Get The App

121 વર્ષથી નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા ભકિત કરવાની અનોખી પરંપરા

Updated: Oct 1st, 2022

GS TEAM


Google News
Google News
121 વર્ષથી નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા ભકિત કરવાની અનોખી પરંપરા 1 - image


- સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લિલાપુરમાં 

- ભવાઈ પરંપરા લીલાપુર ગામના ધાંર્મિક અને સામાજીક જીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલ છે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે નવરાત્રિની સાથોસાથ આજથી એટલે કે બીજી, ત્રીજી, અને ચોથી ઓકટોબરની રાત્રિએ લીલાપુરમાં આવેલા પ્રતાપ ચોકમાં પરંપરાગત રીતે છેલ્લા ૧૨૧ વર્ષથી માતાજીની જાતર-ભવાઈનું આયોજન કરવામાં આવે છે.

 મળતી વિગત મુજબ નવરાત્રિ એટલે આધ્યાત્મિક ચેતના અને સાંસ્કૃતિક પર્વ. નવરાત્રિ પર્વ એટલે પરોક્ષ રીતે જોઈએ તો નારી શકિતની આરાધના અને અનુષ્ઠાનનુ પર્વ હોય છે. રાજ્યામાં અનેક ગામો એવા છે કે, જે નવરાત્રિ મહોત્સવ તેના ધાર્મિક સાંસ્કૃતિક સંદર્ભમાં ઉજવીને સમાજ જીવનને ભકિતભાવથી ધન્ય બનાવતા હોય છે. આવું જ એક ગામ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનુ લીલાપુર ગામ. આ ગામની અંદર છેલ્લા એકસો એકવીસ વર્ષ કરતા વધારે સમયથી ગ્રામજનોના તન-મન-ધન સાથે સંપુર્ણ સહયોગ દ્વારા સમસ્ત ગામમાં આસો મહિનામાં નવરાત્રિ મહોત્સવ તરીકે આનંદ, ભકિતસભર અને ઉલ્લાસપુર્વકના વાતાવરણ વચ્ચે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતની લોક સાંસ્કૃતિમાં ભવાઈ આગવુ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભવાઈના પિતામહ ગણાતા અસાઈત ઠાકરે ભવાઈના ૩૬૫ જેટલા વેશ રચ્યા છે.જે અનેક રીતે તેના વિશિષ્ટ તત્વો ધરાવે છે. આજે પણ રાજ્યમાં અનેક સ્થળે ભવાઈના વેશ ભજવાય છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે ભજવાતી ભવાઈ એક વિશિષ્ટ અને આગવી પરંપરા ધરાવે છે. લીલાપુરમાં ભજવાતી ભવાઈની શરૂઆત એક સદી પહેલા થઈ હતી. 

લીલાપુરમાં ભવાઈ નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ સાતમ,આઠમ અને નોમ  દરમિયાન ભજવાય છે, પણ તે માટેની તૈયારી તો જળઝીલણી એકાદશી- ભાદરવા સુદ અગિયારસના રોજ માતાજીને કંકોત્રી લખીને કરવામાં આવે છે. જળઝીલણી એકાદશીને દિવસે લખાતી કંકોત્રી દ્વારા નવરાત્રિમાં થનાર ભવાઈમાં પધારવા માતાજીને આમંત્રણ આપવામાં આવે છે અને આસો મહિનાની સાતમના દિવસે એટલે કે સાતમા નોરતાની સાંજે બે-ત્રણ બ્રાહ્મણો માતાજીને લેવા માટે મંગળદીવેથી ભવાઈની સાખીઓ બોલયા પછી ગરબી ગાતા ગાતાં ગામને પાદર જાય છે. ત્યારબાદ બ્રાહ્મણો સાથે અન્ય લોકો તેમની પાછળ સાઝ સાથે માતાજીને તથા માતાજીને લેવા ગયેલા બ્રાહ્મણોને લેવા માટે જાય છે. વાજતે ગાજતે સૌ માતાજીને ચોકમાં લાવે છે. ચોકમાં આવ્યા બાદ બે બ્રાહ્મણો માતાજીનો પડ સાધે પડ જગાડે છે(ભુમી પૂજન કરે છે) ઉપરાંત ભવાઈ રમનારને ઈજા ન થાય અને માતાજી એમનું રક્ષણ કરે એ માટે પણ પડ બંધાય છે. ત્યારબાદ સાયંકાળની આરતી થાય છે. આરતી બાદ માતાજીની મંગળ દીવાએ-નક્કી કરેલ સ્થાને સ્થાપના થાય છે માતાજીની સ્થાપના બાદ સાખી બોલાય છે, અને ઘીની જ્યોત પ્રગટાવવામાં આવે છે. ઘીના દીવાની જ્યોત સાડા ત્રણ દિવસ સુધી અખંડ રાખવામાં આવે છે. અહીંથી ભવાઈ રમનાર સૌ વાજતે ગાજતે મંગળ દીવે જાય છે અને ત્યા ઘુઘરો છુટે છે. 

