ધ્રાંગધ્રાની ફુલેશ્વર ચોકી પાસે શાક માર્કેટ ખુલ્લી રહેતા ગાઈડલાઇનનો ભંગ
- સ્વૈચ્છિક લૉકડાઉન લાદી દેવાયું છતાં
- પોલીસ ચોકી સામેની જ માર્કેટમાં લોકોની ભીડ થતાં કોરોના સંક્રમણ વધવાની સેવાતી દહેશત
ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી બાજુ વધી રહેલા સંક્રમણને રોકવા તેમજ કોરોના વાયરસની ચેઈન તોડવા વેપારીઓ અને સ્થાનીક તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાને લઈ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન હોવા છતાં ફુલેશ્વર ચોકી પાસે શાક માર્કેટ ખુલ્લી જોવા મળી હતી અને મોટીસંખ્યામાં લોકો અહિં ભીડમાં શાકભાજીની ખરીદી કરતાં નજરે પડયાં હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકામાં વધી રહેલા કોરોન વાયરસના પોઝીટીવ કેસોને રોકવા માટે થોડા દિવસો પહેલા વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારો, આગેવાનો અને સ્થાનીક તંત્રના અધિકારીઓ જેમ કે પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફીસર, પાલિકા પ્રમુખ વગેરેની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમત્તે નક્કી કર્યા બાદ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો અને જેના ભાગરૂપે હાલ ધ્રાંગધ્રા શહેરની બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે અને મોટાભાગે શહેરી વિસ્તારમાં તમામ દુકાનો અને ધંધો બંધ જોવા મળી રહ્યાં છે ત્યારે ફેલુશ્વર ચોકી પાસે આવેલ શાક માર્કેટ સ્વૈચ્છિક લોકડાઉન હોવા છતાં ખુલ્લી જોવા મળી હતી અને રાબેતા મુજબ અનેક શાકભાજીના લારીધારકો વેચાણ કરતાં નજરે પડયાં હતાં તેમજ લોકોની પણ કોરોના વાયરસનું સંક્રમણ હોવા છતાં ભીડમાં ખરીદી કરતાં નજરે પડયાં હતાં. આમ એક તરફ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં કોરોના વાયરસને ધ્યાને લઈ સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડેપ્યુટી કલેકટરની સુચનાનું પણ ઉલંધ્ધન કરી શાક માર્કેટ ખુલ્લી રહેતાં લોકોમાં પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી.