બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે બોઆઓ ફોરમ ફોર એશિયા કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ચીનની મુલાકાત દરમિયાન કરેલી ટિપ્પણીઓ પર ભારતમાં તીવ્ર પ્રતિક્રિયા આવી છે અને તેમના અંતર્ગત ઇરાદાઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક ગોળમેજી પરિષદમાં બોલતા, યુનુસે ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્યો - સેવન સિસ્ટર્સ - ને લેન્ડ-લોક્ડ વિસ્તાર તરીકે ઉલ્લેખ કર્યો, એમણે ભારતની ટીકા કરવા માટે આ પૂર્વોત્તર ક્ષેત્રમાં કનેક્ટિવિટી અને વેપારના અભાવ પર પ્રકાશ પાડયો. ભારતના વિશાળ દરિયાકાંઠાની અવગણના કરીને, તેમણે દાવો કર્યો કે બાંગ્લાદેશ સમુદ્ર સુધી પહોંચનો રક્ષક છે. અને, તેમણે આ ભારતીય રાજ્યોને બજારો અને ઉત્પાદન સ્થળો તરીકે રજૂ કર્યા, અને ચીનને ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશ સાથે ચીની અર્થતંત્રના વિસ્તરણ તરીકે જોવા કહ્યું. આ યુનુસની દુષ્ટતા અને મૂર્ખતા એ છે કે એ પોતે ભારત અને બાંગ્લાદેશ બન્નેના સલાહકાર હોય એ રીતે તેઓ શેખી મારતા હતા.
તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓના અન્ય અર્થ પણ હતા. ગયા ઓગસ્ટમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હાંકી કાઢયા બાદ તેમણે પદ સંભાળ્યું ત્યારથી આ તેમની ચીનની પહેલી મુલાકાત હતી. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ અને યુનુસ સરકારની હસીનાને ઘરે પાછા મોકલવાની માંગને લઈને ભારત સાથે તણાવ યથાવત છે. હવે ઘર આંગણે યુનુસે ઘણા દુશ્મનો ઊભા કરી લીધા છે. બાંગ્લાદેશમાં દરરોજ એક નવા રાજકીય પક્ષનો જન્મ થાય છે. દરેકને સિંહાસનનાં સપનાં આવે છે. યુનુસ વિરોધી સરઘસો પર પોલીસ ગોળીબાર પણ ચાલુ છે. નવી દિલ્હી તરફથી કોઈ આમંત્રણ ન હોવા છતાં, યુનુસના ચીનની મુલાકાતના નિર્ણયને રાજદ્વારી ઠપકો તરીકે જોવામાં આવી રહ્યો છે અને કદાચ એ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશ તેની વિદેશ નીતિની દિશા બદલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ રાજકીય નેતાઓ તેમાં કૂદી પડયા છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ આ ટિપ્પણીઓને વાંધાજનક અને અત્યંત નિંદનીય ગણાવી હતી, અને નિર્દેશ કર્યો હતો કે આ ટિપ્પણીઓનો હેતુ ચિકન નેક દ્વારા ભારતની વ્યૂહાત્મક નબળાઈ તરફ ધ્યાન દોરવાનો હતો. અન્ય પ્રાદેશિક નેતાઓ અને વિપક્ષી સભ્યોએ કેન્દ્ર સરકારને ઢાકા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરવા વિનંતી કરી છે. યુનુસને ખબર ન હોત કે તેમના ભાષણનો સમય અને સ્થળ વિવાદ પેદા કરશે. ઉપરોક્ત દેશો આ ક્ષેત્રમાં ચીનના આર્થિક વર્ચસ્વને સમર્થન આપતાં નિવેદનોનું અર્થઘટન કેવી રીતે કરશે તે પ્રત્યે સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે. આ ટિપ્પણીઓ તેમના યજમાનને આકર્ષિત કરવાની અથવા પ્રાદેશિક જોડાણ માટે લોબિંગ કરવાની ઇચ્છાથી ઉદ્ભવી હશે, પરંતુ તેમના અર્થને વધુ કાળજીપૂર્વક ધ્યાનમાં લઈ શકાયો હોત.
થાઇલેન્ડમાં આગામી BIMSTEC બિમસ્ટેક સમિટ આવી ચર્ચાઓ માટે વધુ યોગ્ય પ્લેટફોર્મ બની શકી હોત, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ એશિયાથી દક્ષિણપૂર્વ એશિયાના નેતાઓ હાજર રહેશે. એટલું જ મહત્વપૂર્ણ, યુનુસને આ અઠવાડિયે ભારત તરફથી બે પત્રો મળ્યા ઃ એક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી ઈદ અલ ફિત્રકની શુભેચ્છાઓ પાઠવતો પત્ર, અને બીજો મોદી તરફથી બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસની વર્ષગાંઠ પર. બેંગકોકમાં મોદી-યુનુસ બેઠકની કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને પક્ષો સંબંધોમાં તણાવ ઓછો કરવા અને વધુ રચનાત્મક માર્ગ શોધવા માટે અલગ-અલગ વાતચીત કરશે. યુનુસની ચીન સાથે વધતી જતી મિત્રતા ભારત માટે એક મોટી ચિંતાનો વિષય છે. જેમ ચીને પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં પ્રભાવ મેળવ્યો છે, તેમ બાંગ્લાદેશ ચીની રોકાણ પર વધુ નિર્ભર બની રહ્યું છે. ચીન બાંગ્લાદેશને ઓછા વ્યાજ દરે લોન આપી રહ્યું છે અને મોટા માળખાગત સુવિધાઓ અને ઉર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી રહ્યું છે, જેનાથી દક્ષિણ એશિયામાં તેની પકડ મજબૂત થઈ રહી છે. ભારત આને ચીનની તેના સાથી દેશોને ઘેરી લેવાની રણનીતિના ભાગ રૂપે જુએ છે.
દરમિયાન, સુરક્ષાના કારણોસર ભારતે બાંગ્લાદેશીઓ માટે મેડિકલ વિઝામાં ઘટાડો કર્યો છે. આ રાજદ્વારી પગલાં દર્શાવે છે કે યુનુસના નેતૃત્વમાં બે પડોશીઓ વચ્ચેના સંબંધો કેટલા તણાવપૂર્ણ બન્યા છે. યુનુસ બાંગ્લાદેશની સ્વતંત્રતાના પિતા શેખ મુજીબુર રહેમાનની ભૂમિકા અને ૧૯૭૧ના યુદ્ધમાં ભારતના યોગદાનને ઓછું આંકીને બાંગ્લાદેશની ઐતિહાસિક કથા બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.


