ચુડાના વિચરતી જ્ઞાતિના 13 જેટલા પરિવારોને પ્લોટની સનદો અપાઇ
- વર્ષોથી ઝૂપડામાં જ વસવાટ કરતા સરાણીયા પરિવારોમાં ખુશીની લહેર છવાઇ
સુરેન્દ્રનગર, તા. 10 ડિસેમ્બર, 2020, ગુરુવાર
ચુડા ખાતે ગામમાં આવેલ નદી કાંઠે છેલ્લા ઘણા વર્ષોથી વિચરતી અને વિમુક્ત જાતિના સરાણીયા પરિવારો ઝુંપડા બાંધીને વસવાટ કરી રહ્યાં છે ત્યારે આવા પરિવારોને રહેણાંક માટે કાયમી પ્લોટ મળી રહે તે માટે તંત્રને વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસ દ્વારા રજુઆતો કરી હતી.
જેના ભાગરૂપે ચુડા તાલુકા પંચાયતની લેન્ડ કમીટી દ્વારા ૧૩ પ્લોટ મંજુર કરવામાં આવ્યાં હતાં જે તમામ ૧૩ પ્લોટોની સનદો ચુડા ગ્રામ પંચાયત દ્વારા સરાણીયા પરિવારોને આપવામાં આવી હતી. જ્યારે પરિવારોને રહેણાંક માટે પ્લોટ ફાળવતાં ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી અને તમામ લાભાર્થી પરિવારોએ ચુડા ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેકટર કે.રાજેશનો આભાર માન્યો હતો આ તકે વિચરતા સમુદાય મંચના હર્ષદભાઈ વ્યાસ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.