બાવળા અને ધોળકા તાલુકામાં માંસ-મટનની દુકાનો બંધ કરાવવા આવેદનપત્ર અપાયું
- શ્રાવણ મહિનો અને વ્રતના દિવસોમાં
- કોરોનાની મહામારીમાં મંજૂરી વિનાની દુકાનો ચાલતી હોવાની રજૂઆત સાથે વિહિપની પ્રાંત અધિકારીને રજૂઆત
બગોદરા, તા. 3 જુલાઇ 2020, શુક્રવાર
હાલ સમગ્ર રાજ્યમાં પવિત્ર ગૌરીવ્રત સહિત નાની બાળાઓના મોળાકાત ચાલી રહ્યાં છે તેમજ આગામી દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બાવળા અને ધોળકા શહેરી તેમજ તાલુકામાં આવેલ માસ અને મટનની તમામ દુકાનો ગેરકાયદેસર રીતે ચાલી રહી છે.
જેના કારણે હિન્દુ ભાઈ-બહેનોની લાગણી દુભાઈ રહી છે તેમજ કોરોના વાયરસની મહામારીના કારણે ચેપ લાગવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મામલે ધોળકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ હાલ યુવતિઓ તેમજ નાની બાળાઓના વ્રત ચાલી રહ્યાં છે અને આગામી દિવસોમાં હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર એવાં શ્રાવણ માસનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બાવળા અને ધોળકાની મધ્ય હદમાં આવેલ વિસ્તારોમાં ખુલ્લેઆમ માસ-મટનની દુકાનો ધમધમી રહી છે જેના કારણે હિન્દુ સમાજની લાગણીને ઠેર પહોંચી રહી છે આ ઉપરાંત આ માસ મટનની દુકાનો અંગે વેટરનરી ડોક્ટરનું પ્રમાણપત્ર રાખવું જરૃરી હોય છે. પરંતુ કોઈપણ જાતના પ્રમાણપત્ર વગર માસ-મટનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોરોના વાયરસની મહામારી અને ઈન્ફેકશન અને અન્ય રોગ ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ત્યારે તાત્કાલીક ધોરણે શ્રાવણ માસમાં આ તમામ માસ-મટનની દુકાનો બંધ કરાવવામાં આવે તેવી લેખીત રજુઆત કરવામાં આવી છે આ તકે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.