ધોળકાના સરોડા પાસે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા 2 યુવકોની લાશો મળી
- એનડીઆરએફની ટીમે ત્રણ દિવસે પત્તો મેળવ્યો : ત્રણ પૈકી એક યુવક બચી ગયો હતો
બગોદરા, તા. 18 જુલાઇ 2020, શનિવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા, બાવળા, બગોદરા સહિતના ગામોમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલોમાં ડુબી જવાથી અનેક લોકોના મોત પણ નીપજી ચુક્યાં છે ત્યારે થોડા દિવસો પહેલા ધોળકા તાલુકાના સરોડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા પડતાં ત્રણ યુવકો ડુબ્યા હતાં જે પૈકી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બે યુવકોની શોધખોળ હાથધરવામાં આવી હતી પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો ત્યારે ત્રીજે દિવસે ડુબેલ બંન્ને યુવકોની મૃત હાલતમાં લાશ મળી આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકાના સરોડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગત તા.૧૬ જુલાઈના રોજ ત્રણ યુવકો નહાવા પડયાં હતાં. જે પૈકી દસકોઈ તાલુકાના બાકરોલ ગામનાં યુવક વિપુલને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બાકીના બે યુવકો પીયુષ વિષ્ણુભાઈ ચાવડા રહે.અડાસર જિ.ખેડા અને અશ્વીન મગનભાઈ સોનારા રહે.રેથર તા.સાણંદવાળા ડુબી જતાં તરવૈયાઓ અને ધોળકા ફાયર ફાયટરની ટીમ દ્વારા બંન્ને યુવકોની શોધખોળ હાથધરવામાં આવી હતી. પરંતુ ડુબેલ બંન્ને યુવકોનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને સતત શોધખોળ હાથધરવામાં આવી હતી ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા ડુબેલ બંન્ને યુવકોની શોધખોળ હાથધરવામાં આવી હતી અને ત્રીજે દિવસે બંન્ને યુવકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં આમ ત્રણ દિવસ બાદ ડુબેલ યુવકોની લાશ મળી આવતાં પરિવારજનો સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.