જિંદગી એટલી અજાયબ, ખુશનુમા અને રોમાંચક છે કે ફરી ફરી જન્મ લેવાનું મન થવું જોઈએ. પરંતુ દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. આ સર્વે આ વર્ષે કરવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખો, આ સમયગાળા દરમિયાન ૧૯ વિદ્યાર્થીઓના આત્મહત્યાના અહેવાલ હતા. જો આને ઉમેરવામાં આવે તો આ વર્ષે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫ થઈ જાય છે. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની વધતી સંખ્યાને જોતા, જિલ્લા વહીવટીતંત્રે ૨૦૧૫ થી તેમનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી આજ સુધીમાં કોઈ પણ એક વર્ર્ષમાં આત્મહત્યાની સૌથી વધુ સંખ્યા હોય તો તે આ વરસે છે.
માતાપિતાએ સંતાનોને મહાન બનાવવાની કે એની કેરિયરમાંથી રોકડિયો પાક લેવાની વાસના જતી કરવી જોઈએ. ધૂળ પડી એવા ભણતરમાં જે જીવતમરને ઠેબે ચડાવે. કોટાના વિચારવાયુના ઊંડા કૂવા કરતા છુટક મજુરી લાખ દરજ્જે સારી. કોટામાં તાજેતરના આ સર્વેક્ષણ દરમિયાન એવા ૮૩ વિદ્યાર્થીઓ મળી આવ્યા જે ગંભીર ડિપ્રેશનનો શિકાર હતા. બે વિદ્યાર્થીઓ આત્મહત્યાના આરે મળી આવ્યા હતા. આ તમામને તાત્કાલિક કાઉન્સેલિંગ આપવામાં આવ્યું એટલું જ નહીં પરંતુ કોચિંગ સેન્ટર અને વાલીઓને જાણ કર્યા બાદ તેમને રાહત આપવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા. આમ, એવું માની શકાય કે સંભવિત આત્મહત્યાના આ કિસ્સાઓ સમયસર અટકી ગયા હતા અને જીવનના અણખૂટ ઉલ્લાસ તરફ તેઓ પાછા ફર્યા હતા. પરંતુ આ પ્રયાસો પૂરતા નથી.
આ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આ સર્વે ચાલી રહ્યો હતો ત્યારે પણ વિદ્યાર્થીઓની આત્મહત્યાના અહેવાલો હતા. અને વળી ત્યારે પણ કાઉન્સેલિંગના રાઉન્ડ તો ચાલુ જ હતા. ઉપરાંત સરકાર અને એનજીઓ દ્વારા આત્મહત્યા અટકાવવાના અન્ય પ્રયાસો પણ સમાંતર ચાલી રહ્યા હતા. સર્વે રિપોર્ટ પણ સૂચવે છે તેમ, સમસ્યાનું મૂળ બીજે છે. જ્યારે વિદ્યાર્થીઓ કોટા આવે છે, ત્યારે તેઓ પ્રથમ એક કે બે મહિના શહેરની આસપાસ ફરે છે અને મજા કરે છે. જ્યારે કોચિંગ એજ્યુકેશનનો સંપૂર્ણ અંત આવે છે ત્યારે પરિસ્થિતિ બદલી જાય છે. રોજબરોજના અભ્યાસ સાથે તાલ મિલાવી ન શકવાની અને સ્પર્ધામાં પાછળ રહી જવાની લાગણી ઘર અને પરિવારથી દૂર એકલા રહેતા આ વિદ્યાર્થીઓ માટે ભારે સાબિત થાય છે. કોટામાં સમસ્યા ચોક્કસપણે તેના સૌથી ગંભીર સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ તેનું સ્વરૂપ રાષ્ટ્રીય છે. છેવટે, જો દરેક ૨૦ લાખ વિદ્યાર્થીઓ ૧.૨૫ લાખ બેઠકો માટે સ્પર્ધા કરે, જેમ કે શઈઈ્માં જોવા મળે છે, તો સ્પર્ધાના ઉગ્ર સ્વરૂપનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે.
છેવટે, એવું કેમ છે કે આજે પણ દેશના મધ્યમ વર્ગના પરિવારો મેડિકલ કે આઈઆઈટી મેળવ્યા પછી જ તેમના બાળકોની કારકિર્દી સફળ બનતા જુએ છે? જ્યાં સુધી આ પરિસ્થિતિને બદલવા માટે અસરકારક પ્રયાસો કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોટા જેવા ખોટા દાખલા બેસતા રહેશે. કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાના વધતા જતા મામલા બાદ કોચિંગ સેન્ટરો પર પ્રતિબંધ લગાવવાની ચર્ર્ચાએ જોર પકડયું છે. ઝારખંડની ૧૬ વર્ષની રિચાએ ૧૩ સપ્ટેમ્બરે સ્વયંને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. રિચાના મૃત્યુ પછી, ઝારખંડ પ્રાઈવેટ સ્કૂલ્સ એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર એસોસિએશન (ઁછજીઉછ-પાસવા)એ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે કોચિંગ સંસ્થાઓને જવાબદાર ગણાવી છે.
પાસવા કહે છે કે કોચિંગ સંસ્થાઓ શિક્ષણ પ્રણાલીને ઉધઈની જેમ ચાટી રહી છે. કોટાના રાધા કૃષ્ણ મંદિરની દિવાલ પર લખેલી અનેક પ્રાર્થનાઓ છે, જેમાં વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હાયર સ્કોર સાથે અમને ડોક્ટર બનાવો. આ મંદિરની દીવાલો પર આવા કેટલાં બધા વ્રતો, સંકલ્પો અને વિનવણી કોતરેલાં છે. એક વિદ્યાર્થિનીએ લખ્યું છે કે પ્લીઝ ભગવાન મારા પપ્પાને હેપ્પી રાખવા માટે મને ડૉક્ટર બનાવો... - ડો. સ્વાતિ.
પોતે ડોક્ટર નથી તો પણ એણે પોતાના નામ આગળ ડોક્ટર લખ્યું છે. નિષ્ફળતાનો ડર, પસંદગી ન થવાનો ડર, માતા-પિતાની નજરમાં નિષ્ફળ જવાનો ડર, દુનિયાની અપેક્ષાઓ પ્રમાણે ન જીવવાનો ડર. આ ડર અને દબાણે આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં જુદા જુદા ૨૫ સંતાનોના જીવ લીધા છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર ગયા વરસે દેશભરમાં ૧૩,૦૮૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.


