સુરેન્દ્રનગર- ભાવનગર રૂટમાં ફરીવાર પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી
- કોરોના મહામારીના લીધે લાંબા સમય બાદ
- મુસાફરોને તમામ સ્ટેશનો પરથી ટિકિટ મળી રહેશે : રિઝર્વેશનની કોઈ જરૂર નથી
સુરેન્દ્રનગર : સમગ્ર દેશ સાથે રાજ્યમાં કોરોના મહામારી દરમ્યાન રેલ્વે વિભાગ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી જેના કારણે અનેક મુસાફરોને હાલાકી પડી રહી હતી અને અન્ય વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવી રહ્યો હતો ત્યારે ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર વચ્ચે ચાલતી ટ્રેનો પણ બંધ કરાતા મુસાફરોને પરેશાની થઈ રહી હતી. ત્યારે કોરોનાના કેસો ઘટતા રેલ્વે વિભાગ દ્વારા ક્રમશઃ ટ્રેનો શરૂ કરવામાં આવી છે ત્યારે ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે જેમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાને લઈ આ ટ્રેનોમાં હવેથી રીઝર્વેશન કરવાની જરૂર નથી અને રેલ્વે વિભાગ દ્વારા અનારક્ષીત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર-ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે પેસેન્જર ટ્રેનોની અવર-જવર રહેતી હતી જેનો મોટીસંખ્યામાં મુસાફરો સહિત અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓ લાભ લઈ મુસાફરી કરી રહ્યાં હતાં. પરંતુ છેલ્લા ૧૦ મહિનાથી કોરોના મહામારીના કારણે રેલ્વે વિભાગ દ્વારા આ ટ્રેનો બંધ કરવામાં આવી હતી આથી ભાવનગર તરફ આવવા અને જવા માટે મુસાફરોને હાલાકી પડી રહી હતી. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા રેલ્વે વિભાગ દ્વારા ક્રમશઃ ટ્રેનો શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર-ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનો પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં મુસાફરોની સુવિધાઓ અને માંગને ધ્યાને લઈ આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રીઝર્વેશનની જરૂર રહેશે નહિં અને તમામ સ્ટેશનો પરથી મુસાફરો ટિકિટ મળી રહેશે જેમાં સુરેન્દ્રનગર જંકશનેથી ઉપડવાનો સમય સવારે ૯-૪૦ અને સાંજે ૬-૩૦ વાગ્યાનો છે જ્યારે ભાવનગર જંકશને થી ઉપડવાનો સમય સવારે ૫-૦૦ વાગ્યે અને બપોરે ૨-૦૦ વાગ્યાનો રહેશે. તેમજ આ ટ્રેન આવક અને જાવક દરમ્યાન ભાવનગરપરા, વરતેજ, ખોડીયાર મંદિર, સિહોર, સોનગઢ, સણોસરા, ધોળા, ગુજરવાવ, અલંમપર, નીંગાળા, લાઠીદળ, બોટાદ, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ, જોરાવરનગર અને સુરેન્દ્રનગર સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. જ્યારે લાંબા સમય બાદ ફરી ટ્રેન શરૂ થતાં મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.