જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાતો અટકાવવા તંત્રની કવાયત
- ધાંગધ્રા તાલુકાના કૌઢ સહિતના અસરગ્રસ્ત ગામડોની કેન્દ્રીય ટીમે મુલાકાત લીધી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાતો અટકાવવા પશુપાલન વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ધાંગધ્રા તાલુકાના કૌંઢ અને રતનપર ગામોની કેન્દ્રીય ટીમે મુલાકાત લીધી હતી.
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળેલા લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા તંત્રની કવાયત તેજ બની છે. ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે સૌથી વધુ પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા હતા. કેન્દ્ર સરકારમાંથી બે અધિકારીઓ અને રાજ્ય સરકારમાંથી બે અધિકારીઓ મળીને ચાર સભ્યોની ટીમ ધાંગધ્રા તાલુકાના કૌંઢ અને રતનપર ગામની મુલાકાત લીધી હતી. પશુપાલન વિભાગના અધિકારીઓએ ચિકિત્સકોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી રસીકરણ- સારવારની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે ૪૧૬ જેટલા પશુઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. તે તમામની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૬૩૧૫ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. લમ્પી વાયરસ ધાંગધ્રા ચોટીલા, મુળી અને થાન તાલુકામાં જોવા મળતા આ તાલુકામાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. આથી તમામ પશુપાલકોને પશુઓમાં આ રોગના લક્ષણો દેખાય કે તરત જ પશુના સારવાર અને રસીકરણ માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર ફોન કરવા અથવા જિલ્લાના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. રોગીષ્ટ પશુને તાત્કાલિક અલગ કરવા, પશુઓના વેચાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને પશુમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને ખોરાક જળવાઈ રહે તે માટે પશુ ચિકિત્સકની સલાહ મુજબ ઘરગથ્થુ માવજત કરવા સલાહ આપવામાં આવી છે.