Get The App

જાતિગત વસ્તી ગણતરી .

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
જાતિગત વસ્તી ગણતરી                                  . 1 - image


જાતિગત વસ્તી ગણતરીની તારીખો જાહેર કરીને, સરકારે એ શંકા દૂર કરી છે કે તે આ મુદ્દાને લટકાવેલો રાખવા ચાહે છે. નિશ્ચિત સમયપત્રક મુજબ, વસ્તી ગણતરી ૧ માર્ચ ૨૦૨૭ના રોજ મધ્યરાત્રિએ સમાપ્ત થશે. હવે આગળનો પ્રશ્ન એ છે કે તેનો ડેટા કેટલો જલ્દી જાહેર થાય છે, કારણ એ છે કે લોકસભા સીમાંકન અને મહિલા અનામતનો મુદ્દો પણ આ સાથે જોડાયેલો છે. સરકારે સન ૨૦૧૧ની સામાજિક-આર્થિક અને જાતિગત વસ્તી ગણતરીમાં પણ જાતિગત ડેટા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પછી તેમાં એટલી બધી વિસંગતતાઓ જોવા મળી કે અહેવાલ જાહેર કરવામાં આવ્યો ન હતો. તે જ સમયે, છેલ્લા દોઢ દાયકામાં જાતિગત વસ્તી ગણતરી માટે સામાજિક અને રાજકીય રીતે દબાણ વધ્યું છે. તાજેતરમાં, બિહાર અને કર્ણાટક જેવાં રાજ્યોએ પણ આ દિશામાં પોતાના દમ પર પ્રયાસ કર્યો, જે વિવાદોમાં ફસાઈ ગયો. કેન્દ્ર સરકારે આવા વિવાદો અને ભૂતકાળની ભૂલો ટાળવી પડશે.

સ્વતંત્ર ભારતમાં, જાતિઓ પર ગણતરી કરવામાં આવતી હતું, પરંતુ તેનો હિસાબ રાખવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં, આ જાતિગત વસ્તી ગણતરી સમગ્ર દ્રશ્ય બદલી નાખશે. તેની પહેલી અસર લોકસભા બેઠકોની સંખ્યા પર પડશે, જેના પર નિર્ણય પાંચ દાયકાથી મુલતવી રાખવામાં આવ્યો છે. દેશની વધતી વસ્તી હવે સંસદમાં વધુ પ્રતિનિધિઓ ઇચ્છે છે, પરંતુ ઉત્તર અને દક્ષિણ વચ્ચે વસ્તી તફાવત એક મોટો અવરોધ છે. દક્ષિણનાં રાજ્યોએ ઉત્તરની તુલનામાં તેમની વસ્તી નિયંત્રિત કરી છે. તેમને ડર છે કે નવા સીમાંકનથી તેમની બેઠકો ઘટી શકે છે.

ઈસવી સન ૧૯૭૬માં ઇન્દિરા ગાંધી અને ૨૦૦૧માં અટલ બિહારી વાજપેયીની સરકારે સીમાંકન કર્યું હતું, પરંતુ બેઠકોની સંખ્યામાં વધારો કર્યો ન હતો. ઇન્દિરા સરકારે ૨૫ વર્ષ માટે બેઠકોમાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો. વાજપેયી સરકારે પણ તેને જાળવી રાખ્યો હતો. આ સમયગાળો ૨૦૨૬માં સમાપ્ત થઈ રહ્યો છે, એટલે કે, હવે જે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે તેના આધારે, સરકારે સીમાંકન સંબંધિત એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. જાતિગત વસ્તી ગણતરી સાથે સંબંધિત બીજો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન અનામતનો છે. નવા ડેટાના આધારે અનામતમાં ફેરફારની ડિમાન્ડ કરવામાં આવશે, પરંતુ કોઈ પણ પ્રકારના ફેરફારના માર્ગમાં જટિલ રાજકીય અને કાનૂની ગૂંચવણો છે. સરકાર માટે તેમને ઉકેલ્યા વિના આગળ વધવું મુશ્કેલ બનશે.

