ગયા વરસે એટલે કે ઈ. સ. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીના લગભગ એક વર્ષ પછી, ભારતીય રાજકારણમાં એક નવી હિલચાલ જોવા મળી રહી છે, કારણ કે રાજકીય પક્ષો બદલાયેલી પરિસ્થિતિઓના પ્રતિભાવમાં તેમની સ્થિતિ ફરીથી એકડે એકથી ગોઠવી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધનના બેનર હેઠળ કહેવાતા રાષ્ટ્રીય વિપક્ષ તરીકે ભેગા થયેલા બિન-ભાજપી પક્ષોનો હવે કોઈ સામાન્ય ધ્યેય રહ્યો નથી. ખરેખર, ૨૦૨૫ના અંતમાં બિહાર અને ૨૦૨૬ની શરૂઆતમાં આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ હજુ તો આ પક્ષોને વધુ વિભાજિત કરશે અને સંભવત: આ રાજ્યો અને તેનાથી આગળ રાજકારણના પુનર્નિર્માણનો માર્ગ મોકળો થશે. જે રીતે અત્યારે ગોચર ગ્રહમાનમાં મહાસંક્રાન્તિઓ ચાલે છે એ રીતે જ દેશના રાજકારણમાં છાને પગલે ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે.
દેશના મહાન પ્રાચીન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે જેની શોધ કરી એ શૂન્ય કોંગ્રેસના લમણે અલગ રીતે લખાઈને આવ્યું. તે આ તમામ પક્ષોના પરિવર્તક મિજાજનું આરંભબિંદુ છે. કેટલાક સંકેતો સ્પષ્ટ છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના નેતા પ્રકાશ કરાતે તાજેતરમાં કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન ફક્ત લોકસભાની ચૂંટણીઓ માટે હતું અને તે પણ અમુક રાજ્યો સુધી મર્યાદિત હતું. એ ચૂંટણીઓ પૂરી થઈ ત્યારથી જ આ ગઠબંધનના અંતનો આરંભ થઈ ગયો હતો. આવતા વરસે કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થશે અને આ તેમની અત્યાર સુધીની સૌથી ઉગ્ર સ્પર્ધાઓમાંની એક હશે. પશ્ચિમ બંગાળમાં, ડાબેરીઓ અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (્સ્ભ) ગઠબંધન નહીં કરે, જ્યારે કોંગ્રેસ બંને વચ્ચેના તેના વિકલ્પોનું મૂલ્યાંકન કરશે.
તમિલનાડુમાં, ડાબેરીઓ અને કોંગ્રેસ બંને દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) છાવણીમાં હોઈ શકે છે, પરંતુ તે હજુ સુધી નિશ્ચિત નથી. દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન વધેલી કડવાશ વચ્ચે આમ આદમી પાર્ટી (છછઁ) અને કોંગ્રેસે તેમની જૂની દુશ્મનાવટ ફરી શરૂ કરી છે અને હવે તેઓ પંજાબ અને ગોવામાં તેમની ટક્કર ચાલુ રાખવા માટે તૈયાર છે. સામાન્ય ચૂંટણીઓ પછીના વિકાસ દર્શાવે છે કે, આ એક નવો ટ્રેન્ડ કરતાં વધુ સંયોગ હતો. બિન-ભાજપ પક્ષોના સંબંધિત ગણિતમાં રહેલા અગમ્ય વિરોધાભાસોએ 'ભારત'ને અપંગ બનાવ્યું છે, જોકે આ પક્ષો તેમની સંસદીય વ્યૂહરચનામાં અમુક અંશે સંકલન જાળવી રાખે છે. આ પક્ષો ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ભારતના ચૂંટણી પંચની જવાબદારીની માંગણી કરવા માટે એક થયા છે.
દરમિયાન, ભાજપે પોતાનો આધાર વધારવા માટે હોશિયારીથી કામ કર્યું છે અને હરિયાણા, મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓ જીતી છે. સામાન્ય ચૂંટણીઓ અલગથી લડયા પછી અને તમિલનાડુમાં ભારે હારનો સામનો કર્યા પછી, ભાજપ અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પણ તેમના સંબંધોમાં સુધારો થવાના સંકેતો બતાવી રહ્યા છે. શિક્ષણ અને ભાષા નીતિ અને સીમાંકનના પ્રશ્નોની આસપાસ ઉભરતી ચર્ચાઓ રાજકીય પરિવર્તનના નવા ચક્રને જન્મ આપી રહી છે.
દેશના ઘણા ભાગોમાં પ્રાદેશિક પક્ષો કટોકટીનો સામનો કરી રહ્યા છે, અને તેમાંથી કેટલાક પક્ષો હાંસિયામાં ધકેલાઈ જવાની શક્યતા વધી રહી છે. પરંતુ રાજકીય જોડાણો સ્થિર આકાર લે તે પહેલાં મંથનનું આ ચક્ર કદાચ હજુ થોડો સમય ચાલુ રહેશે. અને એમાંથી જે નવું ચિત્ર સર્જાશે તે અનુઆધુનિક ભારતની નવી રાજકીય કુંડળી રચશે.
કોંગ્રેસ પરાજયને પચાવી શકે એમ નથી. હજુ એને અરીસામાં પોતાના મસ્તક ઉપર રાજમુકુટ હોવાનો ભ્રમ થાય છે. પરાજય આમ પણ એક ખતરનાક વિભાવના છે. મહાન બ્રિટિશ નિબંધકાર આર્થર કોસ્લર કહે છે પરાજયથી દૂર રહો, કારણ કે પરાજયનું વ્યસન થઈ જાય છે. આ હાલત કોંગ્રેસની છે. હવે કોંગ્રેસને રાજ્યસ્તરે ગઠબંધન કરવામાં પણ વામનાવતાર શીખવો પડશે, નહિતર એકલે હાથે હજુ પણ વધુ ધોવાણ થશે. દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારોએ જે ડિપોઝિટ ગુમાવી છે એનો તો વળી અલગ જ ઈતિહાસ છે.
દુ:ખના દિવસો કેમ પસાર કરવા એ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે પક્ષ માટે અઘરી કળા છે ને એ ન આવડે તો સુખના હિલ્લોળાતા સાગર સુધી પહોંચી શકાતું નથી. કોંગ્રેસને એ આવડતું નથી.


