આ મકાન અને દુકાન પડાવી લેવાના છે. તેમ કહી દુધરેજમાં પિતા-પુત્રને માર માર્યાની ફરીયાદ
Updated: Nov 22nd, 2022
સુરેન્દ્રનગર : દુધરેજ વહાણવટીનગરમાં રહેતા પિતા-પુત્રને ત્રણ શખ્સોએ મકાન અને દુકાન પડાવી લેવાની ધમકી આપી ધોકા-પાઈપ વડે માર માર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની વધુ વિગત એવી છેકે, દુધરેજ વહાણવટીનગરમાં રહેતા,અને કરીયાણાની દુકાને ચલાવતા વિશાલભાઈ લાલજીભાઈ ગૈરયા પોતાની દુકાન વેપાર કરી રહ્યા હતા. ત્યારે તેમની દુકાને સીગારેટ લેવા આવેલ માનાભાઈ મનાભાઈ ભાટીએ સીગારેટ લઈ વિશાલભાઈને કહેલ છે, આ મકાન તથા દુકાન મારા દાદા જગામલભાઈ અણદાભાઈની છે. તે મકાન તથા દુકાન તમારી પાસેથી પડાવી લેવાના છે, તમારે રહેવું હોય તેમ રહે જો, તેમ કહી ધમકી આપી હતી. થોડીવાર પછી વિશાલભાઈ અને તેમના પિતા ઘરેથી બહાર નીકળ્યા ત્યારે માનાભાઈના કુટુંબી મુનાભાઈ બહાદુરભાઈ તથા ભગાભાઈ ખોડાભાઈ ત્યાં આવેલા અને લાકડાનાં ધોકા, લોખંડનાં પાઈપ વડે પિતા-પુત્ર ઉપર હુમલો કરી બન્ને ઈજા પહાંચાડી હતી. વિશાલભાઈનાં માતા,બહેન, પાડોશીઓ આવી જતા આ શખ્સો આજે તો બચી ગયા, હવે પછી મળશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે વિશાલભાઈએ માનાભાઈ મનાભાઈ ભાટી, મુનાભાઈ બહાદુરભાઈ અને ભગાભાઈ ખોડાભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.