલ દેશો ઓછું પ્રદુષણ થાય એવી ટેકનોલોજી અલ્પવિકસિત દેશોને વેચતી વખતે ગરીબ દેશોનું શોષણ કરે એ પણ એક જોખમ છે. યુરોપિયન કમિશને જે ગ્રીન ડીલ કરી તેનો એક હેતુ એ પણ છે કે ૨૦૩૦ સુધીમાં દરેક દેશ એનું કાર્બન ઉત્સર્જન પચાસ ટકા ઓછું કરી નાખે. યુરોપિયન કમિશનનો આ નિર્ણય કલાઈમેટ ચેન્જની બાબતમાં તેને વિશ્વ સ્તરે નામના અપાવી શકે. આવો નિર્ણય અમેરિકા લઈ શક્યું નથી, અમલ કરવાની વાત તો દૂર રહી. ભારતે જો આ ટાર્ગેટ હાંસલ કરવો હશે તો તેમણે પોતાના માળખામાં બહુ ફેરફાર કરવા પડશે. એ ફેરફારો માટે ભારતના રાજતંત્રની કે પ્રજા તંત્રની કોઈ તૈયારી નથી.

Gujarat