Get The App

વિદ્યા વિમુખ સરકાર .

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
વિદ્યા વિમુખ સરકાર                                 . 1 - image

શિક્ષણનું પતન પ્રલય લાવી શકે એવા મતલબની ઉક્તિ ઘણા વર્ષો પહેલા ચાણક્ય કહી ગયા હતા. એમણે કહેલા પ્રખ્યાત વિધાનમાં નિર્માણને બદલે વિકાસ શબ્દ વાપરવામાં આવ્યો હોત તો ચાણક્યની શીખ ભારત સરકાર દ્વારા યાદ રાખવામાં આવી હોત અને ભારતના શિક્ષણનો આ રકાસ થયો ન હોત. ભારત એક વૈશ્વિક તાકાત તરીકે ઉભરી રહ્યું છે એવી જાહેરાતો કરવામાં આવે છે એવા સમયમાં જ હાયર એજ્યુકેશનના વિશ્વની ટોપ યુનિવર્સિટીના લિસ્ટમાં ભારતની યુનિવસટીઓનો પત્તો નથી હોતો. સન ૨૦૧૨ પછી પહેલી વખત એવું થયું કે ભારતની એક પણ શિક્ષણ સંસ્થા ટોચની ત્રણસો શિક્ષણ સંસ્થાની યાદીમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી.

ગયા વર્ષે બેંગ્લોરની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ટોપ ૩૦૦ માં હતી. આ વર્ષે તેનો ક્રમાંક યાદીમાં નીચો ઉતરીને ૩૦૧-૩૫૦ ના સ્લોટમાં આવી ગયો છે. ભારતની બે આઈઆઈટી-ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીની ઇન્દોર ખાતેની સંસ્થાઓ છેક ૩૫૧-૪૦૦ ના ગુ્રપમાં ધકેલાઈ ગઈ છે. મુંબઇ અને દિલ્હીની આઈઆઈટી કરતા પણ ઇન્દોર અને રોપરની આઈઆઈટી સંસ્થાઓ એટલે વધુ રેન્ક લઈ જાય છે, કે ત્યાંની સંસ્થાઓમાં રિસર્ચ પર વધુ ભાર મુકાય છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ એ જ શિક્ષણ સંસ્થાનું મહત્ત્વ વધુ ગણાય જેમાં સંશોધનકાર્યને ઉત્તેજન આપવામાં આવતું હોય. જે સંસ્થાના વિદ્યાર્થીઓના વધુને વધુ સંશોધનપત્રો એટલે કે રિસર્ચ આર્ટિકલ ઓથેન્ટિક ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રસિદ્ધ થયા હોય તે સંસ્થાનું પલ્લુ હંમેશા ભારે રહે. સંશોધનની ડિમાન્ડ છે, ડિગ્રીની નહિ. ભારતીય સંસ્થાઓ અહીં ગોથાં ખાતી રહે છે.

ભારતનું મુખ્ય હરીફ પાકિસ્તાન છે એવી ભ્રમજાળ ભલે ઊભી કરવામાં આવી હોય પરંતુ ગ્લોબલ પ્લેટફોર્મ પર આર્થિક, રાજકીય, ઔદ્યોગિક અને શૈક્ષણિક સ્તરે ભારતનું મુખ્ય હરીફ ચીન છે. શિક્ષણની બાબતમાં અત્યારે ચીન આપણાથી આગળ છે. ચીનની ચોવીસ યુનિવર્સિટી ટોપ ૩૦૦ યુનિવર્સિટીમાં સમાવેશ પામી છે. એશિયાના એક પણ દેશની આટલી બધી શિક્ષણ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી શકી નથી. ચીનની અમુક કોલેજોની એડમિશન લેવા માટેની એન્ટ્રન્સ એક્ઝામ એટલી કઠિન હોય છે કે આજ સુધી એમાં એક પણ પ્રોફેસર કે વિદ્યાર્થી પૂરા માર્ક્સ લાવી શક્યા નથી. ચીન પોતાના શિક્ષણ ક્ષેત્રની લશ્કરી શૈલીથી કાયાપલટ કરવામાં સફળ નીવડયું છે. સિલિકોન વેલીની આઈટી કંપનીઓમાં સૌથી વધુ સંખ્યા ચીની સંશોધકો અને કર્મચારીઓની છે.

મુંબઇ, દિલ્હી અને ખડગપુરની આઈઆઈટીમાં તો વિદેશી વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવતા હોય છે. ફિલ્મોમાં પણ આઈઆઈટી બોમ્બે કે આઈઆઈટી દિલ્હીના વાતાવરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ હવે આ બધી આઈઆઈટી ટાઈમ્સ હાયર એજ્યુકેશનની યાદીમાં ૪૦૧-૫૦૦ ના સ્લોટમાં પહોંચી ગઈ છે. જો કે ગયા વર્ષે તો આ સંસ્થાઓ ટોપ ફાઈવ હન્ડ્રેડમાં પણ ન હતી. આઈઆઈટી ગાંધીનગર પહેલી વખત આ યાદીમાં આવી અને ટોપ ૬૦૦માં તેણે સ્થાન મેળવ્યું. નવાઈની વાત એ છે કે થોડા સમયથી જે યુનિવર્સિટીના અમુક વિદ્યાર્થીઓને દેશદ્રોહીનું લેબલ અમુક ન્યુઝ એન્કરો લગાવતા હતા એ યુનિવર્સિટી એટલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પહેલી વખત ટાઈમ્સની આ યાદીમાં આવી. ભારતીય શિક્ષણનું સ્તર ઘટયું છે પણ જે યુનિવર્સિટી ના અમુક વિદ્યાર્થીઓ ઉપર ભારત વિરોધી નારા લગાવવાનો આરોપ મુકાયો હતો એ યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર ઊંચું આવ્યું. 

ચાણક્યની વાત સત્તાધીશોએ ભૂલવા જેવી નથી. પ્રજાએ પણ એ વાત ભૂલવી ન જોઈએ કે પ્રલય અને નિર્માણ શિક્ષકના ખોળામાં રમતા હોય છે. કથળતું જતું શિક્ષણ એ સમાજના પતનની શરૂઆત છે. શિક્ષણ પાયો છે. પાયામાં લૂણો લાગે તો સમાજ અને દેશની આખી ઇમારત પડી ભાંગે. ભારતની ભાવિ પેઢીઓ જો મહા મેધાવી તથા બુદ્ધિપ્રભાયુક્ત શિક્ષણથી વંચિત રહેશે તો દેશનું શું થશે?