સુરેન્દ્રનગર જિલ્લામાં માસ્ક પહેર્યા વગર નિકળનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાયો
- કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું ફરજિયાત
સુરેન્દ્રનગર, તા.30 જૂન 2020, મંગળવાર
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની સુચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવા, વાહન/મુસાફરી સમયે તથા આવશ્યક પુછપરછના સમયે અને અન્ય વ્યક્તિ સાથેવાતચીત કરવા સમયે ચહેરા પર માસ્ક/કપડું પહેરવાના નિયમોનું ચુસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા માટે જિલ્લા કલેકટર કે.રાજેશની સુચનાથી અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથધરવામાં આવી હતી.
જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે શહેરી વિસ્તારો સહિત જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની સુચના અન્વયે માસ્ક પહેરવાના નિયમનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવાના હેતુથી ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળી જિલ્લામાં માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંધન બદલ અત્યાર સુધીમાં કુલ ૩૯૪૨ લોકો પાસેથી રૃા.૭.૮૮ લાખથી વધુની રકમ દંડ પેટે વસુલવામાં આવી હતી.