જાતિગત વસ્તી ગણતરી નવા ભારતનાં સામાજિક-આથક સમીકરણોને સમજવામાં મદદ કરશે, સાથે કેટલાક પડકારો પણ હશે. ૨૦૨૯ પહેલાં વસ્તી ગણતરીના ડેટા જાહેર થાય કે નહીં તે એક અલગ પ્રશ્ન છે, પરંતુ એ ચોક્કસ છે કે તેની આગામી લોકસભા ચૂંટણીઓ પર અસર પડશે. મોદી સરકાર એવા નિષ્કર્ષ પર પહોંચી કે જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. આ એક એવો નિર્ણય છે જેની ભારતીય રાજકારણ અને સમાજ પર ભારે અસર પડશે. આ પહેલાં, જાતિગત વસ્તી ગણતરી ૧૯૩૧માં એટલે કે બ્રિટિશ શાસન દ્વારા અવિભાજિત ભારતમાં કરવામાં આવી હતી. ૨૦૧૧માં, મનમોહન સરકારે જાતિગત વસ્તી ગણતરી કરી હતી, પરંતુ તેમાં એટલી બધી જટિલતાઓ જોવા મળી હતી કે તેનો ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો. ભાજપે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણને ટેકો આપ્યો હોવા છતાં, તે જાતિગત વસ્તી ગણતરી વિશે અવાજ ઉઠાવ્યો ન હતો.

ઇજીજીએ ચોક્કસપણે તેનું સમર્થન કર્યું. ત્યારે કોંગ્રેસ અને કેટલાક પ્રાદેશિક પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરી પર ભાર મૂકવામાં વ્યસ્ત હતા. રાહુલ ગાંધી સૌથી વધુ ભાર આપી રહ્યા હતા, જ્યારે નેહરુથી લઈને નરસિંહ રાવ સુધી, કોઈએ તેની જરૂરિયાત સમજી ન હતી. એ હકીકત છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો જાતિ વસ્તી ગણતરી કરવાના નિર્ણયનો શ્રેય લેશે, પરંતુ ભાજપ તેને સામાજિક ન્યાય પર કેન્દ્રિત તેની પહેલ કહેશે. પ્રશ્ન એ છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી સામાજિક ન્યાયમાં મદદ કરશે કે જાતિગત વૈમનસ્ય અને રાજકારણ માટે નવા દરવાજા ખોલશે? આમાંનું ઘણું બધું જાતિગત વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના પર નિર્ભર રહેશે.

જાતિ ભારતીય રાજકારણની વાસ્તવિકતા હોવાથી, સૈદ્ધાંતિક રીતે તે યોગ્ય લાગે છે કે જ્યારે જાતિઓ સામાજિક કલ્યાણ યોજનાઓના અમલીકરણ માટેનો આધાર બને છે, ત્યારે કેટલા લોકો કઈ જાતિના છે અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ શું છે તેનો સ્પષ્ટ ડેટા હોવો જોઈએ. અત્યાર સુધી, અનુસૂચિત જાતિ અને જનજાતિની ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ અન્ય પછાત વર્ગો એટલે કે ર્ંમ્ભની નહીં. હવે બધી જાતિઓની ગણતરી કરવામાં આવશે. આ ગણતરી મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય સમુદાયોમાં પણ થવી જોઈએ, કારણ કે કોઈ ગમે તે દાવો કરે, તેના આધારે જાતિ અને ભેદભાવ દરેક જગ્યાએ છે. ફરજિયાત, એ છે કે જાતિગત વસ્તી ગણતરી જાતિગત રાજકારણનું હથિયાર ન બનવી જોઈએ અને તે ભારતીય સમાજને વિભાજિત ન કરે.

Tags :