ચોટીલા, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર
ચોટીલા શહેરમાં પ્રથમ કોવીડ ૧૯ ના પોઝિટિવ પરિવાર એક સપ્તાહની લડત લડી આજે સાજા થતા તેઓને આરોગ્ય વિભાગે આનંદ સાથે ડીસ્ચાર્જ આપતા શહેરમાં રાહતની લાગણી છવાયેલ છે.
એક સપ્તાહ પૂર્વે અમદાવાદ ટ્રાવેલ્સ હીસ્ટ્રીથી પોઝિટિવ આવેલ પ્રથમ દર્દી રાજેન્દ્રભાઇ મહેતા, તેમના ધર્મપત્ની અને તેમના ભાભી સંક્રાંમિત થયેલ જેઓની ચોટીલા કોવીડ સેન્ટરમાં સારવાર અર્થે હતા. એક સપ્તાહની લડત બાદ આ પરિવાર નેગેટીવ થતા તેઓને આજે ઉમંગભેર રજા આપવામાં આવેલ.
ડીસ્ચાર્જ મળતા તેઓએ ખુશી વ્યક્ત કરતા જણાવેલ કે મને તાવ જેવુ લાગતા ચેક કરાવતા પોઝિટિવ આવેલ હોસ્પિટલમાં પરિવાર જેવી લાગણી અનુભવે કોઇએ ડરવાની જરૂર નથી. શરદી, ઉધરસ, તાવ, નબળાઈ જણાતી હોય તો ચેક કરાવી લેવુ હિતાવહ છે. સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક સહિતની સાવચેતી સાથે હાલના સમયમાં રહેવું જરૂરી છે. ત્રણ ને ડીસ્ચાર્જ અપાતા શહેરમાં પણ લોકો એ રાહત અનુભવેલ છે.
ચોટીલા રાજકોટ હાઇવે ઉપરનાં નાની મોલડી ગામે આંબેડકર નગરમાં એક યુવાનને પોઝિટિવ આવતા આરોગ્યની ટીમ દોડી ગયેલ હતી અને પ્રથમ દર્દીને હોમ મેડીકલ કીટ સાથે આઇસોલેટ કરી પરીવારને કોરોન્ટાઇન અને નજીકનાં વિસ્તારને બફર, કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
ચોટીલા તાલુકાનાં પ્રથમ પાંચ ગામોમાં એક સાથે ૧૮ દર્દીઓ આવતા નવા ટેસ્ટ માટે લોકોની અજ્ઞાાનતાને કારણે આરોગ્ય તંત્રને મુશ્કેલી પડતી હોવાનું કહેવાય છે.
ગામડામાં કોરોના દર્દીઓની સંખ્યા જોતા ગ્રામ્ય પ્રજાએ હાલના સમયમાં તેમની જીવનશૈલીમાં મોટું પરિવર્તન લાવવું ફરજીયાત બની રહેલ છે. કોરોના સામે ગંભીરતાની ઉણપ ગ્રામ્ય પ્રજામાં વધુ જોવા મળે છે.


