સુરેન્દ્રનગર જિલ્લા, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઝાપટાં યથાવત
- ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસી જતા ખરીફ પાકને ફાયદાથી ખેડૂતો ગેલમાં
સુરેન્દ્રનગર, તા.13 જુલાઈ 2020,સોમવાર
સમગ્ર રાજ્યમાં હાલ છેલ્લા ઘણા દિવસથી સાર્વત્રીક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત ઝરમરથી લઈ ધીમીધારે તેમજ જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વાવણીલાયક વરસાદથી ખેડુતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાના લખતર, પાટડી, ધ્રાંગધ્રા, મુળી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે.
અને ઝરમરથી લઈ જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે ફરી સાંજે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારેથી લઈ અતિભારે વરસાદ પડયો હતો. જ્યારે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને ખેડુતોમાં પણ વાવણી લાયક વરસાદથી આનંદની લાગણી જોવા મળી હતી.