વિરમગામમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પોલીસે 30 જેટલી લારીઓ જપ્ત કરી
- કોરોનાના કેસોમાં સતત વધારો થતો હોવા છતાં
- શાકભાજી અને ફળફળાદિ વેચવા માટે તંત્રએ બનાવેલા કુંડાળા ભૂલી ગાઇડલાઇનનું પાલન ન થતા કાર્યવાહી
વિરમગામ, તા. 11 જુલાઇ 2020, શનિવાર
વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. તેમ ચતાં લોકો દ્વારા નિયમોનું પાલન કરાતું નથી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સનું ભંગ કરતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી ૩૦થી વધુ લારીઓ જપ્ત કરી હતી.
શહેરની બજારોમાં રોજ જાણે ચેપી રોગ કોરોના નાબૂદ થયો હોય તેમ લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેફામ ફરી રહ્યા છે. ખાસ કરીને શાકભાજી અને ફળફળાદિનું વેચાણ કરનારા વેપારીઓ દ્વારા ગાઇડ લાઇનનું પાલન ન કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. વિરમગામ શહેરમાં તંત્ર દ્વારા શાકભાજી, ફળ ફ્રુટની લારીઓ માટે શહેરમાં જુદી જુદી જગ્યાએ નગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ગોળ સર્કલ બનાવવામાં આવ્યા હતા અને અન્ય જગ્યાએ ઉભા રહેવા વ્યવસ્થા કરી હોવા છતાં વિરમગામ શહેરની ગોલવાડી દરવાજા બહાર અને સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે શાકભાજી ફળ ફ્રુટવાળા રસ્તા ઉપર આવી વેચાણ કરતા હતા અને લોકોખરીદી માટે ભીડ ઉમટી પડે છે અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોના સંક્રમણ વધવાની શક્યતા વચ્ચે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આજ રોજ કડક કાર્યવાહી કરતા અંદાજે ૩૦થી વધુ લારીઓ જપ્ત કરી તેમની વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.