વઢવાણ-લખતર હાઈવે પર ઓવરલોડ ડમ્પરમાંથી પથ્થર પડતા બસનાં કાચ તૂટયા
- ગેરકાયદે અને ઓવરલોડ ડમ્પરો પોલિસની રહેમ નજર તળે પસાર થાય છે
- ડ્રાઈવરની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી : ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી
સુરેન્દ્રનગર, તા. 26 ડિસેમ્બર, 2020, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરી મોટાપાયે ડમ્પરો મારફતે વહન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં ઓવરલોડ ખનીજ સંપત્તિ ભરી હોવાથી ડમ્પરોમાંથી પથ્થરો ઉડતાં રસ્તા પર પડતાં અકસ્માતના બનાવો પણ બની રહ્યાં છે ત્યારે વઢવાણ-લખતર હાઈવે પર દેદાદરા ગામ પાસે જઈ રહેલ એસટી બસના કાચ ડમ્પરમાંથી પથ્થરો પડતાં તુટી જતાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાના નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિ ભરેલ ડમ્પર સહિતના વાહનો પસાર થાય છે અને ઓવરલોડ ખનીજ સંપત્તિ ભરી હોય પથ્થરો ઉડતાં અને રોડ પર પડતાં અકસ્માતના બનાવો પણ વધી રહ્યાં છે ત્યારે વઢવાણ લખતર હાઈવે પર દેદાદરા ગામના પાટીયા પાસે જઈ રહેલ રાજકોટ-કડી રૂટની એસટી બસના કાચ તુટી જતાં ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ડમ્પરમાંથી ઓવરલોડ ભરેલ ખનીજ સંપત્તિ (પથ્થરો) રોડ પર પડતાં તે પથ્થરોથી એસટી બસના કાચ તુટી ગયાં હોવાનું બહાર આવ્યું હતું જોકે ડ્રાઈવરની સુઝબુઝથી એસટી બસને સાઈડમાં ઉભી રાખી દેતાં મોટી જાનહાની ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વઢવાણ વિરમગામ હાઈવે પરથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિ ભરેલ ઓવરલોડ ડમ્પરો પોલીસની રહેમ નજર હેઠળ પસાર થાય છે ત્યારે પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવા ડમ્પરોના કારણે અકસ્માત થતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.