કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જીએસટી અંગેની ભૂલો સુધારવા માટે ઢંઢેરો પીટયો હતો અને જાણે કે પોતે પ્રજા પર ઉપકાર કરતા હોય એવો ઢોલ પણ લગાડયો હતો. દિવંગત અરૂણ જેટલીએ જીએસટી અમલવારી પછીના એક વરસમાં એમાં પાંચસો સુધારાઓ કર્યા હતા. અર્થતંત્રની ડોક મરડવામાં તેમણે કંઇ બાકી રાખ્યું ન હતું. કોઈ પણ ભૂલ અમારી હોય જ નહિ એ માનસિકતાથી આખું ભાજપ પીડાય છે. સંચાર સાથી એપ્લિકેશનમાં સરકારે શીર્ષાસન કરવાનો વહેલો વારો આવ્યો. આમ તો મોદી સરકારની ભેદી પ્રચારાત્મક ગાજવીજમાં ભારતીય પ્રજા વિરોધપક્ષોની અણમોલ બહુમૂલ્યતા ભૂલી જતી હોય છે અને ભાજપ દ્વારા વિપક્ષની થતી મજાકમાં અણસમજમાં સામેલ થઈ જતી હોય છે. પરંતુ સંચાર સાથી જે માત્ર ભાજપની જાસૂસી કળાની જ સાથી હતી તે એપ્લિકેશન અંગે વિપક્ષોએ જે ઊહાપોહ મચાવ્યો અને એ ખતરનાક ગેઈમ પડતી મૂકવી પડી એનાથી પ્રજાને એક જ્ઞાન તો થયું કે વિપક્ષો જ લોકશાહીમાં પ્રજાના સાથી હોય છે.
કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા હતા કે આવતા વર્ષના માર્ચથી દરેક નવા સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપ્લિકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે. બીજી તરફ જૂના સ્માર્ટફોનમાં આ એપ સોફ્ટવેર અપડેટ દ્વારા મોકલવામાં આવશે. આ નિર્ણયને લઈને વિરોધ પક્ષે તીવ્ર પ્રતિક્રિયા આપી અને શિયાળુ સત્રમાં તેને મોટો મુદ્દો બનાવ્યો. વિરોધ પક્ષનું કહેવું હતું કે આ નિર્ણયથી વ્યક્તિગત ગોપનીયતા ભંગ થશે અને નાગરિકોના જીવનમાં સરકારનો દખલ વધશે. તેમણે તેને સંવિધાનિક અધિકારોનો ભંગ અને નાગરિકોની દેખરેખ રાખનારી વ્યવસ્થા ગણાવી. આ ચર્ચા વચ્ચે વિરોધ પક્ષને મળતી તક જોતા કેન્દ્ર સરકારે એપ્લિકેશનને ફરજિયાત પ્રિ-ઇન્સ્ટોલ કરવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો. હકીકતમાં સરકારે જણાવ્યું હતું કે ડિજિટલ દુનિયામાં વધતા સાયબર ગુનાઓથી નાગરિકોને સુરક્ષા આપવા માટે આ પગલું જરૂરી હતું. તેમનું મંતવ્ય હતું કે સતત જટિલ બનતા સાયબર ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે આવી પહેલ આવશ્યક છે.
પરંતુ વિરોધ પક્ષનો આક્ષેપ હતો કે સાયબર સુરક્ષાના નામે સરકારની વધતી દખલ નવી પ્રકારની અસુરક્ષા ઊભી કરી શકે છે. સરકારે આ એપ એવી રીતે ઇન્સ્ટોલ કરવાની જણાવી હતી કે જેને ડિલીટ અથવા ડિસેબલ ન કરી શકાય. કેન્દ્ર સરકારની દલીલ મુજબ આ એપ ગ્રાહકને ઠગાઈભર્યા ફોન અથવા મેસેજની ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ બને છે. સાથે જ ચોરાયેલા મોબાઇલની શોધ સરળ બની જાય છે. પરંતુ તેના ડેટા સુરક્ષા અને કાર્યપદ્ધતિ અંગે પ્રશ્નો ઊભા થતા વિરોધ શરૂ થયો. જ્યારે આ એપ સર્ચ એન્જિન પર પહેલેથી જ ઉપલબ્ધ છે અને લાખો લોકો તેને સ્વેચ્છાએ ડાઉનલોડ પણ કરી ચૂક્યા છે. પરંતુ જ્યારે તેને ફરજિયાત કરવાની જાહેરાત થઈ, ત્યારે વિરોધના અવાજ ઊંચા બનવા લાગ્યા. ત્યાર બાદ વિરોધ પક્ષે આરોપ લગાવ્યો કે આ એપ દ્વારા વ્યક્તિના ખાનગી જીવનમાં ઝાંખી કરી શકાય છે અને તેની ગોપનીયતામાં હસ્તક્ષેપ કે નેત્રક્ષેપ થઈ શકે છે.
