ભારતીય વાયુસેનાના વડા એર ચિફ માર્શલ અમરપ્રીત સિંહની સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગેની ચિંતાઓ અને પ્રશ્નો વાજબી છે. બે મોરચે લડી રહેલી સેનાના આધુનિકીકરણને વેગ આપવાની જરૂર છે. આ માટે, આપણે ફક્ત વિદેશી સોદાઓ પર આધાર રાખી શકીએ નહીં, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદન પણ વધારવું પડશે. એપી સિંહે સંરક્ષણ ડિલિવરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું કે આ એવી બાબત છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ, આપણે એવું વચન કેમ આપવું જોઈએ જે પૂર્ણ ન થઈ શકે. કેટલીકવાર કરાર પર હસ્તાક્ષર કરતી વખતે જ અમને ખાતરી હોય છે કે આ કાર્ય પૂર્ણ થવાનું નથી. એર ચિફ માર્શલે બહુ થોડા શબ્દો ઉચ્ચાર્યા છે પણ એમાં ઘણી બધી વાત આવી જાય છે. વિદ્યમાન ભારતીય સૈન્ય દુનિયાના જૂજ વિચક્ષણ સૈન્યમાં સમાવિષ્ટ છે. અગાઉ જ્યારે પ્રતીકાત્મક યુદ્ધ ન હતા ત્યારે ભારતે ખેલેલા જંગનો ઈતિહાસ અતિ વ્યૂહાત્મક અને યાદગાર છે.
એપી સિંહે સંરક્ષણ ડિલિવરીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલી લડાઈ પછી પોતાની પહેલી જાહેર ટિપ્પણીમાં, એર ચિફ માર્શલે સંરક્ષણ સોદાઓની સપ્લાયમાં વિલંબ પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી. તેમણે કહ્યું કે આમ હોવા છતાં, સશસ્ત્ર દળોએ અત્યાર સુધી આ સમસ્યા પર બોલવાનું ટાળ્યું છે. વાયુસેના પ્રમુખની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતે તાજેતરમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડયા હતા અને પોતાની હવાઈ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સંઘર્ષે એ પણ દર્શાવ્યું હતું કે યુદ્ધમાં ફાઇટર પ્લેનની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બની ગઈ છે. વળી એમના વિધાનો ત્યારે સપાટી પર આવ્યા છે જ્યારે દેશના કેટલાક સતાતાધારી રાજનેતાઓ વિધવિધ પ્રકારની ક્રેડિટ લેવામાં મશગુલ છે.
ભારત પાસે બે મોરચા ખુલ્લા છે - પાકિસ્તાન અને ચીન. અને ચિંતાજનક બાબત એ છે કે ચીન પાસે જે કંઈ છે, તે કોઈને કોઈ રીતે પાકિસ્તાન સુધી પહોંચે છે. તાજેતરના સંઘર્ષમાં, પાકિસ્તાને તુર્કી ડ્રોન અને ચીની ફાઇટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. એના પછીનો તાજેતરનો અહેવાલ ભારત માટે ચિંતાનો વિષય છે કે ચીન પણ તેના J-35 સ્ટીલ્થ ફાઇટર જેટ પાકિસ્તાનને આપવા જઈ રહ્યું છે. ભારત સરકારે પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટના ઉત્પાદનને મંજૂરી આપી છે, પરંતુ જો અપેક્ષા પૂર્ણ થાય તો પણ તેને બનાવવામાં દસ વર્ષ લાગશે. વિકરાળ અને ઘાતક કે વિદ્વંસક શસ્ત્રોનું ઉત્પાદન એ કોઈ મેજિક નથી. એમાં ટેકનોલોજિકલ કેટલીક એવી પ્રક્રિયાઓ સામેલ હોય છે જેમાં જેટલો સમય લાગે એ લાગે જ, એમાં ઉતાવળ સંભવ નથી. એટલે ઝડપ કે જે નિર્ણય લેવામાં સંભવ છે એમાં તરત ધ્યાન આપવાની જરૂર છે.
ભારતીય વાયુસેના પાસે ફાઇટર એરક્રાફ્ટની સ્ક્વોડ્રન હોવી જોઈએ, એનાથી ઓછી છે. એર ચિફ માર્શલના વિધાનોને આધારે દેશના અનેક મીડિયામાં આજકાલ શું છે અને શું હોવું જોઈએ એની વિસ્તૃત બહસ ચાલી રહી છે. એ હકીકત છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હજુ સુધી સ્વદેશી તેજસ માર્ક- ૧છ પહોંચાડી શક્યું નથી. આ કારણે, વાયુસેનાની સંરક્ષણ તૈયારીઓ પ્રભાવિત થઈ રહી છે. વાયુસેના પ્રમુખે અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારત દ્વારા તાજેતરમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સન ૨૦૨૩-૨૪માં ૧. ૨૭ લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ સાધનોનું ઉત્પાદન થયું હતું અને ભારતે ૨૧ હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સંરક્ષણ નિકાસ પણ કરી હતી. એકસોથી વધુ દેશોએ ભારત પાસેથી સંરક્ષણ સાધનો અને શસ્ત્રો ખરીદ્યા છે. એક દાયકામાં આ પ્રકારની નિકાસમાં લગભગ ૩૦ ગણો વધારો થયો છે.
આવનારા સમયમાં ભારતે પોતાની સંરક્ષણ જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનવું પડશે. ઉપરાંત, ચીને જે રીતે પોતાની સેનાનું આધુનિકીકરણ કર્યું છે, ભારતે પણ તે માર્ગ પર ઝડપથી આગળ વધવું પડશે. આ માટે, સંરક્ષણ ઉત્પાદનને ઝડપી બનાવવાની જરૂર છે અને તેમાં કોઈ ઢીલ ન હોવી જોઈએ. એર ચિફ માર્શલે પોતાના વિધાનોમાં બ્લેકશિપ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ બ્રિટિશ ઈડિયોમેટિક ઈંગ્લિશ છે. એનો અર્થ છે કે હું કંઈ વધારે બોલવા ચાહતો નથી કારણ કે બોલું તો મારા ભારતીય સૈન્યકૂળને કલંક લાગે. એટલે કે પૂરતા આત્મસંયમ અને વિવેક સાથે એક માત્ર નાનકડી ટકોર કરવાનો જ ઉપક્રમ છે.


