મોસાદનો પુનઃ અભ્યુદય .
સુનિયોજિત અને નક્કર ગુપ્ત માહિતી સાથે, ઇઝરાયલે ઇરાનના પરમાણુ સ્થાપનો અને ટોચના લશ્કરી અધિકારીઓ પર મોટા હુમલા કર્યા છે. નતાન્ઝમાં ઇરાનના મુખ્ય પરમાણુ સંવર્ધન કેન્દ્રને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે, ઇઝરાયલે 'ઓપરેશન રાઇઝિંગ લાયન' દ્વારા હવાઈ સંરક્ષણ પ્રણાલી અને મિસાઇલોનો નાશ કર્યો અને સેંકડો લડાકુ વિમાનો સાથે ઇરાનના હવાઈ ક્ષેત્રમાં વિનાશ મચાવ્યો. આ કામગીરી દ્વારા, જેમાં ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેણે માત્ર ઈરાનની મિસાઇલ ક્ષમતાને નબળી પાડી નહીં પરંતુ હવાઈ સંરક્ષણ પ્રણાલીને પણ નિષ્ક્રિય કરી દીધી. ત્યારબાદ ઇઝરાયલી વાયુસેનાએ ઝડપી હુમલાઓ સાથે ઇરાનની હવાઈ ક્ષમતાનો નાશ કર્યો. હમાસે કરેલા સૌથી પહેલાના હુમલા બાદ મોસાદની પ્રતિષ્ઠાને લાગેલું ક્લંક, ઈરાન પરના બારીક આક્રમણ બાદ ઝાંખુ થયું છે.
લાંબી ગુપ્તચર તૈયારીઓ સાથે, ઇઝરાયલે ઇરાનની અંદર વિસ્ફોટક ડ્રોન બેઝ સ્થાપિત કર્યા અને શુક્રવારની વહેલી સવારે, આ ડ્રોનએ ઇરાનના લશ્કરી સ્થાપનોમાં વિનાશ મચાવ્યો. જેના કારણે ઇરાનને ભારે નુકસાન થયું. ઇઝરાયલે લાંબી તૈયારીઓ પછી ઈરાનના સુરક્ષા મથકો, લશ્કરી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો અને પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા અગ્રણી લોકો પર ચોક્કસ હુમલા કર્યા. ઘણા વરિષ્ઠ અધિકારીઓ તેમના ઘરોમાં માર્યા ગયા. વાસ્તવમાં, ઇઝરાયલ માને છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની નજીક છે. ઇઝરાયલે અચાનક ઇરાનના પરમાણુ મથકો પર હુમલો કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, જેનાથી આ ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. અમેરિકાએ આ કાર્યવાહીમાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે. ઇરાને બદલો લેવા આખી રાત મિસાઈલ મારો ચલાવ્યો હતો. ઇઝરાયલે અચાનક ઇરાનના પરમાણુ કાર્યક્રમ મથકો પર હુમલો કરીને દુનિયામાં ઘેરાયેલા વિશ્વયુદ્ધ માટેના વાદળોને વધુ ગતિ આપી છે.
ઇઝરાયલે ઇરાન સામેની તેની કાર્યવાહીને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે, જે સૂચવે છે કે આ ફક્ત એક કાર્યવાહી નથી પરંતુ એક નવી શ્રેણી હોઈ શકે છે. હુમલાઓનું વ્યાપક સ્વરૂપ પણ તેની ગંભીરતા સ્પષ્ટ કરે છે. ઓછામાં ઓછા છ રાઉન્ડના હવાઈ હુમલામાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇરાને સ્વીકાર્યું છે કે આ હુમલાઓમાં તેના ઓછામાં ઓછા છ પરમાણુ વૈજ્ઞાાનિકો માર્યા ગયા હતા. એટલું જ નહીં, ઇરાનના ટોચના લશ્કરી અધિકારી, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્ર્પ્સ (IRGC) ના વડા હુસૈન સલામી પણ માર્યા ગયા છે. ઈરાન પહેલાથી જ વધુ ઉગ્ર બદલો લેવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂક્યું છે, ઈઝરાયલી સરકારે પોતે જ તેના નાગરિકોને આગામી થોડા દિવસો માટે ઘરમાં રહેવા અને ખાદ્ય પદાર્થોનો સ્ટોક કરવા કહ્યું છે.
ઈઝરાયલી કાર્યવાહીની વૈશ્વિક ખરાબ અસરો એ હકીકત દ્વારા દર્શાવવામાં આવે છે કે પહેલા હુમલાના થોડા કલાકોમાં જ, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ૧૩%નો વધારો થયો હતો. ઈઝરાયલ લાંબા સમયથી કહી રહ્યું છે કે ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવું જોઈએ. કહેવામાં આવે છે કે ઈરાન એવી સ્થિતિમાં પહોંચી ગયું છે જ્યાં તે થોડા દિવસોમાં ૧૫ પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ઈઝરાયલના આ આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. એ પણ સાચું છે કે ઈરાન આ મુદ્દે અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું હતું. બંને પક્ષો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત રવિવારે થવાની હતી. આવી સ્થિતિમાં, ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહી પછી, તમામ પક્ષો ભવિષ્યમાં ઘટનાઓ કેવી રીતે આગળ વધે છે તેના પર નજર રાખી રહ્યા છે.
ઈરાને સમૃદ્ધ યુરેનિયમ ભંડાર વિશે ચોક્કસ માહિતી પણ આપી ન હતી. IAEA ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને એટલું યુરેનિયમ સમૃદ્ધ કર્યું છે કે તે નવ પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કહ્યું છે કે ઈરાને પરમાણુ કાર્યક્રમ પર કરાર માટેના આંતરરાષ્ટ્રીય પ્રસ્તાવને વારંવાર નકારી કાઢયો છે. જો કે, આ ઘટનાથી મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબાગાળા સુધી ચાલનારા યુદ્ધની શક્યતા વધી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલ અને હમાસ, હિઝબુલ્લાહ અને હુતી બળવાખોરો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે પહેલાથી જ સંવેદનશીલ વિસ્તારમાં વધુ ભયાનક યુદ્ધની શક્યતા વધી ગઈ છે. ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને ચેતવણી આપી છે કે જ્યાં સુધી ઈરાન તરફથી ખતરો સમાપ્ત ન થાય ત્યાં સુધી આ હુમલાઓ ચાલુ રહેશે.
ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ અમેરિકા અને ઇઝરાયલને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. ઇરાન અમેરિકા અને ઇઝરાયલના દાવાઓને નકારી રહ્યું છે અને કહી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે.