વઢવાણના કટુડાની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં 250 વિઘામાં જળબંબાકાર
Updated: Mar 6th, 2024
- નર્મદા વિભાગની બેદરકારીથી 20 થી વધુ ખેતરમાં પાણી ફરી વળ્યા
- સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં વરિયાળી, ઘઉં, જીરૂ સહિતના પાકનો સોથ વળ્યો ઃ સરકાર સામે ખેડૂતોનો આક્રોશ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વઢવાણ તાલુકાના કટુડા ગામની સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર-મોરબી બ્રાંચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં આસપાસના ૨૦ ખેતરોમાં ૨૫૦ વીઘાથી વધુમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને ખેડૂતો નુકસાની અંગે વળતરની માંગ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ખેડૂતો બારે મહિના અલગ અલગ સિઝન મુજબ વાવેતર કરે છે. જિલ્લાના મોટાભાગના ખેડુતો સિંચાઈ માટે નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલ દ્વારા પાણી મેળવી ખેતી કરે છે. ત્યારે વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવતા કટુડા ગામ પાસે કેનાલ ઓવરફ્લો થતા કેનાલનું ઓવરફ્લો થયેલું પાણી આસપાસના અંદાજે ૨૦ થી વધુ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની અંદાજે ૨૫૦ વીઘા જમીનમાં કરેલા વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
દર વર્ષે નર્મદા વિભાગની બેદરકારીને કારણે કેનાલ ઓવરફ્લો થતી હોવાનું અને અગાઉ પણ આ અંગે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવાનુ જણાવ્યું હતું. કેનાલ ઓવરફ્લો થવાની જાણ ખેડૂતોએ નર્મદા વિભાગને કરતા અધિકારીને બદલે માત્ર સુપરવાઈઝરએ સ્થળ પર મુલાકાત લઈ ખેડૂતોને પંચરોજ કામ કરી રિપોર્ટ મોકલવાની અને કેનાલ ઓવરફ્લો મામલે તપાસ દરમિયાન જો ગેટમેનની બેદરકારી સામે આવશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જ્યારે ખેડૂતોમાં નર્મદા વિભાગની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક આ અંગે સર્વે કરી ખેડૂતોને થયેલા નુકસાનીનુ સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.