લીંબડીમાં ધન્વંતરી રથ ફેરવી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
- સવારે ૮-૩૦ થી સાંજે ૬-૩૦ સુધી વિવિધ વિસ્તારોમાં વિતરણ કરાયું
લીંબડી, તા.15 જુલાઈ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જીલ્લા ૫ચાયત હસ્તક રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે રાજ્યભરમાં ધનવંતરી રથ દ્વારા દેશી ઔષધીઓથી બનાવેલ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે લીંબડી બ્લોક હેલ્થ ઓફીસ દ્વારા લીંબડી શહેરના દરેક વિસ્તારમાં ધનવંતરી રથના માધ્યમથી બલોક હેલ્થ ઓફીસર દ્વારા સવારના ૮-૩૦ થી સાંજના ૬-૩૦ કલાક સુધી અલગ-અલગ જાહેર સ્થળો પર ઉકાળાનું વિતરણ કર્યું હતું જેનો શહેરીજનોએ મોટીસંખ્યામાં લાભ લીધો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે લીંબડી તાલુકામાં પણ કોરોના વાયરસના અસંખ્ય કેસો નોંધાઈ રહ્યાં છે.
ત્યારે કોરોના વાયરસની મહામારીથી રક્ષણ મેળવવા જિલ્લા પંચાયત હસ્તક રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ધનવંતરી રથ દ્વારા આયુર્વેદીક ઉકાળો સહિત હોમીયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લીંબડી ખાતે પણ અલગ-અલગ વિસ્તારોમાં ધનવંતરી રથ દ્વારા આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં લીંબડી આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ ડો.ચેતન આચાર્ય, ડો.માનસીબેન હળવદીયા, મનોજભાઈ ભટ્ટ, પીન્ટુભાઈ સહિતનાઓ દ્વારા દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં જઈ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો મોટીસંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે.