સુરેન્દ્રનગર-વઢવાણની ભોગાવો નદી રાજ્યની છઠ્ઠા નંબરની પ્રદુષીત નદી બની
- ગટર, કેમિકલયુક્ત પાણી ઠલવાઇ રહ્યા છે
- નદી પટના ગામો પ્રદુષણનો ભોગ બની રહ્યા છે જળ, વાયુ અને જમીન પ્રદુષણ વધી રહ્યું છે
સુરેન્દ્રનગર : એક સમયે રેશમી રેતીનો પટ જોવા મળતો હતો તે સુરેન્દ્રનગર-વઢવાણની ભોગાવો નદી ગટરના ગંદા અને કારખાનાઓના કેમીકલવાળા પાણીથી ગુજરાતની છઠા નંબરની પ્રદુષીત નદી બની ગઈ છે. તાજેતરમાં કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં આ વિગતો બહાર આવી છે.
આ અંગે મળતી માહીતી મુજબ કેન્દ્રના જળશક્તિ મંત્રાલય સમગ્ર ગુજરાતની નદીઓમાં વધી રહેલા પ્રદુષણનો સર્વે હાથ ધરવામાં આવેલ હતો. જેમાં સાબરમતી અને ભાદર નદી સાથે ભોગાવો નદીને પણ પ્રદુષીપત નદી જાહેર કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, ભોગાવો નદી શાપીત છે. તેથી તેમાં પાણી રહેતુ નથી. ચોમાસામાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થાય ત્યારે ભોગાવો બે કાંઠે વહે છે. તે વખતે નદીમાં પાણી તીવ્ર વેગે વહેતું હોય છે. મોટાભાગે ખાલી રહેતા ભોગાવાના પટમાં નગરપાલીકાના અણઘડ આયોજનથી શહેરનાં ગટરના ગંદા પાણી ઠલવાય છે. તો બીજી તરફ જી.આઈ.ડી.સી.ના કારખાનાઓ માંથી નીકળતું કેમીકલયુક્ત પાણી પણ ભોગાવાના પટને પ્રદુષીત કરે છે. ભોગાવોમાં દુર્ગંધ મારતા પાણીના ખાબોચીયા બારે માસ ભરેલા રહે છે. કારખાનાઓમાંથી છોડતા કેમીકલયુક્ત પાણી પ્રશ્ને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
હાલ ભોગાવોના કિનારે રીવરફ્રન્ટ રોડ બની રહ્યો છે. ત્યારે નદીના પટને શુધ્ધ અને સુંદર બનાવવા માટે યોગ્ય આયોજન હાથ ધરવામાં આવે તે વર્તમાનની માંગ હોવાનું શહેરીજનો પર્યાવરણપ્રેમીઓનું માનવું છે.