વિરમગામમાં કોરોના વાઇરસનો મજબૂત સકંજો : વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા
- શહેર-તાલુકામાં કોરોનાનો વિસ્તરતો પંજો
- સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા સ્થાનિક સંક્રમણ વધ્યું : પોઝિટિવ દર્દીઓને અમદાવાદ ખસેડાયા
વિરમગામ, તા. 12 જુન 2020, શુક્રવાર
વિરમગામ શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસો અનલોકડાઉન-૧ પછી ખૂબ જ વધી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરમાં આજે છ કેસોપોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નગરજનોની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે વિરમગામ શહેરમાં આજે છ નવા કેસો સામે આવ્યા હતા. વિરમગામ શહેરના સથવારા ફળીમાં ૬૦ વર્ષિય મહીલા નાનાપરકોટા વિસ્તારમાં ૬૦ વર્ષિય પુરૃષ મોટી વ્યાસફળીમાં ૪૧ વર્ષિય પુરૃષ ખાનના ડેલામાં ૬૫ વર્ષિય મહીલા, મધુસુદન સોસાયટીમાં નંબર-૧માં ૨૬ વર્ષિય યુવક વોરાફળી ૬૭ વર્ષિય મહિલા તમામ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. વિરમગામ નગરપાલીકા દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં સેનેટાઇઝરની કામગીરી શરૃ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસોને ધ્યાને લઇને વિરમગામ શહેરના વિજયચોક વિસ્તાર, વીપીરોડ, પીએમપ્લાઝા ગોળપીઠાના વહેપારીઓ પોતાના ધંધા રોજગારનો સમય સવાર ૮થી ૨ સુધી ચાલુ રાખવાનાં નિર્ણય લેવાયો છે. વિરમગામ શહેરમાં ઢાઢીવાસ વિસ્તારમાં રહેલા દંપતીને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવેલા હતા. જ્યાં કોરોના વાયરસના કારણે બન્નેની સારવાર દરમ્યાન મોત નીપજ્યા છે. જ્યારે શહેરના નવકાર સોસાયટીમાં ૪૫ વર્ષિય પુરૃષનું શંકાસ્પદ કોરોના કારણે મોત નીપજ્યું છે.