જો કે વિરોધ વધતા સરકાર તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું કે આ નિર્ણય વૈકલ્પિક છે અને કોઈપણ વ્યક્તિ ઇચ્છે તો આ એપ ડિલીટ કરી શકે છે. ગોપનીયતા આપણો મૂળભૂત અધિકાર છે. આવા સમયમાં કોઈ પણ એપને ફરજિયાત બનાવવાથી વ્યક્તિની પ્રાઇવસી પર અસર થવાની આશંકા વ્યક્ત થઈ. થોડા સમય અગાઉ સરકારે વોટ્સએપ, ટેલિગ્રામ જેવી કમ્યુનિકેશન એપ કંપનીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની સેવાઓને મોબાઇલ સિમ કાર્ડ સાથે જોડે જેથી સિમ વગર આ એપ્સનો દુરુપયોગ પણ ન થઈ શકે. ટેલિકોમ કંપનીઓએ આ સૂચનને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ગોપનીયતાનો અધિકાર ભારતમાં મૂળભૂત અધિકાર તરીકે ઉપલબ્ધ છે.
સુપ્રીમ કોર્ટએ પણ પોતાના એક ચૂકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા અનુચ્છેદ ૨૧ હેઠળના 'રાઇટ ટૂ પ્રાઇવસી'માં આવરી લેવાય છે. જેમાં મોબાઇલ, ઇન્ટરનેટ અને ડિજિટલ માહિતી પણ સામેલ છે. આવા સમયે રાષ્ટ્રીય સુરક્ષા સિવાયના મુદ્દાઓમાં વ્યક્તિને પોતાની ડિજિટલ ઓળખ અને ડેટા સંપત્તિનું રક્ષણ મેળવવાનો હક છે. આ જ કારણ છે કે અગાઉ સર્વોચ્ચ અદાલતે મોબાઇલ કંપનીઓ અને ખાનગી કંપનીઓને ગ્રાહકો પાસે આધાર કાર્ડ માગવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને ગોપનીયતા રક્ષણ તરફનું મહત્વનું પગલું માનવામાં આવ્યું હતું. તેથી જ 'સંચાર સાથી'ની ફરજિયાતતા બાદ ડેટા સુરક્ષા અને સરકારી હસ્તક્ષેપ અંગે પ્રશ્નો ઊભા થયા.
આજના ડિજિટલ યુગમાં વ્યક્તિનો ડેટા અત્યંત મહત્વનો છે અને તેની સુરક્ષા દરેક કિંમતે કરવામાં આવવી જોઈએ. સાથે સાથે આ બાબતની પણ તપાસ કરવી જરૂરી છે કે ક્યાંક અન્ય કોઇ એપ તો આપણા ડેટામાં ઘૂસણખોરી નથી કરી રહી? સરકારને ગ્રાહકોને તેવી સંભવિત ખતરોમાંથી પણ સુરક્ષા આપવી પડશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 'સંચાર સાથી' એપ ફરજિયાત કરવાનો બદલે લોકોમાં નવી ટેક્નોલોજી અને તેના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવવું જોઈએ. સાથે લોકોને તાલીમ આપવી જોઈએ જેથી ટેક્નોલોજીના સહારે સાયબર ગુનાઓ પર વધુ અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય.


