Get The App

કોંગ્રેસનું અમદાવાદ અધિવેશન .

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
કોંગ્રેસનું અમદાવાદ અધિવેશન                      . 1 - image

હમણાં થોડા દિવસો પહેલા અમદાવાદમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સત્રનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે સંગઠનાત્મક સુધારા અને વૈચારિક સ્પષ્ટતા લાવવાના પક્ષના ઈરાદાને વ્યક્ત કરવાનો હતો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું ગુજરાતનું તત્કાલીન પાટનગર અમદાવાદ, આજે તો પક્ષ જે કટોકટીનો સામનો કરી રહ્યો છે તેને પ્રતિબિંબિત કરવા માટે એક પ્રતીકાત્મક સ્થળ હતું. કોંગ્રેસ ગુજરાતમાં ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે અને આ ગુજરાત હજુય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણ અને શાસન મોડેલ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આ સંમેલનમાં ધર્મનિરપેક્ષતા, બહુલતાવાદ, સંઘવાદ અને સમાવેશી વિકાસ જેવા બંધારણીય મૂલ્યો પ્રત્યે પક્ષની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ આપવામાં આવી. આ એ સિદ્ધાંતો છે જે એક સમયે કોંગ્રેસને વ્યાખ્યાયિત કરતા હતા, અને તેમનો આરોપ છે કે, હવે તે મૂલ્યો જોખમમાં છે.

પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ સામાજિક ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરવાના પક્ષના સિદ્ધાન્તનો પુનરોચ્ચાર કર્યો, દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી અને અનામત પર પચાસ ટકાની મર્યાદા દૂર કરવાની ડિમાન્ડ કરી. તેમના આ ઉચ્ચારણો જે જે રાજ્યોમાં કોંગ્રેસની રાજ્ય સરકારો છે તેના માટે ભવિષ્યની નીતિગત પહેલનો આધાર બનશે. કોંગ્રેસના પુનરુત્થાનનું બીજું એક મહત્ત્વપૂર્ણ પાસું પાયાના સ્તરે અસરકારક સંગઠન બનાવવાની તેની ક્ષમતા પર આધાર રાખે છે. પોતાની હાઇ-કમાન્ડ સંસ્કૃતિથી દૂર જવાનો સંકેત આપતા, પાર્ટીએ જાહેરાત કરી કે જિલ્લા સમિતિઓ અને જિલ્લા-સ્તરીય નેતૃત્વ નિર્ણય લેવા માટેના અને જવાબદારી અદા કરવાના સ્થાનિક સ્તંભો બનાવશે. જો કે કોંગ્રેસમાં દરેક રાજ્યમાં આંતરિક ખટપટ બહુ છે. કોઈ એક સમર્થ રાજનેતાના છત્રતળે રહેવા અન્યો તૈયાર નથી. દરેક બિલાડીનો ટોપ પોતાને ઘટાદાર વડલો માને છે.

સત્તા વિહીન વિફળ વરસોમાં કોંગ્રેસ કલ્ચર ઘણું ધોવાઈ ગયું છે. વળી સંગઠનોમાં અખતરા પણ બહુ થયા છે. જિલ્લાના સ્તરે પણ કોંગ્રેસમાં બે કે ત્રણ ફાડિયા જોવા મળે છે. દરેક જૂથ બીજા જૂથને નિષ્ફળ બનાવવા માટે કામ કરે છે. ગુજરાત કોંગ્રેસમાં તો નેતાઓની તોપ એના પક્ષમાં જ એકબીજા સામે તકાયેલી છે. એટલે કોંગ્રેસના હરીફ પક્ષ તરીકે ભાજપ સલામત છે અને સત્તા પર છે. અમદાવાદમાં થયેલી ચર્ચાઓથી પક્ષની પુનરાગમન અંગેની ગંભીરતાનો સંકેત મળ્યો, પરંતુ આદર્શવાદ અને પ્રતીકવાદથી આગળ, અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો બાકી છે. તેના લગભગ તમામ રાજ્ય એકમો સત્તા સંઘર્ષ અને જૂથવાદથી પીડાય છે, જે ઘણીવાર પક્ષની ચૂંટણીઓ જીતવાની સંભાવનાઓને નુકસાન પહોંચાડે છે. જિલ્લા સ્તરે નિર્ણયો લેવાથી જૂથવાદ વધશે કે તેને કાબુમાં લેવામાં આવશે? આ પ્રશ્નનો જવાબ નવી યોજનાના અમલીકરણ પછી જ મળી શકશે.

જ્યારે રાજકારણ સંસાધનો, સંદેશાવ્યવહાર અને આયોજનના સંદર્ભમાં વધુને વધુ કેન્દ્રિત બન્યું છે, ત્યારે કોગ્રેેસ જિલ્લાઓને સત્તા સોંપીને પરિણામો કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તે પણ સ્પષ્ટ નથી. અસંદિગ્ધ રોડમેપના અભાવે - ખાસ કરીને ભારતના યુવાનો અને ઉભરતા મધ્યમ વર્ગની આકાંક્ષાઓને સંબોધિત કરતો રોડમેપ કોંગ્રેસ પાસે નથી. પક્ષ ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ બનાવવાને બદલે ભૂતકાળમાં ડૂબી જવાનું જોખમ લે છે એવું આ બેઠકોમાં લાગ્યું. પોતાના વારસાને આગળ વધારવા માટે, કોંગ્રેસને હવે રાજકીય કલ્પનાશક્તિ, વ્યૂહાત્મક બુદ્ધિમત્તા અને સંગઠક શિસ્તની જરૂર છે. અમદાવાદ સત્ર, તેના તમામ પ્રયાસો અને ગંભીરતા માટે, ફક્ત એક શરૂઆત તરીકે જ જોવું જોઈએ. વર્ક ઈન પ્રોગ્રેસ - કામ ચાલુ છે અને આવનારા મહિનાઓ એ ચકાસશે કે સાબરમતીના કિનારે યોજાયેલું સંમેલન ખરેખર એક વળાંક હતું કે પક્ષના પોતાને નવીકરણ કરવાના સતત પ્રયાસમાં માત્ર એક બીજી ઘટના હતી.

કોંગ્રેસને નિષ્ફળતા ફાવી ગઈ છે અને હવે એની પાસે મોટા ગજાના નેતાઓ નથી એ ભાજપે ફેલાવેલી માન્યતા છે. પ્રચારવિદ ભાજપે કોંગ્રેસની ઈમેજને ઘણી ઘસી નાંખી છે અને એ તો ભાજપના મેરિટ ગણાય પણ ખુદ કોંગીજનોએ સ્વનામ ભૂંસવામાં જે મહેનત કરી છે એ મૂર્ખતાના પરિણામો આજે કોંગ્રેસ ભોગવે છે. દેશની પ્રજા અત્યારે કોંગ્રેસને એક મજબૂત વિરોધ પક્ષ તરીકે જ ચાહે છે પણ એમાંય મજબૂતી ઓછી છે, હોમવર્ક ઓછું છે અને ભૂલોની ભરમાર વધારે છે. ચારેબાજુથી પક્ષના નવીનીકરણની ઝુંબેશ કેટલી કારગત નીવડશે એ જોવાનું રહે છે.