સુરેન્દ્રનગરમાં કોરોનાથી મુક્ત થયેલા વધુ 4 દર્દીઓને રજા અપાઈ
- શહેરી વિસ્તારના ત્રણ અને લીંબડી તાલુકાના વતની સાજા થતા ઘેર મોકલી દેવાયા
સુરેન્દ્રનગર, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે અને સારવાર બાદ લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતી હોય છે ત્યારે શહેરની મુખ્ય સરકારી હોસ્પીટલમાંથી વધુ ૪ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૭૫૦થી વધુ વ્યક્તિઓ કોરોના વાયરસની લપેટમાં આવી ચુક્યાં છે ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે વધુ ૪ કોરોના પોઝીટીવ દર્દીઓને સુરેન્દ્રનગર સ્થિત કોવીડ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
જેમાં શહેરી વિસ્તારના જોય વિલશનભાઈ પંડયા, સકિનાબેન કામસભાઈ સુતાર અને ભૂપતભાઈ રમેશભાઈ વાળા અને લીંબડી તાલુકાના વતની કિશોરભાઈ નાગરભાઈ માંડલીયાનો સમાવેશ થાય છે.