એક તરફ બજેટની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે ત્યારે બીજી તરફ આર્થિક સર્વેક્ષણ પણ લગભગ તૈયાર છે. સરકાર ક્યારેક સુખદ અકસ્માતે ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેનાં કેટલાંક પરિણામો જાહેર કરે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે ૨.૬૦ લાખ ઘરોમાં વપરાશનો વ્યાપક સર્વે કર્યો હતો. છેલ્લા એક દાયકામાં આ પ્રકારનો આ પહેલો સર્વે છે જેનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ પ્રકારનો સર્વે ઈ. સ. ૨૦૧૭-૧૮માં પણ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ ડેટાની ગુણવત્તાના મુદ્દાઓને કારણે ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો ન હતો. કેન્દ્ર સરકારના સ્ટેટિસ્ટિકલ ડેટા અને વિશ્લેષણો છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. ખાસ તો બેરોજગારી અંગેના ડેટા સરકાર છુપાવે છે અને તોય એ લીક તો થઈ જાય છે. ઉદાહરણ તરીકે, ગ્રામીણ પરિવારોના ખોરાક પરના ખર્ચનું પ્રમાણ ૨૦૧૧-૧૨માં ૫૩ ટકાથી ઘટીને ૨૦૨૪-૨૫માં ૪૬ ટકા થયું છે.
સરકાર દ્વારા વધેલી અનાજની ફાળવણીની ચોક્કસ અસર આ ગુણોત્તર પર જાણી શકાતી નથી, તેથી આ આંકડા પરથી નીતિ સંબંધિત કોઈપણ નિષ્કર્ષ કાઢવાનું જોખમી માનવામાં આવશે. વધુ રસપ્રદ બાબત એ છે કે ગ્રામીણ પરિવારોના વપરાશ ખર્ચમાં ૪૦ ટકા અને શહેરી પરિવારોમાં એક તૃતીયાંશનો વધારો થયો છે. આ નક્કર આંકડા છે, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વપરાશમાં નજીવી વૃદ્ધિ, જીડીપીમાં નહિવત્ વૃદ્ધિ કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે. આનાથી પ્રશ્નો ઉભા થાય છે ઃ શું ભારત ઘરગથ્થુ ખર્ચ ઘટાડીને જાહેર રોકાણ અથવા સરકાર સમર્થિત વૃદ્ધિ તરફ વળે છે? રાષ્ટ્રીય ખાતાઓ અનુસાર, માથાદીઠ ખાનગી વપરાશ ખર્ચ વપરાશનાં સર્વેક્ષણો કરતાં લગભગ બમણો છે. આ તફાવત અસામાન્ય નથી, પરંતુ તે મેક્રો ઇકોનોમિક પ્રશ્નને ઉકેલવામાં મદદ કરતો નથી કે શું વપરાશને હજુ પણ ભારતીય વૃદ્ધિના વાહક તરીકે વર્ગીકૃત કરી શકાય છે કે નહિ?
સામાન્ય પ્રજાને આ બધી આંકડાબાજીમાં સીધો રસ ભલે ન પડે, પરંતુ સર્વેક્ષણનાં તારણો એવાં હોય છે જેમાં સત્ય ડોકાયા કરે છે ને એટલે જ એની ટીકા કરવામાં આવતી હોવા છતાં મહિમા છે. સામાન્ય રીતે, સર્વેક્ષણની અગાઉની આવૃત્તિઓના ડેટા સાથે હવે સરખામણી કરવાનું ટાળવું જોઈએ, કારણ કે બે સર્વેક્ષણોની પદ્ધતિમાં નોંધપાત્ર તફાવત છે. જ્યારે અગાઉના રાઉન્ડમાં ઓછી વસ્તુઓ પરના ખર્ચને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ત્યારે નવી આવૃત્તિએ પરિવારોના ઇન્ટરવ્યુ લેવા માટે ડિજિટલ અભિગમ અપનાવ્યો હતો અને વધુ વસ્તુઓ પરના ખર્ચનો સમાવેશ કર્યો હતો. આ સર્વેના ડેટાને એક દાયકા પહેલાના ડેટા સાથે સરખાવવો કદાચ સમજદારીભર્યું કે સરળ ન હોય, પરંતુ આ સમયગાળાના સર્વેના ડેટાનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવશે. નાણાં મંત્રાલયના સચિવો આ તારણો પરત્વે ઉદાસ રહી શકે નહિ.
ખર્ચમાં અસમાનતાના કેટલાંક મુશ્કેલીજનક પરિણામો આવ્યાં છે. વપરાશ ખર્ચના સંદર્ભમાં, દેશની વસ્તીના નીચેના પાંચ ટકા લોકો ટોચના પાંચ ટકા જેટલો ખર્ચ કરે છે તેના દસમા ભાગનો જ ખર્ચ કરે છે. કુલ વિતરણમાં પણ અસમાનતા છે. વપરાશ ખર્ચનાં સંદર્ભમાં રાજ્યો વચ્ચે ભૌગોલિક તફાવતો પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. કોવિડ પછીનો સર્વે એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે વપરાશનો ખર્ચ વધી રહ્યો હતો. આથી કેટલાક વિશ્લેષકોએ કહ્યું છે કે આ તારણોને સાવધાની સાથે જોવા જોઈએ. આમાંથી સરકારે જે બોધપાઠ લેવો જોઈએ તે એ છે કે આ સર્વે નિયમિતપણે કરાવવા જોઈએ જેથી વધુ સારી નીતિઓ બનાવી શકાય. આવા સર્વેેનાં આવર્તન વધારવાની જરૂર છે. વપરાશ પેટર્ન પણ ઝડપથી બદલાઈ રહી છે અને નીતિ નિર્માતાઓને યોગ્ય નિર્ણયો લેવા માટે ઝડપી અને સચોટ ડેટાની જરૂર છે.
ઉપભોક્તા ભાવ સૂચકાંકમાં સમાવિષ્ટ વસ્તુઓને નિર્ધારિત કરવા માટે પણ વપરાશ સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. એથી હવે આગળનું યોગ્ય પગલું વધુ સારી નાણાંકીય નીતિને સક્ષમ કરવા માટે આ ઇન્ડેક્સને અપગ્રેડ કરવાનું રહેશે. વપરાશના વલણોમાં ફેરફાર દર્શાવે છે કે ખાદ્યપદાર્થોની ટોપલીમાં પણ, અનાજ પરનો ઘરનો ખર્ચ ઘટી રહ્યો છે. વપરાશ બાસ્કેટમાં ફેરફાર એ ઉત્પાદકો માટે સંકેત છે. ખાતરીપૂર્વકના ટેકાના ભાવની માંગ કરવાને બદલે, ખેડૂતોએ એવી ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જ્યાં ગ્રાહક ખર્ચ વધી રહ્યો છે. આપણા દેશમાં કોઈ પણ ક્ષેત્રમાં સંશોધનો તરફ ધ્યાન આપવાના સંસ્કાર નથી તે એટલી હદ સુધી કે યુનિવર્સિટીઓ પણ ખુદ સંશોધનશૂન્ય થવા લાગી છે. દેશની મોટાભાગની શિક્ષણ સંસ્થાઓમાં રાજકીય વગ વાપરીને બની બેઠેલા વડાઓ સત્તા પર છે.


