- ગાબડાને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય
- ગાબડાનું વહીવટી તંત્રના અધિકારીઓએ નિરીક્ષણ કરીને રીપેરીંગ કામ હાથ ધર્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ વચ્ચે આવેલ નર્મદા કેનાલ વાળા બ્રિજ ઉપર મસમોટુ ગાબડુ પડતા અકસ્માતની દહેશત વ્યકત થઈ રહી છે હાલ ગાબડા ફરતે કોર્ડન કરી લેવામાં આવેલ છે કલાકો બાદ અધિકારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને રીપેરીંગ કામ હાથ ધરાયુ હતુ.
સુરેન્દ્રનગર-દુધરેજ રોડ ઉપર દુધરેજ પહેલા નર્મદા કેનાલવાળા બ્રિજ ઉપર મસમોટુ ગાબડુ પડી ગયેલ છે પોલીસને જાણ થતા બેરી કેડેડ કરી હાલ ગાબડાને કોર્ડન કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવેલ છે પરંતુ વાહન ચાલકોને અત્યારે ૧ કિ.મી. ફરી-ફરીને જવુ પડે છે ગાબડાને કારણે અકસ્માત થવાની દહેશત વ્યકત થઈ રહી છે. જો કે, હાલ રીપેરીંગ કામ ચાલુ કરાયુ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રા-પાટડી તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરવો પડતો હોય છે એસ.ટી.બસો, ટ્રક,બાઈક એમ્બ્યુલન્સ સહીતના વાહનો રોજ પસાર થતા હોય છે જ્યાં ૬ ફુટનું ગાબડુ પડયુ છે તે બ્રિજની નીચેથી ૩૦ ફુટની નર્મદા કેનાલ પસાર થઈ રહી છે જે પાણીથી છલોછલ ભરેલી છે. ગાબડા કારણે બ્રિજ તુટે અને મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ..? તેવો સવાલ ઉઠી રહ્યો છે આ ગાબડુ ધ્યાને આવતા પસાર થતા વાહનો અટકી જતા ટ્રાફીક જામ થયો હતો જેમા એસ.ટી બસ, એમ્બ્યુલન્સ જેવી સેવાઓ અટવાઈ હતી.