લીલાપુરની ભવાઈ લગભગ લીલાપુરના બ્રાહ્મણો દ્વારા જ ભજવાતી હોય છે. જો કે હવે આવુ રહ્યુ નથી અન્ય ભકતો પણ ભાગ લે છે. નવરાત્રિના દિવસોમાં લીલાપુરના વતની બ્રાહ્મણો લીલાપુર આવી જાય છે.

ભવાઈની સફળતાનો આધાર તેના સંવાદો છે. સરળ રોજબેરોજની બોલીમાં અને મર્માળ મર્મસ્પર્શી હોય છે અને આને લીધે જીવંતતા આવે છે. કલાકાર અને પ્રેક્ષકો વચ્ચે તાદાત્મ સધાય છે. તેથી જ લગભગ આખી રાત ચાલતી આ ભવાઈમાં સહેજેય થાક લાગતો નથી. પોશાક અને સજાવટને અભિનયનું અંગ ગણવામાં આવ્યું છે. લીલાપુરની ભવાઈના વેશોના પાત્રોનો આહાર્ય પણ પરંપરાગત છે. સ્થાનીક મંડળ આ પોશાક ધરાવે છે. ભવાઈમાં સામાન્ય રીતે ભૂંગળ,પખવાજ,નરાઘા ઝાંઝ, અને હારમોનિયમનો ઉપયોગ વાદ્ય તરીકે કરવામાં આવે છે.

એક સદી પહેલા શરૂ થયેલ ભવાઈ પરંપરા આજે પણ અસ્ખલીત ચાલી રહી છે. માતાજી પ્રત્યેની ભકિતને લઈને ઉદ્ભવેલ ભવાઈ પરંપરા આજે તો લીલાપુર ગામના ધાંર્મિક અને સામાજીક જીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલ છે. 

અહી આરતી પછી વૈદીક મંત્રોચ્ચારથી માતાજીને અર્પણ થતી પુષ્પાંજલી અને રાત્રે ભાઈઓ અને બહેનો દ્વારા અલગ અલગ સમયે ભકિતરસ પ્રધાન સંપુર્ણ પ્રાચીન વારસાનુ અનુભવ કરાવતી માતાજીની ગરબી. આ બધુ ભાગ્યે જ બીજે કયાંય જોવા મળે છે. ભવાઈના વેશમાં સ્ત્રી-પુરૂષ પાત્રોની જે મહત્તા છે તેની પાછળનો મુળ હેતુ પાપ મુલ અભિયાન એટલે કે પોતાના પુરૂષપણાને છોડીને એનો અહમ છોડીને ભવાઈમાં સ્ત્રી સ્વરૂપ ધારણ કરી  અસાઈત ઠાકર કહે છે તેમ સકળ સભા બેઠી ભલી, સૌ સકતરો દાસ, ભાવે ભવાઈ સાંભળે, તીની અંબા પુરે આસ. આજ ભાવ લીલાપુરની ભવાઈમાં જોવા મળતો હોય છે. આવી યશસ્વી પરંપરા ધરાવતી લીલાપુરની નવરાત્રિ ભવાઈ પરંપરાની ભવ્ય વિરાસત અને ગુજરાતનુ ગૌરવ છે.

Tags :