આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ વારંવાર ફેરફાર કરીને છેવટે વૈશ્વિક અર્થતંત્રનો કુલ વિકાસ દર ઘટાડતા રહેવાનો ક્રમ જારી રાખ્યો છે. આ અંદાજ ઇસુના નવા વર્ષ ૨૦૨૬ માટે ઘાતક નીવડવાનો છે. એનો અર્થ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હજુ તેજીને આવતા વાર લાગશે. આ પ્રકારની ધારણાઓ કાલ્પનિક નથી હોતી. એ એડવાન્સ ઈકોનોમિકસની પ્રણાલિકાથી વૈજ્ઞાાનિક પદ્ધતિએ તૈયાર થાય છે. ભારતીય પ્રજાને અત્યારે મંદીનો જે અનુભવ છે તે એક તો નાણાંભીડનો અને બીજો ઔદ્યોગિક સ્થગિતતાનો છે. ગૃહસ્થ જીવનમાં આ અનુભવ બચતોના ધોવાણનો છે. દેશ ટેરિફ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ એને સમાંતર કૃષિ ઉત્પાદનો તથા ગ્રાહકલક્ષી ઉત્પાદનો તો ચાલુ જ છે. એમાં અસર બે પ્રકારની છે કે એક તો લોકોની ખરીદશક્તિ ઘટતી જાય છે, એને કારણે ગ્રાહકલક્ષી વસ્તુઓનો ઉપાડ ઓછો થતો જાય છે. આ વરસ હવે લીલા દુકાળ તરફ જવા લાગ્યું છે. જે મંદીને ઘેરી બનાવશે.
આ વરસે વરસાદ ભારે થયો હોવા છતાં એનાથી સરેરાશ કૃષિ ઉત્પાદનમાં બહુ મોટો ફેર પડવાનો નથી. કારણ કે કોઈ પણ સારા ચોમાસા માટે એક જ શરત છે તે સમયસરનો અને પ્રમાણસર વરસાદ. ગયા ચોમાસામાં વારંવારનો અને અધિક વરસાદ હતો. આ વખતે આત્યંતિક છે. વરસાદ હજુ પણ હિમાલયના બદલાતા પવનો અને અરબી સમુદ્ર એમ બન્ને બાજુથી ડોકિયા કરે છે અને હવામાનશાસ્ત્રીઓ એ ઉલઝનમાં જ ગળાડૂબ છે. ભારતીય ઋતુચક્રનો આ વરસનો પલટો એમને હજુ જંપવા દે એમ નથી. આ વરસની મંદીમાં પણ ચોમાસાનું યોગદાન છે. ડુંગળીનો દડો સોનાનો થવાનો છે એનું કારણ પણ અપ્રમાણસરનો એટલે કે ક્યાંક અધિક તો ક્યાંક અલ્પ એવો વરસાદ છે. છતાં સહુની નજર ચાલુ ખરીફ પાક પર છે જેનો અંદાજ આવતા હજુ વાર લાગશે. ભારે પાણીને કારણે રવિ પાક સારો થશે. પણ પંજાબના ઘઉં આ વખતે દુર્લભ બની જશે.
દુનિયાના ઘણા બધા દેશોમાં પરિસ્થિતિ ભારત કરતા પણ વધારે ખરાબ છે સૌથી વધારે વિપદામાંથી તો ચીન પસાર થઈ રહ્યું છે. પરંતુ તેની સરકાર પ્રચાર-પડઘમ નિષ્ણાત છે અને સામ્યવાદ હોવાને કારણે સરકાર નિકાસ અને સંરક્ષણ બે જ બાબતમાં ધ્યાન આપે છે. ચીનના સર્વસામાન્ય શિક્ષણની હાલત આપણા કરતાં પણ ખરાબ છે પરંતુ અધૂરા ભણતરે બહુ ઝડપથી લોકો કામે લાગી જતાં હોવાને કારણે એની કુલ ઉત્પાદકતા અને કુલ રોજગારી ભારતની તુલનામાં ઘણી સારી છે. એ કારણસર જ એની નબળી આર્થિક સ્થિતિ ઢંકાઈ જાય છે. અમેરિકા અને યુરોપમાં પંદર વર્ષે સંતાનો પોતાના આત્મવિશ્વાસથી અને આત્મગૌરવ જાળવવાના હેતુથી જોબ પર લાગી જાય છે. એને કોઈએ કહેવું પડતું નથી. ચીનમાં તો ૧૫ વર્ષ પછી માતા-પિતાએ જ સંતાનોને ઘરમાંથી હાંકી કાઢવા પડે એવી પરિસ્થિતિ છે.
ઉપરાંત જે ચીનાઓ ૧૫ થી ૧૭ વર્ષ વચ્ચે કામે લાગતા નથી તેના પર સરકારની નજર પડે છે અને એવા લોકોને સરકાર કોઈ પણ મજૂરી કરવા માટે લઈ જાય છે. ત્યાં દરેક નાગરિકની કાર્યશક્તિ પર રાષ્ટ્રનો સંપૂર્ણ અધિકાર છે. સામ્યવાદ પણ માત્ર કહેવા ખાતરનો જ રહ્યો છે. માઓના નામે લગભગ રાજાશાહી જેવું જ શાસન છે. આપણે ત્યાં કેન્દ્રની એનડીએ સરકારે શરૂઆતમાં રાષ્ટ્રવાદના નામે પોતાના કેટલાક હેતુ સિદ્ધ કર્યા પરંતુ પછીથી પ્રજાને ખ્યાલ આવ્યો કે આ રાષ્ટ્રવાદ છેતરામણો છે. એટલે ભાજપે પોલીસી બદલી અને નમૂનારૂપ કામો હાથમાં લીધા. તો પણ ભાજપે સત્તાનું જે હદ બહારનું - આત્યંતિક કેન્દ્રીકરણ કર્યું અને વડાપ્રધાનના ટેબલ પર જ બધા નિર્ણયો અટકી રહ્યા એની રઘુરામ રાજને ઘોર નિંદા કરી હતી.
એમનો કહેવાનો અર્થ છે કે દેશમાં સંખ્યાબંધ આર્થિક નિર્ણયો લટકી રહ્યા છે. નીતિ આયોગ પણ વડાપ્રધાનના ટેબલ સામે બેસે અને નાણામંત્રી પણ ત્યાં જ. રિઝર્વ બેન્કના ગવર્નર પણ વડાપ્રધાનના કાર્યાલયના પગથિયે જ મળે અને પછી રાષ્ટ્રપતિ ભવન વિશે તો શું કહેવાય ? કંઈક મર્યાદા તો રાખવી પડે ને ! દેશના આર્થિક વિકાસમાં કેન્દ્રને બદલે રાજ્યોની ભૂમિકા હવે વિશેષ મહત્ત્વની છે.


