ચોટીલામાં નજીવી બાબતે પડોશીઓએ મહિલાને માર માર્યો
Updated: Nov 7th, 2023
- ધોકા વડે માર મારી દાગીના તોડી નાખ્યા હોવાની ચાર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : ચોટીલામાં સોસાયટીમાં બહારથી માણસો બોલાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં એક મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ સોનાના દાગીના તોડી નાંખ્યા અંગેની એક મહિલા સહિત ચાર શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ચોટીલાની વૃંદાવન સોસાયટીમાં રહેતાં જયાબેન રમેશભાઈ પરમાર રાત્રે સોસાયટીના કોમન પ્લોટમાં ઉભા હતા. તે દરમિયાન તેમના પુત્ર અજયભાઈને મજુરીના રૂપિયા દેવા ચોટીલા મફતિયા પરા વિસ્તારમાં રહેતા લાલુભાઈ ત્યાં આવ્યા હતા.
આથી કોમન પ્લોટમાં બેસેલા સમીરભાઈ મંગાભાઈ રાઠોડ, રોહિતભાઈ હેમંતભાઈ સાગઠીયા, હેમંતભાઈ સાગઠીયા અને ભારતીબેન હેમંતભાઈ સાગઠીયા (તમામ રહે.વૃંદાવન સોસાયટી, ચોટીલા)એ એકસં૫ થઈ ધોકા વડે મહિલાને મારમારી ઈજાઓ પહોંચાડી હતી.
તેમજ ઝપાઝપી દરમિયાન મહિલાનું સોનાનું મંગળસુત્ર તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મહિલા સહિત ચાર શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.