Get The App

પાકનો હાસ્યાસ્પદ અપપ્રચાર .

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
પાકનો હાસ્યાસ્પદ અપપ્રચાર                                           . 1 - image

તાજેતરમાં, ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનું એક ચોંકાવનારું નિવેદન ભારતીય પ્રજાના સાંભળવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન, સેનાની ૧૫% ઉર્જા ખોટી માહિતી અને ખોટા સમાચાર સામે લડવામાં ખર્ચવામાં આવી હતી. આ નિવેદન ચિંતાજનક જ નહીં, પ્રજાના પોતાના અજ્ઞાાનનું દ્યોતક પણ છે. વિશ્વ યુદ્ધો દરમિયાન પણ પરંપરાગત યુદ્ધો સાથે ઘાતક અને ખોટી માહિતી આપનારા અલગ પ્રકારના સમાંતર યુદ્ધો લડવામાં આવ્યા હતાં, પરંતુ તાજેતરનાં વર્ષોમાં, માહિતી ક્રાંતિ અને ડિજિટલ યુગમાં, આ પડકાર અત્યંત જટિલ બની ગયો છે. હિટલરના પ્રચારતંત્રના વડાનું નિવેદન વારંવાર કહેવામાં આવે છે કે એક ખોટા સમાચારને સો વાર પુનરાવર્તન કરવાથી તે સાચા થઈ જાય છે. આ વખતે, ઓપરેશન સિંદૂર પછી કંઈક આવું જ જોવા મળ્યું છે.

એ હકીકત છે કે ભારતે ઝડપી અને સચોટ કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના મુખ્ય ઠેકાણાઓનો વિનાશ કર્યો છે, ઉપરાંત પાકિસ્તાનની વાયુસેનાને પણ ભારે નુકસાન પહોંચાડયું. તે જ સમયે, ભારતે રશિયન એર સ્ટ્રાઈક ડિફેન્સ સિસ્ટમ અને સ્વદેશી ડિફેન્સ કવચથી પાકિસ્તાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આમ હોવા છતાં, પાકિસ્તાની જનતાને ખોટી અને ભ્રામક માહિતી દ્વારા કહેવામાં આવ્યું કે પાકિસ્તાન જીતી ગયું છે. ત્યાં મૂર્ખતાપૂર્ણ વિજય સરઘસ કાઢવામાં આવ્યાં હતાં અને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. કારમી હાર છતાં, પાક સેના પ્રમુખને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા. ગેરમાર્ગે દોરનારી અને ખોટી માહિતીનો આ પ્રવાહ અંદર અને બહાર બંને તરફથી હતો. દેશના લોકો વાસ્તવિકતા શું છે તે અંગે મુંઝવણમાં હતા.

ભારતની સેનાએ પણ સમાચારના તર્ક માટે સંઘર્ષ કરવો પડયો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સાથે સૈન્ય અધિકારીઓએ તથ્યોના તર્ક સાથે પોતાનો મુદ્દો રજૂ કર્યો. બીજી તરફ, પાકિસ્તાને તેના મિત્રો અને વિશ્વના અન્ય દેશોને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. આ દિશામાં, તમામ રાજકીય પક્ષોના ભારતીય સાંસદો વિવિધ દેશોમાં ગયા અને ભારતનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો. આ પછી જ, કોલંબિયાને પાકિસ્તાનના પક્ષમાં પોતાનું નિવેદન પાછું ખેંચવાની ફરજ પડી. આટલે સુધી પહોંચ્યા પછી પણ વિપક્ષોનો સ્વર બહુ વૈવિધ્ય ધરાવે છે અને તેમનાં વિધાનો ભારત સરકારને સાશંક રીતે જુએ છે.

ગમે તે હોય, હવે પરંપરાગત યુદ્ધની સાથે વાર્તા અને માહિતી યુદ્ધની તૈયારી કરવાનો સમય આવી ગયો છે. ઝડપી માહિતી પ્રણાલી અને સોશિયલ મીડિયાના યુગમાં, સ્વાર્થી હિતો દ્વારા કેવા પ્રકારના સમાચાર બનાવવામાં આવે છે, આપણે ઓપરેશન સિંદૂર દરમિયાન આ જોયું. AIની મદદથી કાલ્પનિક વાર્તા બનાવીને જુઠ્ઠાણાને સાચા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખરેખર, IT ક્રાંતિએ માહિતીના પ્રસારને અભૂતપૂર્વ ગતિ આપી છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન આ કામ કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા ભારત વિશે દુષ્પ્રચાર કરવામાં આવે તે સમજી શકાય છે કારણ કે એ શત્રુદેશ છે, પરંતુ એક પરાજિત દેશ તરીકે પાકિસ્તાન પોતાને વિજયી બતાવે તે ગંભીર તો છે જ, પણ હાસ્યાસ્પદ પણ છે. સ્વયંને તમાચો મારીને ગાલ લાલ રાખવામાં પાકિસ્તાનનો કોઈ હરીફ નથી.

પાકિસ્તાન સતત અડધો ડઝન ભારતીય લડાયક વિમાનોને તોડી પાડવાનો દાવો કરતું રહ્યું, જ્યારે ચીનનું સરકારી મીડિયા પાકિસ્તાનની યોજનાઓને હવા આપતું રહ્યું. નિઃશંકપણે, આવી ભ્રામક માહિતી લશ્કરી કાર્યવાહીના માર્ગમાં અવરોધો તો ઉભા કરે છે, પરંતુ દેશના લોકોનું મનોબળ પણ નીચું કરે છે. ઓપરેશન સિંદૂર પછી, દેશમાં પાકિસ્તાન માટે જાસૂસીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા. આ પણ એક પ્રકારનું માહિતી યુદ્ધ હતું. સોશિયલ મીડિયા પ્રભાવકો દ્વારા ભારત સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી.

આ સાથે, સોશિયલ મીડિયા દ્વારા ભારતીય સેનાની પ્વૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. બીજી તરફ, આવી નકલી અને ભ્રામક માહિતી આંતરરાષ્ટ્રીય જનમતને પણ અસર કરે છે. આ જ કારણ છે કે, આવનારા સંકટને ધ્યાનમાં રાખીને, સીડીએસ જનરલ અનિલ ચૌહાણે માહિતી યુદ્ધનો સામનો કરવા માટે સેનાની એક નવી પાંખ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવા યુગમાં, પરંપરાગત યુદ્ધની સાથે આધુનિક ટેકનોલોજી અને માહિતી માધ્યમો પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આ નવા પ્રકારના યુદ્ધ માટે આપણે જેટલી વહેલી તકે પોતાને તૈયાર કરીશું, તેટલો જ યુદ્ધ દરમિયાન આપણને વધુ ફાયદો મળી શકશે.