Get The App

અપરાધી કિશોર કથાઓ .

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
અપરાધી કિશોર કથાઓ                                  . 1 - image

બદલતા સમય સાથે સમાજમાં વધતા આક્રમક વર્તનના કારણે અપરાધોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ભારતીય માનવ સભ્યતા આડે પાટે ચડી ગઈ હોય એવું લાગે છે. ગઈકાલ સુધી જે ઘટનાઓ નવલકથાઓ અને ફિલ્મોમાં દેખાતી હતી તે હવે આસપાસમાં બનવા લાગી છે. બધી વયના અપરાધીઓમાં કિશોરોમાં અપરાધોમાં વધતી સંડોવણી ગંભીર ચિંતાનો વિષય બની છે. છેલ્લા કેટલાક સમયમાં દેશમાં કિશોર અપરાધોથી જોડાયેલી અનેક એવી ઘટનાઓ સામે આવી છે, જેણે સમગ્ર દેશને ચિંતામાં મૂકી દીધો છે. આ પરિસ્થિતિ કિશોર અપરાધોનાં સામાજિક કારણો પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાતને પ્રગટ કરે છે. શાળાઓમાં પણ અથડામણો વધી ગઈ છે. સહપાઠી વિદ્યાર્થિનીઓની મજાક-મશ્કરીના કિસ્સાઓ પણ સપાટી પર આવવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ચારસો રૂપિયાના વિવાદમાં એક યુવાનની નિર્દયી હત્યા થવી ભયજનક ઘટના છે.

સાથે જ કિશોરોમાં કાયદાનો ભય ન હોવો પણ એક ગંભીર મુદ્દો છે. ઉક્ત હત્યામાં ત્રણ કિશોર સંડોવાયેલા હતા. આ ઘટનામાં ત્રણ કિશોરોએ એક યુવાન પર સતત ચાકુના ઘા માર્યા હતા, અને હિંસક વલણની પરાકાષ્ઠા તો એ હતી કે તેમનો ચોથો સાથી મોબાઇલમાં આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો. આ ઘટના કોઈપણ સંસ્કારી સમાજમાં સનસનાટી પેદા કરે તેવી છે કે કિશોરોમાં આવા ગુનાઈત દુસ્સાહસ ક્યાંથી આવી રહ્યા છે. સ્પષ્ટ છે કે આ કિશોરોમાં પોલીસ-પ્રશાસનનો કોઈ ભય નહોતો, એટલે તેઓ ખુલ્લેઆમ ખંજરબાજી કરતા રહ્યા. દેશની રાજધાની, જ્યાં સામાન્ય રીતે કહેવાય છે કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આગળ છે, ત્યાં આવી ઘટના સામે આવી છે. સવાલ એ ઉઠે છે કે દેશના દૂરના વિસ્તારોમાં આ પરિસ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે? કિશોર અપરાધોમાં વધતી ભાગીદારી પાછળનાં મૂળ કારણો શું છે? દયાલપુરની ઘટના પહેલાં પણ અનેક ગંભીર અપરાધોમાં કિશોરોની સંડોવણી સામે આવતી રહી છે, પરંતુ કિશોર અપરાધ સંબંધિત કાયદાઓ તેમને ઝડપથી મુક્ત કરી દે છે.

વાસ્તવમાં, દેશમાં ઘણી વખત કિશોરો ગંભીર અપરાધોમાં સામેલ થવાના કારણે તેમની પુખ્ત વયની મર્યાદા ઘટાડવાની માંગ ઉઠે છે, કારણ કે કિશોરો ગંભીર અપરાધોમાં સંડોવાયેલા હોવા છતાં કાયદાના કૂણા અભિગમને કારણે જેલમાંથી વહેલા બહાર આવી જાય છે, અને પછી ફરીથી અન્ય ગંભીર અપરાધોમાં જોડાઈ જાય છે. આ એક ગંભીર મુદ્દો છે, જેના ઉકેલને કેન્દ્ર સરકારે પ્રાથમિકતા આપવી જોઈએ. ઇન્ટરનેટના ઝડપી પ્રસાર અને સોશિયલ મીડિયા પર અપરાધ સંબંધિત હાનિકારક સામગ્રીની સરળ ઉપલબ્ધિ કિશોરોમાં ભટકાવ વધારી રહી છે. હિંસક ફિલ્મો અને અન્ય માધ્યમોમાં અપરાધના રંગ-ઢંગ દર્શાવતી સામગ્રી કિશોરોના મન પર નકારાત્મક અસર કરે છે. દેશમાં સંયુક્ત પરિવારોના વિખંડન અને માતા-પિતાનું બાળકો પર ઘટતું નિયંત્રણ પણ એક કારણ છે, જેના કારણે ઘણા કિશોરો ખરાબ સંગતમાં પડીને અપરાધની દિશામાં આગળ વધે છે. બીજી તરફ, શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોની એ ભૂમિકા હવે રહી નથી, જે કડકાઈથી કિશોરોના વર્તનને નિયંત્રિત કરી શકે. આજે તેમની વિચારસરણી મોબાઇલ અને સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી વિકૃત માહિતીથી પ્રભાવિત થઈ રહી છે।

સમાજના વર્તનમાં પણ એક પ્રકારની આક્રમકતા જોવા મળે છે. કિશોર સમુદાય આ બધું જુએ છે. પછાત શહેરોમાં રસ્તામાં વાહનોની જરાક જેટલી ટકકરમાં બેફામ બની જતા લોકોને પણ આ આવતીકાલના નાગરિકો સગી આંખે જુએ છે. બીજી તરફ, અપરાધી ગેંગો પોતાના ગુનાઓને અંજામ આપવા માટે કિશોરોનો ઉપયોગ કરે છે. સવાલ એ પણ છે કે કિશોરો સુધી ઘાતક હથિયારો કેવી રીતે પહોંચે છે? તેમજ નશાની લત લાગેલા કિશોરો પૈસા મેળવવા માટે અપરાધના રસ્તે ઉતરી જાય છે અને પછી ગંભીર ગુનાઓ કરે છે. બદલાતા સમય સાથે પોલીસની ભૂમિકા અને કાર્યપદ્ધતિમાં ફેરફાર લાવવાની જરૂર છે. સાથે સાથે સમાજમાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે જેથી કિશોરોને અપરાધના માર્ગે જવાથી રોકી શકાય.

માતાપિતામાંથી આજના પિતા પાસે પોતાના કિશોરવયનાં સંતાનોને આપવાનો સમય નથી. તેઓ એમ માની લે છે કે બાળકો તો હવે મોટા થઈ ગયા છે ને એમની રીતે પોતાના કામકાજ કરે છે. ખરેખર આ ટીન-એજ માટે પશ્ચમના દેશોએ લાખો નવાં પુસ્તકોના ઢગલા પ્રકાશિત કર્યા છે. આપણે ત્યાં ટીનેજરોના પેરેન્ટ માટેની કોઇ ચર્ચા જ નથી. દેશની દશા જોતા એમ લાગે છે કે કિશોરોને બદલે એના મા-બાપને ભણાવવાની જરૂર છે. એમનેય ભાન તો આવે જ છે કે તેઓની શું શું ભૂલો છે, પણ આત્મજ્ઞાાન મળે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.