Get The App

થાન મામલતદાર કચેરીએ હંગામો કરનાર ૧૫ લોકો સામે ફરિયાદ

Updated: Sep 5th, 2023

GS TEAM

Google News
Google News
થાન મામલતદાર કચેરીએ હંગામો કરનાર ૧૫ લોકો સામે ફરિયાદ 1 - image


- અટકાયત બાદ જામીન પર છોડયા 

- આપના કાર્યકર્તાઓ અને લોકોનું ટોળું મોડી રાત્રે પોલીસ મથકે પહોંચ્યું

સુરેન્દ્રનગર : થાન વોર્ડ નંબર ૩ અને ૪ માં ગંદકી સહીતના પ્રશ્નો મામલે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાનાની આગેવાનીમાં રજૂઆત કરવા ગયા બાદ મામલતદારના ટેબલ પર જ કાદવ ભરેલી ડોલ નાંખી હતી. જેને લઇને થાન મામલતદાર દ્વારા ૧૫થી વધુ વ્યક્તિઓ સામે થાન પોલીસ મથકે સરકારી રેકર્ડને નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવામાં આવતા થાન પોલીસે ૧૫થી વધુ વ્યક્તિઓની અટકાયત કરતા મામલો ગરમાયો હતો અને મોડી રાત સુધી થાન પોલીસ મથકે લોકોના ટોળા એકઠા થયા હતા.

થાન શહેરના અનેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને ધ્યાને લઈ થાન પાલિકાના વોર્ડ નંબર ૩ અને ૪ માં ગંદકીથી તંગ આવેલા સ્થાનિકો આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઇ કરપડાની આગેવાનીમાં કાદવ ભરેલી ડોલ સાથે મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા ગયાં હતાં. 

જ્યાં મામલતદારને રજૂઆત કરવા સમયે મામલો ઉગ્ર બનતા કાદવ ભરેલી ડોલ મામલતદારના ટેબલ પર જ નાંખી દેતા ઓફીસમાં કાદવ-કીચડ ફેલાઇ ગયો હતો અને ટેબલ પર રહેલી સરકારી રેકર્ડની ફાઈલને પણ નુક્સાન પહોંચ્યું હતું. જેને લઇને મામલો ઉગ્ર બન્યો હતો અને આ ઘટનાને લઇને મામલતદાર અરૂણભાઇ શર્મા દ્વારા થાન પોલીસ મથકે આપના આગેવાન રાજુભાઇ કરપડા, પી.પી.પંચાલ સહીત કુલ ૧૫થી વધુ વ્યક્તિઓ સામે સરકારી ઓફીસમાં કાદવ નાંખી સરકારી રેકર્ડને નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. 

તેમજ ટોળામાં આવેલા કોઇ વ્યક્તિએ મામલતદારને એટ્રોસિટીના કેસમાં ફીટ કરી દેવાનું પણ બોલતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. ૧૫થી વધુ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તમામની અટકાયત કરતા આપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ અન્ય લોકોના ટોળા પોલીસ મથકે દોડી ગયાં હતાં અને મોડી રાત્રી સુધી ટોળું પોલીસ મથકે એકઠા થતાં વાતાવરણ તંગ બની ગયું હતુ. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાય તેવી પણ સ્થિતિ સર્જાતા પોલીસ મથકે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. જો કે મોડી રાત્રે તમામ ધરપકડ કરેલાઓને જામીન મુક્ત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડયો હતો.

Tags :