Get The App

વઢવાણ, લખતરના ગઢ જાળવણીના અભાવે ખંડેર બનતા જઇ રહ્યા છે

Updated: Apr 17th, 2023

GS TEAM


Google News
Google News
વઢવાણ, લખતરના ગઢ જાળવણીના અભાવે ખંડેર બનતા જઇ રહ્યા છે 1 - image


- આજે 'વર્લ્ડ હેરીટેજ ડે', ધરોહરો નામશેષ થવાના આરે

- ઝાલાવાડનાં ઐતિહાસીક વારસાની જાળવણી કરો

સુરેન્દ્રનગર : સતી, જતી, શુરા અને સંતોની ભુમી એટલે ઝાલાવાડ.. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગર જીલ્લામાં શિલ્પ-સ્થાપત્યની બેનમૂન કલા સાથેના અનેકિવધ ઐતિહાસીક સ્મારકો આવેલ છે. જેની યોગ્ય જાળવણી અને જતન માટે ઈતિહાસપ્રેમીઓમાંથી લાગણી અને માંગણી વ્યકત થઈ રહી છે. આજે વર્લ્ડ હેરીટેજ દિવસે પુરાતત્વ વિભાગ આ સ્મારકોની જાળવણી માટે યોગ્ય પગલા લે તેવી પણ માંગણી ઉઠવા પામી છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક ઐતિહાસીક-પ્રાચિન સ્થળો આવેલા છે. ભગવાન મહાવીર સ્વામીના જ્યાં પાવન પગલા પડયા હતા તે પ્રાચિન વર્ધમાનપૂરી અને હાલના વઢવાણ સીટીનો ઐતિહાસીક ગઢ, માધાવાવ, સહીતની વાવો, ઐતિહાસીક દરવાજા, રાણકદેવીનું મંદિર, હવા મહેલ સહીતના ઐતિહાસીક અને રાજાશાહી વખતના સ્મારકો આજે પણ હયાત છે પરંતુ તેનુ યોગ્ય  જતન થતુ નથી. લખતરમાં શહેર ફરતે આવેલો ૧૫૦  વર્ષ પ્રાચિન કિલો, ઝીંઝુવાડાના કલાતમક અને ઐતિહાસીક દરવાજા, રણ નજીકની દીવાદાંડી, પાંચાળ પંથકમાં સૂરજદેવળ મંદિર, તરણેતર ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર, ધામા ગામે પ્રાચિન શકિતમાતાજીનુ મંદિર, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી સ્ટેટના રાજમહેલો, મુળી સ્વામીનારાયણ મંદિરની કાષ્ટ હવેલી, થાનગઢ નજીક ગેબીનાથની જગ્યા, સાયલાના સેજકપર ગામે આવેલ નવલખા મંદિર, સહીત અનેક રક્ષીત અને રક્ષીત ન હોય તેવા ઐતિહાસીક, પ્રાચિન, જોવા લાયક સ્થળો આવેલ છે. પરંતુ પુરાતત્વ વિભાગની યોગ્ય જાળવણીના અભાવે કેટલાક સ્થળો ખંડેર બનતા જાય છે. વઢવાણ ફરતે આવેલો ગઢ અનેક જગ્યાએ તુટી ગયો છે લખતરનો કિલ્લો જર્જરીત બની ગયો છે.

લખતર શહેરની પ્રજાના જાન માલના રક્ષા કરવા માટે લખતર શહેરના પ્રજાવાત્સલ રાજવી કરણસિંહજી વજેરાજસિંહ દ્વારા વિક્રમ સંવત ૧૯૪૦ને ફાગણ વદ એકમને ૧૨-૩-૧૮૮૪ના દિવસે રણછોડરાયજીની કૃપાથી વિરમગામના રહીશ મિસ્ત્રી ગિરધર રણછોડ રાજ્યના નોકરની દેખરેખ હેઠળ ગામની ફરતે એક ગઢનું નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગઢ ફરતે ચાર દરવાજા ચાર બારીઓ મુકવામાં આવી છે. તેમજ ગઢની ફરતે કોઠાઓ પણ બનાવવામાં આવ્યા છે. જે ગઢનું તે સમયે એક લાખ રૂપિયાના ખર્ચથી દસ વર્ષ જેટલા સમય કામકાજ ચાલયુ હતુ. આ ગુજરાતનો એકમાત્ર અખંડ ગઢ છે. પણ હાલમાં ધીરે ધીરે જર્જરીત થતા ખંડેર હાલતમાં ઉભો જોવા મળી રહ્યો છે. હાલ સરકાર દ્વારા વર્લ્ડ હેરીટેજ દિવસ માત્ર કાગળ પર ઉજવાતો હોય તેવો બેનમુન નમૂનો લખતરનો કિલ્લો છે આજે વિશ્વ હેરીટેજ દિવસ છે. ત્યારે લખતરનો કિલ્લો વિરાસત બનીને ઉભો છે પરંતુ પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીના કારણે જાજરમાન ઐતિહાસીક ગઢની વિરાસત વિનાશના આરે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ગઢની અસલિયતને ઝાંખપ લગાડતી જાત જાતની જાહેર ખબરોના કુચડા ગઢના પાયાને નુકશાન પહોંચાડતા ચારેયકોર ઉગી નીકળેલી જાળી જાખરાઓ, બાવળો, ખાતરના ગઢ તેમજ કુદરતી હાજત દ્વારા આંખને ચીતરી ચડાવે તેવો ગંદકીનો ગંદવાડ ઉદઉપરાંત પશુઓના ગોબરમાંથી છાણા થાપીને ગઢ ઉપર સુકાવવા મુકેલ નજરે પડી રહ્યા છે. જેના કારણે સ્વછતાનો અભાવ દેખાઈ રહ્યો છે. ગઢના હેીરટેજમાં સમાવેશ કરવા માટે અનેક વખત રજુઆતો કરાઈ છતા હાલના પાણી વગરના નેતાગીરીના અભાવે દુર્દશા બેઠી હોય તેવું લાગી રહ્યુ છે ત્યારે ઝાલાવાડમાં આવેલ લખતરના ઐતિહાસીક સંસ્કૃતિ, પરંપરા અને રાજાશાહીની યાદ આપવાતો લખતરનો આન બાન અને શાન સમાન ગઢને પુરાતત્વ વિભાગ દ્વારા વહેલી તકે ઐતિહાસીક વારસાને હેરિટેજમાં સમાવેશ કરીને કિલ્લાની સાળ સંભાળ રખાય તેવી લખતરવાસીઓ અને ઈતિહાસ પ્રેમીઓની લાગણી અને માંગણી ઉઠવા પામેલ છે.

રક્ષિત સ્મારકોને જોવાલાયક સ્થળ તરીકે વિકસાવવા માગણી

ઝાલાવાડમાં પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા ઐતિહાસીક સ્થળોને જોવા લાયક સ્થળ તરીકે વિકાસાવવામાં આવે તો આ સ્થળોની જાળવણી થવાની સાથે નવી પેઢીને ઝાલાવાડની ઐતિહાસીક ધરોહર, ઈતિહાસ વિશે જાણવા મળે તેમ છે જે સ્થળ રક્ષિત જાહેર કરાયા ન હોય તેવા સ્થળોને રક્ષિત સ્થળ જાહેર કરવાની પણ માંગણી વ્યકત થઈ રહી છે.

Tags :