વિરમગામમાં કાળમૂખો કોરોના વધુ 2 વ્યક્તિને ભરખી ગયો : કુલ મૃત્યુઆંક 14
- તાલુકામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા
- શહેરના અલબદર પાર્કની 35 વર્ષીય મહિલા અને મોચી બજાર વિસ્તારના ૫૫ વર્ષીય પુરુષનું સારવારમાં મોત
વિરમગામ, તા.20 જૂન 2020, શનિવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પ્રકોપથી માનવમૃત્યુમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે શુક્રવારે વિરમગામના અલબદર પાર્કમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા અને મોચી બજાર વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મોત નિપજતા શહેરમાં ફફડાટ વ્યાપ્યો છે. આમ વિરમગામ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાએ કુલ ૧૪ વ્યક્તિઓનો ભોગ લીધો છે.
વિરમગામ શહેરમાં શનિવારે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા જેમાં રાજમહેલ ફ્લેટ, આયુષી કોલોની વિસ્તાર, અને શેતવાડા વિસ્તારમાં બે કેસ અને ગોય ફળી વાણંદ વાસમાં બે કેસ સામે આવ્યા હતા. જેના પગલે વિરમગામના નગરજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે અને નગરજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. વિરમગામ શહેરમાં આવેલ અલબદર પાર્ક વિસ્તારમાં એક ૩૫ વર્ષીય મહિલા અને શહેરના મોચી બજાર વિસ્તારમાં ૫૫ વર્ષીય પુરુષને થોડા દિવસ પહેલા કોરાના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેમને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને જણાનું સારવાર દરમ્યાન કરૃણ મોત નીપજ્યું હતું. વિરમગામ પંથકમાં અત્યાર સુધીમાં ૧૪ લોકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં વિરમગામ શહેર અને તાલુકામાં ૭૦થી વધુ કેસો નોંધાયા છે. વિરમગામ શહેરમાં મૃત્યુઆંક ઊંચો છે. વિરમગામ શહેરમાં ગત રાત્રીના એક મોચી બજાર અને ગોવાફળીમાં એક વાળંદવાસમાં કેસ નોંધાયો છે. તંત્ર દ્વારા સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી.