સંવેદનાઓના ક્ષય અને આત્મકેન્દ્રિત બનતી નવી પેઢીના સમયમાં માતા-પિતાની અવગણના અત્યંત ચિંતાજનક છે. આ એક વિસંગતિ જ છે કે જેમનું ઋણ સંતાનો ક્યારેય ચૂકવી શકતા નથી, એવા માતા-પિતાની સંભાળ લેવા માટે હવે અદાલતને આદેશ આપવો પડે છે. માતાના લોહીથી સિંચાયેલ અને પિતાના પરિશ્રમથી ઉછરેલા પુત્રને જો અદાલત કહે કે તમારી માતાને ઘરમાં રહેવા માટે એક ઓરડો, અલગ બાથરૂમ અને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવે - તો તે શરમજનક બાબત છે. જે માતાએ નવ મહિના સુધી પોતાના ગર્ભના પવિત્ર અંધકારમાં નૂતન જીવન જ્યોત પ્રગટાવવા પુત્ર-પુત્રીને પાળ્યા હોય, તેને પોતાના જ ઘરમાં રહેવા દેવા માટે અદાલતને આદેશ આપવો પડે, તેનાથી મોટી કૃતઘ્નતાનું, નમક હરામનું બીજું ઉદાહરણ હોઈ શકે નહીં.
ભલે આ અદાલતનો આદેશ હોય, પરંતુ આ તો પહેલેથી જ સંતાનોની એક અલિખિત નૈતિક ફરજ છે. આ ઘટના આપણા સમાજનું અત્યંત દુ:ખદ અને કષ્ટદાયક ચિત્ર રજૂ કરે છે. સામાન્ય રીતે માતા-પિતા પોતાના પેટે પાટા બાંધીને, પોતાની સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને, સંતાનોને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે. માતા-પિતા જ એવા હોય છે જે નિ:સ્વાર્થભાવથી પોતાના સંતાનોની પ્રગતિ ઇચ્છે છે. ખરેખર તો એવા ભણેલા-ગણેલા સંતાનો કરતાં અભણ સંતાનો સારા, જે ઓછામાં ઓછું પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે રહીને તેમની સંભાળ તો રાખે છે. આ પ્રશ્ન ચિંતાજનક છે કે જે સમાજમાં માતૃ દેવો ભવની સર્વસ્વીકાર્ય માન્યતા રહી હોય, ત્યાં આવા કલિયુગી સંતાનો કેવી રીતે જન્મી રહ્યા છે? માતા-પિતાની અવગણનાની આ એકમાત્ર ઘટના નથી. દરરોજ અખબારોમાં એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે જેમાં સંપત્તિ અને ધન માટે માતા-પિતા સાથે ક્રૂર વર્તન કરવામાં આવે છે.
જો તેમની અવહેલના અને શોષણનો આ ક્રમ આમ જ ચાલુ રહેશે, તો શક્ય છે કે ભારતમાં પણ પશ્ચિમી દેશોની જેમ એવી પ્રથા શરૂ થઈ જાય, જ્યાં માતા-પિતા સંતાનોને સમજદાર બન્યા પછી સ્વતંત્ર જીવન જીવવા માટે અલગ કરી દેતા હોય છે. વાસ્તવમાં પશ્ચિમી દેશોમાં ઘણા માતા-પિતા માની લે છે કે મોટા થયા પછી સંતાનો તેમની સંભાળ નહીં રાખે, તેથી તેઓ પહેલેથી જ અંતર રાખવાનું પસંદ કરે છે. આધુનિકતા અને પ્રગતિની કેટલીય ગાથાઓ લખવામાં આવે, છતાં ભારતીય સમાજ ક્યારેય સંપૂર્ણપણે પશ્ચિમી સમાજના માર્ગે ચાલી શકતો નથી. ભારત શ્રવણકુમારની ભૂમિ છે અને આજે પણ મોટાભાગના સંતાનો પોતાના માતા-પિતાનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કરે છે અને તેમની સેવા-સંભાળ રાખે છે.
જો કે, મહાનગરોની સંસ્કૃતિએ કેટલીક વિકૃતિઓને પણ જન્મ આપ્યો છે. સંતાનોની પોતાની મુશ્કેલીઓ પણ હોય છે. છતાં ભારતીય સંસ્કૃતિમાં એવી શક્તિ છે જે પારિવારિક મૂલ્યોને જીવંત રાખે છે. માતા-પિતાની સેવા, સન્માન અને વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખવી માત્ર સાંસ્કૃતિક દેખાડો નથી, પરંતુ સંતાનોની નૈતિક અને કાનૂની જવાબદારી પણ છે. તાજેતરમાં અદાલતે જે કેસમાં પુત્રને પોતાની વૃદ્ધ માતાને એક ઓરડો અને અન્ય સુવિધાઓ આપવાનો આદેશ કર્યો હતો, તે ઘર વૃદ્ધાના સ્વર્ગસ્થ પતિએ જ બનાવેલું હતું. છતાં પોતાના હક્ક માટે તેમને ન્યાયિક હસ્તક્ષેપનો સહારો લેવો પડયો. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે કોઈ વૃદ્ધ માતાને આશ્રય અને આત્મસન્માન માટે પોતાના જ સંતાનો સામે અદાલતના દ્વાર ખખડાવવા પડે.
નિ:સંદેહ, આ ભારતીય સંયુક્ત પરિવાર પ્રથાના પતનનું પ્રતીક છે, જેની એક સમયે પશ્ચિમી ભોગવાદી સંસ્કૃતિના સમર્થકો પણ પ્રશંસા કરતા હતા. અહીં અદાલતના સંવેદનશીલ અને ન્યાયસંગત નિર્ણયની મુક્તકંઠે પ્રશંસા કરવી જોઈએ, કારણ કે અદાલતે પુત્રની અરજી ફગાવીને તેના પર દંડ પણ ફટકાર્યો હતો. આ વધુ દુ:ખદ છે કે દેશભરની અદાલતો પરિત્યક્ત અને પીડિત માતા-પિતાથી સંબંધિત વિવાદોનો સતત સામનો કરી રહી છે. વિવિધ ટ્રિબ્યુનલ અને ઉચ્ચ ન્યાયાલયોએ દુર્વ્યવહાર કરનારા સંતાનોને ઘરેથી કાઢી મૂકવાના આદેશો પણ આપ્યા છે. અદાલતોએ માતા-પિતાની સ્વઅર્જિત સંપત્તિ પર તેમના અધિકારોને જાળવી રાખીને 'વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭' ને વધુ મજબૂત બનાવ્યો છે.


