મૂળી તાલુકાના ઉમરડા ગામની સીમમાં વીજળી પડતા ખેડૂતનું ઘટનાસ્થળે મોત
- જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદની સાથે વીજળી પડી
- ખેતરમાં કામ કરતા ટીડાણા ગામના ખેડૂત ઉપર એકાએક વીજળી વેરણ બની તૂટી પડી : મોતથી પંથકમાં શોક
સુરેન્દ્રનગર,સરા, તા. 5 જુલાઈ 2020, રવિવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે મુળી તાલુકામાં ઉમરડા ગામની સીમમાં ખેતરમાં વિજળી પડતાં એક ખેડુતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ખેડુતના મોતની સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સાર્વત્રીક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરી અને ગ્રામ્ય વિસ્તરોમાં ઝરમરથી લઈ અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મુળી તાલુકાના ટીડાણા ગામે રહેતાં ખેડુત વિક્રમભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ વજુભાઈ પોતાના ઉમરડા ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેતીકામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક દિન-દહાડે વિજળી પડતાં ખેડુતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે અંગેની જાણ આસપાસના લોકો સહિત પરિવારજનોને થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં અને આ અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મુળી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યાં ફરજ પરનાં ડોક્ટરે ખેડુતને મૃત જાહેર કર્યાં હતાં જ્યારે ખેડુતના વિજળી પડવાથી મોતના સમાચાર વાયુવેગે ફેલાતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રીક વરસાદી માહોલ છવાયો છે ત્યારે આશાસ્પદ ખેડુતનું મોત નીપજતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું.