FOLLOW US

હળવદ માર્કેટયાર્ડનાં કૌભાંડમાં સેક્રેટરી સહિત 7 ની ધરપકડ

Updated: May 23rd, 2023


- મોરબીમાં ગુનો નોંધાયા બાદ કાર્યવાહીનો ધમધમાટ

- વર્ષ- 2015 માં તત્કાલીન સેક્રેટરી અને કલાર્ક સહિતના ઈસમોએ ડુપ્લીકેટ પહોંચ છપાવીને રૂા. 23.19 લાખની માર્કેટ ફી બારોબાર સગેવગે કરી હતી

મોરબી : મોરબી જિલ્લાના હળવદમાર્કેટિંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૫માં  એ વખતના સેક્રેટરી, ક્લાર્ક સહિતનાં ઈસમોએ સાથે મળીને નકલી પહોંચ છપાવીને તેની મદદથી સદસ્યો પાસેથી શેષ ઉઘરાવી લઇ બાદમાં એ નાણાં યાર્ડમાં જમા ન કરાવીને રૂપિયા ૨૩.૧૯ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. જે કોભાંડ મામલે એસીબીમાં ગુનો નોંધાયા બાદ સાત ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

હળવદ માર્કેટીંગ યાર્ડમાં ૧૩-૦૨-૨૦૧૫ થી તા. ૨૬-૦૩-૨૦૧૫ દરમિયાન તત્કાલીન સેક્રેટરી વિપુલભાઇ અરવિંદભાઇ એરવાડીયા, તત્કાલીન વાઈસ સેક્રેટરી અશોકભાઇ જયંતીભાઇ માતરીયા, તેમજ તે સમયના ક્લાર્ક હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા, નિલેષભાઇ વિનોદભાઇ દવે, પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી, ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા, અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડનાં સત્તાધિશો અને કર્મચારીઓ દ્વારા ડુપ્લીકેટ પહોંચ છપાવી હતી. 

જે બાદ આ પહોંચ મારફતે તેઓ માર્કેટ ફી (શેષ) ઉઘરાવતા હતા. આ કૌભાડમાં તેમણે સદસ્યો પાસેથી રૂપિયા ૨૩,૧૯,૭૫૪ ની રકમ ઉઘરાવી હતી,  જે ખેડૂતોના હિતાર્થે યાર્ડમાં જમા નહિ કરાવીને પોતાના અંગત લાભ ખાતર ઉપયોગ કરી પોતાના અંગત ફાયદા માટે અનુચિત લાભ મેળવવા માટે ગુનાહિત ગેરવર્તણુક કરીને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી, જે ગુનો કર્યાનું ફલિત થતા મોરબીએસીબી ટીમે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.

જે બનાવ મામલે વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબી ટીમને સોંપવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર એસીબી ટીમ દ્વારા આરોપી વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા (સેક્રેટરી), અશોકભાઇ , જયંતીભાઇ માતરીયા (વાઇસ સેક્રેટરી),હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (કલાર્ક), નિલેષભાઇ વિનોદભાઇ દવે (કલાર્ક),પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક) , ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક) અને અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (કલાર્ક) એમ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જે તે સમયે યાર્ડના સેક્રેટરી, વાઈસ સેક્રેટરી અને ક્લાર્ક તરીકે કાર્યરત હતા અનેરકમની હેરફેર કરવાના ગુનામાં સાતેય ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat
IPL-2023
Magazines