Updated: May 24th, 2023
- નગરપાલિકાની ત્રણ દિવસ દબાણ હટાવ ઝૂંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ
- જેસીબી, ટ્રેક્ટરો, મજૂરો તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરસાદી ગટર ઉપરના પાકા સ્લેબ, પાકી દુકાન, ઓટલા સહિતના દબાણો હટાવાયા
વિરમગામ : વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ગેરકાયદેસર દબાણ હટાવવા વિરમગામ નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુદી જુદી ટીમો બનાવી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવતા વિરમગામ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાકી દુકાન, લારી-ગલ્લા, કેબિન શેડ, ઓટલા, વરસાદી ગટર ઉપરના પાકા સ્લેબ સહિત ૨૦૦થી વધુ દબાણનો સફાયો બોલાવવામાં આવ્યો હતો.
વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર, ટાઉન પ્લાનિંગ ઓફિસર તથા એન્જિનિયર સહિતની ત્રણ ટીમ દ્વારા નગરપાલિકા કચેરી સામેથી એપીએમસી માર્કેટ યાર્ડ સુધીના માર્ગની બાજુમાં વરસાદી ગટર ઉપરની આગળ બનાવવામાં આવેલ પાકા સ્લેબ, રાજીવ નગર પાસે આવેલ ભંગારના વાડા સહિત ખડકાયેલા ગેરકાયદેસર દબાણ સામે લાલ આંખ કરાઈ હતી. તંત્ર દ્વારા વરસાદી ગટર ઉપરના તમામ સ્લેબ અને દુકાન આગળના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પાંચ જેસીબી મશીન, મજૂરો, ટ્રેક્ટરો સાથે સવારના ૧૧ વાગ્યાથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા શહીદ બાગની ફરતે આવેલ તમામ દુકાનદારોએ દુકાનમાં રહેલો માલ-સામાન ખાલી કરી નાખ્યો હતો અને દુકાનમાં લાગેલા શટર ખોલી નાખ્યા હતા. અક્ષર નગર એપીએમસી માર્કેટ યાર્ડની દુકાનો, તાલુકા સેવા સદનથી સ્ટેટ બેન્ક સુધીના તમામ વેપારીઓએ દુકાનની આગળના શેડ સ્વેચ્છાએ ઉતારી લીધા હતા. નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશના પગલે ભરવાડી દરવાજાથી રૈયાપુર દરવાજા વચ્ચેના રૈયાપુર ત્રણ રસ્તા, ગંગાસાગર તળાવની પાળ ઉપર મૂકવામાં આવેલી તમામ કેબીનો હટાવવાની કામગીરી વેપારીઓએ સ્વેચ્છાએ શરૂ કરી દીધી હતી. નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું હતું.